સોમનાથના યુવાનનું કપાયેલુ જનનાંગ જોડી તંદુરસ્ત જાતીય જીવન બક્ષ્યું
રાજકોટના યુરોલોજીસ્ટ ડો.જીતેન્દ્ર અમલાણી, ડો.જીગેન ગોહેલ, ડો.પ્રતીક અમલાણી, ડો.ધૃતિ કલસરીયા અમલાણી તથા લોહીની નળીના પ્લાસ્ટિક સર્જન ડો.ભાયાણી અને ડો.ભાલોડીયા તેમજ એનેસ્થેસિયાલોજીસ્ટ ડો.હિતેશ ભીમાણીની ટીમે સફળ સર્જરી કરી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગત ઓકટોબર માસમાં તા.૮-૧૦ના રોજ સોમનાથ-વેરાવળના ૨૧ વર્ષિય યુવાનનું કોઇ અગમ્ય કારણોસર યુવતીના સગાઓ દ્વારા જનનાંગ કાપી નાખી અલગ કરી જઘન્ય કૃત્ય આચરી યુવાનને લોહીલુહાણ કરેલો હતો. યુવકના પરિવાર દ્વારા તાત્કાલીક રાજકોટની યુરોકેર કિડની હોસ્પિટલના ડોકટરો સાથે ટેલીફોનીક સંપર્ક કરીને જનનાંગ જોડી આપવા વનંતી કરી હતી. જેથી કપાયેલી જનનાંગને બરફમાં મૂકી દર્દી સાથે તાત્કાલીક રાજકોટ યુરોકેર હોસ્પિટલે પહોંચતા કરવા ડોકટરો દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું. યુવાન પહોંચે એ પૂર્વે હોસ્પિટલ દ્વારા ઓપરેશનની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત યુવાન હોસ્પિટલ આવતા યુરોલોજીસ્ટ ડો.જીતેન્દ્ર અમલાણી, ડો.જીગેન ગોહેલ, ડો.પ્રતીક અમલાણી, ડો.ધૃતિ કલસરીયા અમલાણી તથા લોહીની નળીના પ્લાસ્ટિક સર્જન ડો.ભાયાણી અને ડો.ભાલોડીયા તેમજ એનેસ્થેસિયાલોજીસ્ટ ડો.હિતેશ ભીમાણીની ટીમે તાત્કાલીક ઉચ્ચકક્ષાની જટીલ સર્જરી કરી ૬ કલાકની મહેનત બાદ સફળ ઓપરેશન પાર પાડી શરીર સાથે જનનાંગ જોડી આપી હતી.
તબીબોના જણાવ્યા મુજબ ઓપરેશન બાદ અપેક્ષીત સમયમાં જનનાંગમાંથી પેશાબ આવવાનો ચાલુ થઇ જનનાંગ ઉત્થાન કરી પુન: કાર્યરત થઇ ગઇ હતી. યુરોકેર કિડની હોસ્પિટલના યુરોલોજીસ્ટ ડોકટરોની ટીમના જણાવ્યા મુજબ શરીરથી છુટા પડેલા અંગોને યોગ્ય રીતે સંગ્રહ કરી શકય તેટલા જલ્દી હોસ્પિટલે પહોંચાડવામાં આવે તો શરીર સાથે પુન: જોડી શકાય છે. પરંતુ અમુક કલાકો વીત્યા બાદ અંગોને જોડવુ શકય બનતું નથી. આવા કેસમા વિલંબ થવાથી દર્દીને જીવનભર જનનાંગ વગર પેશાબની તકલીફ ભોગવવી પડે છે અને જાતીય જીવન નષ્ટ થઇ જાય છે.
આમ રાજકોટના તબીબોની સજ્જતા અને દર્દીના પરિવારની જાગૃતિના કારણે ન માત્ર રાજકોટમાં પરંતુ સમગ્ર દેશમાં જવલ્લેજ થતી સફળ સર્જરી રાજકોટના તબીબોએ કરી રાજકોટને ગૌરવ અપાવ્યું છે.