ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે, જેની પહેલી મેચ 20 જૂનથી રમાશે. ભારત અને ઈંગ્લેન્ડ સિરીઝ પહેલા 12 જૂને અમદાવાદમાં વિમાન દુર્ઘટના બની હતી, જેમાં 250 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા હતા.
આ વિમાનમાં 169 ભારતીયો સિવાય 53 બ્રિટિશ નાગરિકો પણ હતા. આ ઘટના બાદ BCCI અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ મોટી ઈવેન્ટ સ્થગિત રાખી છે.
BCCI-ECBએ લીધો મોટો નિર્ણય
છેલ્લા ઘણા વર્ષોથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝને પટોડી ટ્રોફી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ વખતે આ સિરીઝનું નામ બદલીને એન્ડરસન-તેંડુલકર ટ્રોફી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સાથે મળીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ દરમિયાન આ ટ્રોફીને લોન્ચ કરવાની યોજના બનાવી હતી. પરંતુ હવે તેને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ મુજબ બંને બોર્ડે આ નિર્ણય અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતોને શ્રદ્ધાંજલિ અને સંવેદના આપવા માટે લીધો છે. આ કારણે આ ટ્રોફીના નવા નામની જાહેરાત કરવાનો કાર્યક્રમ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના ચોથા દિવસે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે લોર્ડ્સના મેદાન પર એન્ડરસન-તેંડુલકર ટ્રોફીનું લોન્ચિંગ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ આના બે દિવસ પહેલા, 12 જૂને અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાનની મોટી વિમાન દુર્ઘટના થઈ હતી.
ટ્રોફી લોન્ચ ઈવેન્ટનો ક્રાર્યક્રમ સ્થગિત
ECB ના એક અધિકારીના જણાવ્યા મુજબ આટલી મોટી દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ટ્રોફી લોન્ચ ઈવેન્ટ હાલમાં સ્થગિત કરવામાં આવી છે. ઈંગ્લેન્ડ અને ભારતના ક્રિકેટ બોર્ડ હવે આ ટ્રોફીને નવી તારીખે લોન્ચ કરવાની યોજના બનાવશે.
આ ક્રાર્યક્રમમાં જેમ્સ એન્ડરસન અને સચિન તેંડુલકરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જ્યારે પણ આ ટ્રોફી લોન્ચ થશે, ત્યારે બંને દિગ્ગજો આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનશે.