મને ખાતરી છે કે આપણે સહુએ ક્રોધને કાબૂમાં રાખવા પ્રયત્ન કર્યો છે, પરંતુ ગમે તેમ પણ તેનો અંત આવતો નથી. શું ક્રોધને ખતમ કરવાનો બીજો કોઈ અભિગમ છે? ક્રોધ શારીરિક કે માનસિક કારણોથી આવે છે. કોઈ ક્રોધિત છે, કારણ કે તેને નિષ્ફળતા મળી છે. તેના રક્ષણાત્મક પ્રયાસોને તોડી પાડવામાં આવ્યા છે અથવા તેની સલામતી કે જેને તેણે કાળજીપૂર્વક ઊભી કરી હતી, તે જોખમમાં આવી પડી હોય વગેરે વગેરે. આપણે સહુ ક્રોધથી પરિચિત છીએ. આપણે આ ગુસ્સાને કેવી રીતે સમજવો તેમજ તેનો અંત કેવી રીતે લાવવો?
જો તમે એમ વિચાર કરો કે તમારી માન્યતા, ખ્યાલો અને મંતવ્યો સહુથી વધારે મહત્ત્વના છે અને જ્યારે તેને પડકારવામાં આવે કે તેની સામે વાંધો ઉઠાવવામાં આવે ત્યારે તમે હિંસક બનો છો. જો તેને બદલે માન્યતાને વળગ્યા વગર તમે એમ વિચારો કે જીવનને સમજવા માટે તે શા માટે બહુ જરૂરી છે, ત્યારે તેનાં કારણોને સમજવાથી ગુસ્સાનો અંત આવે છે. આમ પોતાના મનમાં ઘર્ષણ અને પીડા ઉત્પન્ન કરતાં કારણોની સમજ વિરોધને શાંત કરવાની શરૂઆત કરે છે. એ માટે ગંભીરતાની જરૂર પડે છે. આપણે આપણી જાતને સામાજિક અથવા ધાર્મિક કારણોસર અથવા સગડવતા ખાતર નિયંત્રિત કરવા ટેવાયેલા છીએ, પણ ક્રોધને જડમૂળથી કાઢવા માટે ગહન સભાનતા અવધાન હોવું જરૂરી છે. જ્યારે તમે અન્યાય વિશે સાંભળો ત્યારે તમને ગુસ્સો આવે છે એમ તમે કહો છો. શું તેનું કારણ એ છે કે તમે માનવતા પ્રેમી છો કે તમે કરુણાસભર છો? શું કરુણા અને ક્રોધ એકસાથે રહે છે? શું જ્યાં ગુસ્સો, ધિક્કાર હોય ત્યાં ન્યાય રહી શકે? કદાચ તમે સામાન્ય અન્યાય કે ક્રૂરતાના વિચારે ગુસ્સે થયા હો એમ બને, પરંતુ તમારા ગુસ્સાથી અન્યાય કે ક્રૂરતા બદલાતાં નથી, તમારો ગુસ્સો માત્ર તમને નુકસાન પહોંચાડી શકે. વ્યવસ્થા સ્થાપવા તમારે સ્વયં વિચારશીલ બનવાની જરૂર છે. ધિક્કારમાંથી ઉદ્ભવતું કાર્ય કેવળ વધારે ધિક્કાર સર્જે છે. જ્યાં ગુસ્સો હોય ત્યાં ન્યાયી પ્રામાણિકતા હોઈ જ ન શકે. ન્યાય સંગતતા ને ગુસ્સો એકસાથે રહી ન શકે.
સાચું શિક્ષણ
આપણું મન અનુભવ, પરંપરા અને સ્મૃતિ દ્વારા ઘડાયેલું છે. મન ભલે અનુભવ લે, પણ શું તે અનુભવનો સંગ્રહ કરવાથી મુક્ત થઈ શકે? તમે તફાવત સમજ્યા? આપણે સ્મૃતિને કેળવવાની જરૂર નથી, આપણે મનની સંગ્રહ કરવાની પ્રક્રિયાથી મુક્તિ મેળવવાની જરૂર છે. તમે મને ઈજા કરો છો, જે એક અનુભવ છે. હવે હું એ પીડાને મનમાં ભરી રાખું છું અને તે મારી પરંપરા બની જાય છે અને તે પરંપરાના સંદર્ભમાં હું તમને જોઉં છું. એ પરંપરાના સંદર્ભમાં હું તમારી સામે પ્રતિક્રિયા દર્શાવું છું. આ મારા મને તમારા મનની રોજિંદી પ્રક્રિયા છે. જો તમે મને કઠોર શબ્દો કહો તો તેથી હું દુભાઉં, પરંતુ જો તે વ્યથાને મહત્ત્વ ન આપવામાં આવે તો એ મારી ક્રિયા માટેની પાશ્વભૂમિ નહીં બને, તો એ શક્ય બને છે કે હું તમને બિલકુલ તાજગી સાથે નવેસરથી મળું. શિક્ષણ શબ્દની ગહનતાના અર્થમાં તે જ સાચું શિક્ષણ છે, કારણ કે ત્યારે ભલે હું અનુભવની પ્રતિબદ્ધ થવાની અસરને જોતો હોઉં તે છતાં મારું મન સંસ્કારબદ્ધ નથી થતું.