- પિરોજરા ગામમા સરકારી જમીન વેચ્યાનો મામલો
- સબરજીસ્ટ્રાર વિષ્ણુ દેસાઇએ જમીન વેચી મારી
- જમીનની કિંમત હાલની તારીખમાં 59 લાખથી વધુ
ગાંધીનગરમાં વધુ એક જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં પિરોજરા ગામમાં સરકારી જમીન વેચ્યાનો મામલો સામે આવ્યો છે. તેમાં સબરજીસ્ટ્રાર વિષ્ણુ દેસાઇએ જમીન વેચી મારી છે. જેમાં જમીનની કિંમત હાલની તારીખમાં 59 લાખથી વધુ છે.ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જેમાં ગાંધીનગરની પીરોજપુર સરકારી જમીનનું કૌભાંડ ઝડપાયુ છે.
17 જુલાઇએ સેક્ટર -7માં ફરિયાદ નોંધાઇ હતી
DYSP દિવ્યપ્રકાશ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે જેમાં 17 જુલાઇએ સેક્ટર -7માં ફરિયાદ નોંધાઇ હતી. સર્વે નંબર 179ની 50 ટકા જમીનનો વેચાણ દસ્તાવેજ થયો છે. વિષ્ણુ દેસાઇએ ચકાસણી કર્યા વગર દસ્તાવેજ કર્યો છે. મહેજી જાદવ, બેબીબેન જાદવે જમીન વેચી છે.તેમજ ગાંધીનગરના કિરણ પટેલે જમીન ખરીદી છે. સરકારી કે સંસ્થાની જમીનના દસ્તાવેજ પહેલા ચકાસણી કરવાની હોય છે.
જૂના પહાડિયા ગામ બારોબાર વેચાઈ જતા ગ્રામવાસીઓ પર આભ તૂટી પડ્યું
ગાંધીનગરથી અંદાજિત 37 કિલોમીટર દૂર આવેલ જૂના પહાડિયા ગામ બારોબાર વેચાઈ જતા ગ્રામવાસીઓ પર આભ તૂટી પડ્યું છે. દેહગામ-બાયડ રોડ પર વસેલા આ ગામની મુખ્ય આજીવિકા ખેતી છે. ગામમાં ઓબીસી ઠાકોર સમાજની બહોળી વસ્તી છે. જૂના પહાડિયા ગામના બ્લોક સર્વે નંબર 142 (જૂનો સર્વે નંબર 6) હે.આરે. ચોરસ મીટર 1-45-97 વાળી જમીન 1982, 1987 તથા 2003ના વર્ષમાં સ્ટેમ્પ પેપર તથા સાદા લખાણથી બાનાખત કરીને તેમજ 50ના સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી કરારથી હાલમાં વસવાટ કરતા અરજદારોએ વેચાણ રાખી હતી. આ સર્વે નંબર પર જ આખે આખું ગામ વસેલું છે જે જૂના પહાડિયા તરીકે ઓળખાય છે.
ગ્રામજનો ઉપર જાયે તો જાયે કહાં જેવી પરિસ્થિતિનો ઘાટ સર્જાયો
ગામમાં રહેતા રહીશોની મિલકતની આકારણી પણ કરવામાં આવી છે. ગામમાં પાણીનો બોર પણ ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યો છે. તલાટી અને સરપંચ દ્વારા રહીશોને દાખલા પણ આપવામાં આવ્યા છે. મકાનોના વેરાઓ પણ ગ્રામજનો ભરી રહ્યાં છે. આ જગ્યા પર ઇન્દિરા આવાસ સહિતની વિવિધ યોજનાઓ હેઠળ મકાન પણ ફાળવવામાં આવ્યા હતા. ગામમાં આરસીસી રોડ પર બનાવવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા આખા ગામની જમીનનો દસ્તાવેજ થઈ ગયો હતો ગ્રામજનોને સમગ્ર ઘટનાની જાણ થતા તેઓના માથે આભ ફાટ્યું હતું. વેચાણ દસ્તાવેજના આધારે રેકોર્ડમાં કાચી નોંધ પડતા આ સમગ્ર ભાંડો ફૂટયો હતો. ત્યારે અહીં 50થી વધુ વર્ષથી વસવાટ કરતા ગ્રામજનો હાલ ચિંતિત છે. અને હવે ગ્રામજનો ઉપર જાયે તો જાયે કહાં જેવી પરિસ્થિતિનો ઘાટ સર્જાયો છે.


