- એન્ટિબાયોટિક દવાઓનો સિંગ-ચણાની માફક વપરાશ કરતા લોકો માટે માઠા સમાચાર
- AMR આધુનિક ચિકિત્સાના ઘણા લાભોને ખતરામાં નાખે છે
- કેન્દ્ર સરકારે ડૉક્ટરો માટે આવી દવાઓને પ્રિસ્ક્રાઇબ કરવા માટે ચોક્કસ કારણ લખવું ફરજિયાત કરી દીધું
દેશમાં એન્ટિબાયોટિક દવાના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે ડૉક્ટરો માટે આવી દવાઓને પ્રિસ્ક્રાઇબ કરવા સમયે તેને માટે ચોક્કસ કારણ લખવું ફરજિયાત કરી દીધું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આવતા ડાઇરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસિસ(DGHS)એ તેના સંદર્ભમાં એક તત્કાળ અપીલ કરત દેશના તમામ મેડિકલ કોલેજો, મેડિકલ એસોસિયેશનો અને ફાર્માસિસ્ટ એસોસિયેશનોના ડૉક્ટરોને પત્ર લખ્યા છે. પહેલી જાન્યુઆરીએ લખાયેલા આ પત્રમાં DGHSએ ફાર્માસિસ્ટ સંગઠનોને ફક્ત યોગ્ય ડોક્ટર્સના પ્રિસ્ક્રિપ્શન પર જ એન્ટિબાયોટિક દવાઓ આપવાનું અને એન્ટિબાયોટિક્સનું કાઉન્ટર વેચાણ બંધ કરવા કહ્યું છે. આ એડવાઇઝરીમાં ડૉક્ટરોના પ્રિસ્ક્રિપ્શનમાં દર્દીમાં દેખાયેલાં લક્ષણો અંગે ચોક્કસ જાણકારી આપવાનું કહેવાયું છે, કે જેના માટે એન્ટિબાયોટિક દવા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી હોય.
કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે કે ડૉક્ટરો આ દવાઓના દુરુપયોગને રોકવા માટે અથવા પોતે જ તેના વધારે ઉપયોગને રોકવા તેના ઉપયોગનું ચોક્કસ ઉદ્દેશ કે જરૂરિયાત સ્પષ્ટ દર્શાવે.
સરકારે આ પગલું કેમ ઉઠાવ્યું?
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર આ પગલાંને એન્ટિબાયોટિક દવાઓના વધારે પડતાં ઉપયોગ પર અંકુશ લગાવવાની દિશામાં એક મોટા પગલાં તરીકે જોવામાં આવે છે. વાસ્તવમાં વધારે પડતી એન્ટિબાયોટિક દવાઓ લેવાના કારણે શરીર એન્ટિ માઇક્રો – બાયલ રેઝિસ્ટન્સ અથવા AMR થઈ જાય છે એટલે કે શરીરનું ડ્રગ રેઝિસ્ટન્સ વધી જાય છે. નોંધનીય છે કે વર્તમાન સમયમાં AMR વૈશ્વિક ચિંતાનો વિષય બની ગયું છે.
AMR આધુનિક ચિકિત્સાના ઘણા લાભોને ખતરામાં નાખે છે
ડૉક્ટરો અને ચિકિત્સા સંઘોને મોકલવામાં આવેલા પત્રમાં DGHSએ જણાવ્યું છે કે એએમઆર આધુનિક ચિકિત્સાના ઘણા લાભોને ખતરામાં નાખે છે. DGHSએ તમામ હિતધારકોને જણાવ્યું હતું કે ઇલાજ નિષ્ફળ હોવાના કારણે લાંબા સમય સુધી સંક્રામકતા જળવાયેલી છે. આ સંજોગોમાં સારવાર માટે હાઇ ડોઝ ધરાવતી દવાઓની જરૂર પડે છે. પરંતુ આ દવાઓ ખૂબ જ મોંઘી હોય છે.


