- ટ્રુડોએ ભારતમાં રહેતા કેનેડાનાં રાજદ્વારીઓની સ્થિતિથી ઋષિ સુનકને માહિતગાર કર્યા
- કેનેડાનાં પીએમ જસ્ટિન ટ્રુડો સાથેની વાતચીતમાં તંગદિલી ઓછી કરવા ટ્રુડોને અનુરોધ કર્યો
- બન્ને દેશો વચ્ચે હાલ પ્રવર્તતી સ્થિતિની માહિતી મેળવીને સમીક્ષા કરી
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદમાં તંગદિલી ઘટાડવા યુકેનાં પીએમ ઋષિ સુનકે અપીલ કરી છે. કેનેડાનાં પીએમ જસ્ટિન ટ્રુડો સાથેની વાતચીતમાં તેમણે ભારત સાથેની તંગદિલી ઓછી કરવા ટ્રુડોને અનુરોધ કર્યો હતો. તેમણે બન્ને દેશો વચ્ચે હાલ પ્રવર્તતી સ્થિતિની માહિતી મેળવીને સમીક્ષા કરી હતી. ટ્રુડોએ તેમને ભારતમાં રહેતા કેનેડાનાં રાજદ્વારીઓની સ્થિતિથી માહિતગાર કર્યા હતા. બંને નેતાઓએ આ મુદ્દે સતત સંપર્કમાં રહેવાનું નક્કી કર્યું હતું અને તમામ દેશનું સન્માન જાળવવા સંમતિ દર્શાવી હતી. કેનેડામાં જૂનમાં ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારતનાં એજન્ટોની સંડોવણીનો ટ્રુડોએ ભારત પર આક્ષેપ કર્યા પછી બન્ને દેશો વચ્ચેનાં સંબંધો વણસ્યા છે. બ્રિટનનાં પીએમ સુનકે આ સંદર્ભમાં બ્રિટનની સ્થિતિ અને વલણ સ્પષ્ટ કર્યું હતું અને તમામ દેશોએ રાજદ્વારી સંબંધોમાં વિયેના સમજૂતીનાં નિયમો અને સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ તેવો અનુરોધ કર્યો હતો. તેમણે કાયદાની સંપ્રભુતા તેમજ કાયદાના શાસનનું સન્માન કરવાની તરફેણ કરી હતી.