- સેના પર થયેલા હુમલામાં સેનાના જવાનો, પત્રકારો સહિત 15 લોકો ઘાયલ
- અવામી લીગના નેતા સહતિ લોકોએ શેખ હસીનાનેપરત લાવવાની માંગ કરી
- બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતી સમુદાયો પર ઓછામાં ઓછી 205 ઘટનાઓ બની
સરકાર, લોકો, અધિકારીઓ, ન્યાયાધીશો અને હવે સેના. બાંગ્લાદેશમાં કોઈ સુરક્ષિત નથી. ઘણા દિવસોથી ચાલી રહેલી હિંસા હવે કાબૂ બહાર ગઈ છે. આ દરમિયાન સેનાના જવાનો પર પણ હુમલાના સમાચાર સામે આવ્યા છે. સેનાના વાહન પર આ હુમલો ગોપાલગંજ વિસ્તારમાં થયો હતો. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ આ ઘટનામાં સેનાના જવાનો, પત્રકારો અને સ્થાનિક લોકો સહિત 15 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બેને ગોળી વાગી હતી. આ ઘટના શનિવારે સાંજે લગભગ 4 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે અવામી લીગના હજારો કાર્યકરો શેખ હસીનાની વાપસીની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
સૈનિકોએ પ્રદર્શન અટકાવ્યું તો થયો હુમલો
મળતી માહિતી અનુસાર અવામી લીગના હજારો નેતાઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને દેશમાં પરત લાવવાની માંગ કરી રહ્યા હતા. તેઓએ ઢાકા-ખુલના હાઈવે બ્લોક કરી દીધો હતો. આ દરમિયાન સેનાનું વાહન ત્યાં પહોંચી ગયું અને દેખાવકારોને રસ્તો ખોલવા અને વિરોધ ખતમ કરવાની અપીલ કરી. પરંતુ ટોળાએ તેમના પર ઇંટો ફેંકવાનું શરૂ કર્યું. બાદમાં સેનાના જવાનોએ ભીડને વિખેરવા માટે લાઠીનો ઉપયોગ કર્યો હતો.
પરિસ્થિતિને કાબુમાં કરવા સેનાએ ગોળીબાર કર્યો
આના જવાબમાં વિરોધીઓએ સેનાના એક વાહનમાં તોડફોડ કરી અને તેને આગ લગાવી દીધી હતી. ગોપાલગંજ કેમ્પના લેફ્ટનન્ટ કર્નલ મકસુદુર રહમાને ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે, અદાજે 3000થી 4000 લોકો એકઠા થઈ રસ્તો બ્લોક કરી દીધો છે. આ હુમલામાં સેનાના ઘણા જવાનો ઘાયલ થયા છે. ગોપીનાથપુર સંઘના પૂર્વ અધ્યક્ષ લચ્છુ શરીફે કહ્યું કે, સેનાના સભ્યોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ગોળીબાર કર્યો હતો. જેમાં એક બાળક સહિત બે લોકોને ગોળી વાગી હતી. આ ઘટનામાં કોઈનું મોત થયું નથી.
ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર એલર્ટ
પડોશી દેશ બાંગ્લાદેશમાં અશાંતિને ધ્યાનમાં રાખીને આસામ પોલીસ ભારત-બાંગ્લાદેશ સરહદે હાઈ એલર્ટ પર છે. સુનિશ્ચિત કરવામાં આવે કે કોઈપણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે રાજ્યમાં પ્રવેશ ન કરી શકે. પોલીસ મહાનિર્દેશક જી.પી. સિંહે કહ્યું કે, કેન્દ્રએ સૂચના જાહેર કરી છે કે બાંગ્લાદેશથી કોઈપણ વ્યક્તિને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતી સમુદાયો પર હુમલા
બાંગ્લાદેશમાં હિન્દુઓને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અનેક મંદિરોને આગ ચાંપી દેવામાં આવી છે. આ વચ્ચે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે શનિવારે હિંસાથી પ્રભાવિત લઘુમતી સમુદાયો પરના હુમલાની નિંદા કરી હતી. તેમણે લઘુમતીઓ પરના હુમલાઓને નિંદનીય ગણાવ્યા અને તમામ યુવાનોને હિન્દુ, ખ્રિસ્તી અને બૌદ્ધ પરિવારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી. બાંગ્લાદેશના બે હિન્દુ સંગઠનો, બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદ અને બાંગ્લાદેશ પૂજા ઉદ્યાપન પરિષદના અનુસાર 5 ઓગસ્ટે શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન પછી બાંગ્લાદેશમાં લઘુમતિ સમુદાયોના સભ્યોને 53 જિલ્લામાં હુમલાઓની ઓછામાં ઓછી 205 ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે.


