અમેરિકામાં ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. જેમાં ન્યૂયોર્કના મેલવિલે વિસ્તારમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરને અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા આ મામલો યુએસ પ્રશાસન સાથે ઉઠાવવામાં આવ્યો છે. દૂતાવાસે આ હુમલાની નિંદા કરી છે અને તેને અસ્વીકાર્ય ગણાવ્યું છે. સાથે જ દૂતાવાસે આ કૃત્યમાં સંડોવાયેલા ગુનેગારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
શું છે સમગ્ર મામલો?
સોશિયલ મીડિયા પર સામે આવેલા ફૂટેજ અનુસાર, રસ્તા પર સ્પ્રે પેઇન્ટથી અપમાનજનક શબ્દો લખવામાં આવ્યા હતા અને મેલવિલેના હિંદુ મંદિરની બહાર ચિહ્નો હતા. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને આ મામલે કહ્યું છે કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ આ ઘટનાની તપાસ કરવી જોઈએ.
ભારતીય દૂતાવાસે વિરોધ વ્યક્ત કર્યો
ન્યૂયોર્કમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે આ સમગ્ર મામલાને લઈને સોમવારે X પર પોસ્ટ કરી છે. દૂતાવાસે કહ્યું છે કે ન્યૂયોર્કના મેલવિલેમાં BAPS સ્વામિનારાયણ મંદિર પાસે સાઈન બોર્ડને તોડી પાડવાની ઘટના અસ્વીકાર્ય છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે કોન્સ્યુલેટ “સમુદાયના સંપર્કમાં છે અને આ જઘન્ય કૃત્યના ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા માટે કાયદા અમલીકરણ એજન્સીઓના અધિકારીઓ સાથે આ મામલો ઉઠાવ્યો છે.”
PM મોદી આ વિસ્તારમાં સભા કરશે
મહત્વનું કહી શકાય કે, મેલવિલે સફોક કાઉન્ટી, લોંગ આઈલેન્ડમાં સ્થિત છે અને નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમથી લગભગ 28 કિલોમીટર દૂર છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે એક સમુદાય કાર્યક્રમને સંબોધિત કરવાના છે.


