ભગવાને સૌને સેવા કરવાની અપાર શક્તિ અને સ્વાધીનતા આપી છે, તેથી શરીરની પોતાના પરિવારજનોની, સમાજની, સંપૂર્ણ સંસારની, ભગવાનની અને પોતાની સેવા કરી શકાય છે. ભગવદ્પ્રાપ્તિ માટે સેવાના આશય જુદા-જુદા હોય છે.
બુરાઈ રહિત જીવન
જીવનમાં કોઈની પણ કોઈ પણ પ્રકારની બુરાઈ કરવી જોઈએ નહીં. અહીંથી જ સેવાનો આરંભ થાય છે. બીજા લોકોને ખરાબ સમજવા, તેમનું ખરાબ ઈચ્છવું, ખરાબ કરવું એ ખરેખર મોટી બુરાઈ છે.
મોહ, મમતા, કામના, રાગ, દ્વેષ, અહંકાર એ સઘળી સૂક્ષ્મ બુરાઈઓ છે. પોતાના ગુણો અને ભલાઈનો ગર્વ એ બુરાઈનાં મૂળ છે. જે સર્વાંશે બુરાઈ રહિત થઈ જાય ત્યારે તે વ્યક્તિ સંપૂર્ણ બ્રહ્માંડની સેવા કરી શકે છે.
હિતભાવ
સેવા એ મનમાં રહેનારો એક ભાવ છે. સર્વને સુખ, સુવિધા, સન્માન, પ્રસન્નતા મળે, બધા જ લોકો સ્વસ્થ અને નીરોગી થઈ જાય, સર્વને શાંતિ, મુક્તિ, ભક્તિ મળે, સર્વનું કલ્યાણ થાય. આવા પ્રકારની ભાવના રાખવી એ એક મોટી સેવા જ છે. શ્રીરામચરિતમાનસમાં ભગવાન શ્રીરામની વાણી છે, જેના મનમાં બીજાનું હિત વસે છે, તેના માટે જગતમાં કંઈ પણ દુર્લભ નથી.
કરુણા અને પ્રસન્નતા
દુ:ખીઓને જોતાં જ હૃદયમાં કરુણા આવી જાય, સુખી લોકોને જોઈને હૃદય પ્રસન્નતાથી ભરાઈ જાય તેનું નામ સેવા છે. હૃદયમાં કરુણાની ગંગા વહેતી રહે અથવા પ્રસન્નતાનો સાગર લહેરાતો રહે તે પણ સેવા જ છે. તેના માટે હિતભાવ, કરુણા, પ્રસન્નતા હૃદયમાં છલકાતા
રહેવા જોઈએ.
ક્રિયાત્મક સહયોગ
હિતભાવ અને કરુણા તેની જાતે જ ક્રિયાત્મક સહયોગમાં બદલાશે. ક્રિયાત્મક સહયોગનો અર્થ છે પવિત્ર ભાવથી અન્યને તેની જરૂરિયાતની ચીજ આપી દેવી. જરૂરિયાતમંદ વ્યક્તિને જે વસ્તુની જરૂર હોય તેને તે વસ્તુ આપવી અને તે આપતી વખતે મનમાં પ્રસન્નતાની ભાવના રહેવી જોઈએ અને મનમાં લેશમાત્ર ગર્વ ન ધરાવવો.
સેવા નાની-મોટી હોતી નથી
મોટી સેવામાં મોટું ફળ અને નાની સેવામાં નાનું ફળ મળે છે એવું હોતું નથી. સેવા નાની હોય કે મોટી હોય બંનેનું ફળ સમાન જ હોય છે.
ભગવાનને પ્રેમ સમર્પવો
ભગવાનની પૂજા વખતે તે સામાન્યરૂપે સન્મુખ આવે એ પ્રકારની ભાવના રાખવી એ પણ એક પ્રકારની સેવા જ છે.
ઈચ્છા ન રાખવી
સેવા અને પ્રેમ આપનાર ભોગ કે મોક્ષ ઈચ્છતા નથી. સેવાના બદલામાં તે કેવળ અનંત સમય સુધી સેવા કરતો રહે તેવું ઈચ્છે છે.
સેવક બનવું
સેવક બની જતાં આપોઆપ સેવા થાય છે. પોતે કોઈ પણ પ્રકારની બુરાઈ કરશે નહીં. સર્વ તરફ હિતભાવ રાખશે. પવિત્ર ભાવે યથાશક્તિ ક્રિયાત્મક સહયોગ આપશે, બદલામાં કંઈ પણ ઈચ્છશે નહીં.