- લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાએ રામ મંદિરને સર્વોચ્ચ શિખરે લાવી દીધુ
- રામ મંદિર આંદોલનએ દેશને ગૌરવ-સન્માન અપાવવાની લડત હતી
- ગડકરી એ કહ્યું કે, હિન્દુત્વનો ઈતિહાસ આપણા દેશનો ઈતિહાસ છે
અયોધ્યામાં નિર્માણ થઈ રહેલાં રામ મંદિરના અભિષેક 22 જાન્યુઆરીએ થવાનો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી ગડકરીએ પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં રામમંદિર આંદોલનને યાદ કરીને કહ્યું કે, રામ મંદિર આદોલન એ માત્ર મંદિર માટે જાગૃતિ અભિયાન નથી પરંતુ બધાને ન્યાય મળી રહે તે માટેનો પ્રયાસ હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે, હિન્દુત્વનો ઈતિહાસ આપણા દેશનો ઈતિહાસ છે.
અડવાણીની રથયાત્રા વિશે શું કહ્યું
વધુમાં ગડકરીએ કહ્યું કે, ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની ‘રથયાત્રા’ એ અયોધ્યા રામ મંદિરના મુદ્દાને દેશમાં સર્વોચ્ચ શિખરે લાવી દીધો હતો. વિશ્વ હિન્દુ પરિષદના અશોક સિંઘલ, બીજેપીના વરિષ્ઠ નેતા ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, ઘણા સાધુઓ અને શંકરાચાર્યો રામ મંદિર માટે લડત આપી હતી અને આ પ્રયાસો ભારતના ઈતિહાસ, સંસ્કૃતિ અને વારસાને ગૌરવ અને સન્માન પરત લાવવાની લડત હતી. જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો ત્યાં રામ મંદિર બનશે તેથી દેશમાં રહેતા તમામ લોકો માટે ગૌરવ અને સ્વાભિમાનનું પ્રતીક છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કહેતાં કે,
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “રાજકીય લાભ માટે ભૂતકાળમાં ‘સેક્યુલર’ શબ્દનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું, પરંતુ આપણો સમાજ શરૂઆતથી જ ‘સેક્યુલર’ છે. સેક્યુલરિઝમનો અર્થ ‘સર્વ ધર્મ સમભાવ’ એટલે કે તમામ ધર્મો માટે સમાન સન્માન છે.” વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર કહેતા હતાં કે, ભારતમાં તમામ શાસકો હિંદુ હોવા છતાં, બહુ ઓછી સંખ્યામાં વિદેશીઓ અમારા પર રાજ કરે છે. કારણ કે, અમારી વચ્ચે એકતાનો અભાવ હતો.”
ભારતીય સંસ્કૃતિ હિન્દુત્વનો પર્યાય
ગડકરીએ કહ્યું કે, ભારતીયોએ જાતિથી ઉપર ઊઠીને હિંદુ સંસ્કૃતિ, હિંદુ ઈતિહાસ અને હિંદુ જીવનશૈલીને સમર્પિત કરવું જોઈએ અને હિન્દુ એ ભારતીય સંસ્કૃતિ છે અને ભારતીય સંસ્કૃતિ હિન્દુત્વનો પર્યાય છે. હિન્દુત્વ સંકુચિત નથી, કોમવાદી નથી અને જાતિવાદી નથી. હિંદુ ધર્મમાં દરેકનો સમાવેશ થાય છે, તે રાષ્ટ્રનું ગૌરવ છે.
ગડકરીએ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વાત કરી હતી
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીએ સુપ્રીમ કોર્ટના 2019ના અયોધ્યા ચુકાદા વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, તે સમયે અમે અપેક્ષા રાખતા હતા કે ઇતિહાસ, સત્ય અને પુરાવાના આધારે ન્યાય મળવો જોઈએ અને સુપ્રીમ કોર્ટે પ્રભુ રામ ચંદ્રના અનુયાયીઓને તે ન્યાય આપ્યો.” આ મુદ્દો સાંપ્રદાયિક કે જાતિ સંબંધિત નથી, પણ રાષ્ટ્રીય છે અને લોકો હવે ખુશ છે કે, ભગવાન રામના જન્મસ્થળ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને આપણે બધાને 22 જાન્યુઆરીએ તેની મુલાકાત લેવાનો અવસર મળશે.


