- ભ્રામક જાહેરાત મામલે બાબા રામદેવ સુપ્રિમ કોર્ટમાં થયા હાજર
- કોર્ટે એફિડેવિટ દાખલ ન કરવા બદલ આપ્યો ઠપકો
- બાબા રામદેવે માફી પણ માંગી
ભ્રામક જાહેરાત મામલે આજે યોગ ગુરુ બાબારામદેવ સુપ્રિમકોર્ટમાં હાજર થયા હતા. કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ કોર્ટે ઠપકો આપ્યો હતો. આ દરમિયાન યોગ ગુરુ બાબા રામદેવ કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે બિનશરતી માફી માંગી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે પતંજલિ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામા પર અસંતોષ વ્યક્ત કર્યો હતો.
બાબા રામદેવે માંગી માફી
યોગ ગુરુ રામદેવ અને પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણ ભ્રામક જાહેરાતોના કેસમાં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. બાબા રામદેવ વતી હાજર રહેલા એડવોકેટ બલબીરે કહ્યું કે ભવિષ્યમાં આવું નહીં થાય. અગાઉ જે ભૂલ થઇ ગઇ તે બદલ માફી માંગીએ છીએ. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે માત્ર સુપ્રીમ કોર્ટ જ નહીં પરંતુ દેશની કોઈપણ કોર્ટના આદેશનું ઉલ્લંઘન ન થવું જોઈએ. કોર્ટે પતંજલિની માફી સ્વીકારી ન હતી. હવે આ કેસની વધુ સુનાવણી 10 એપ્રિલે થશે. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને કોર્ટમાં હાજર રહેવું પડશે.
કોર્ટે આપ્યો ઠપકો
સુપ્રીમ કોર્ટે મંગળવારે (02 એપ્રિલ) બાબા રામદેવને પતંજલિના ઔષધીય ઉત્પાદનોની ભ્રામક જાહેરાતો પર તેના નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ સખત ઠપકો આપ્યો હતો. આ દરમિયાન યોગ ગુરુ બાબા રામદેવ કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે બિનશરતી માફી માંગી હતી. મહત્વનું છે કે આ મામલે પતંજલિ દ્વારા સોગંધનામુ દાખલ કરવામાં આવ્યું હતું જેના એમ.ડી બાલકૃષ્ણન છે. પરંતુ બાબા રામદેવને પણ વ્યક્તિગત રૂપથી એફિડેવિટ આપવાનું હતું. બાબા રામદેવના વકીલે કહ્યું કે રામદેવ અંગત રીતે હાજર થઈને માફી માંગવા ઈચ્છે છે. કોર્ટે કહ્યું કે આ પહેલા એફિડેવિટ આપવું જોઈતું હતું. વધુમાં જણાવ્યું કે શું તમે કોર્ટને પૂછીને એફિડેવિટ લખશો. આ વલણને કોર્ટે અસ્વીકાર્ય ગણાવ્યું હતું. કોર્ટે એ વાત પર સવાલ ઉઠાવ્યા કે 21 નવેમ્બરે કોર્ટમાં એફિડેવિટ આપ્યા બાદ પણ પતંજલિએ ભ્રામક જાહેરાત આપી હતી.
આગામી સપ્તાહે હાથ ધરાશે સુનાવણી
કોર્ટે કહ્યું કે બાબા રામદેવે યોગ માટે સારું કામ કર્યું છે પરંતુ કાયદા વિરુદ્ધ આવી જાહેરાતો આપી શકાય નહીં. કોર્ટે એમ પણ કહ્યું હતું કે 30 નવેમ્બરના રોજ દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં પતંજલિએ કોર્ટમાં ખોટો દાવો કર્યો હતો કે તે અગાઉના એફિડેવિટનું પાલન કરી રહી છે (ભ્રામક જાહેરાતો નથી આપતી). કોર્ટે બાબા રામદેવ અને બાલકૃષ્ણને વધુ સારી એફિડેવિટ દાખલ કરવા માટે સમય આપ્યો હતો. હવે આગામી સપ્તાહે ફરી સુનાવણી હાથ ધરાશે.


