- સગા ફૈબાના દીકરાએ સગીરાને અને તેના ભાઈને મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતું
- નીર્જન સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતુ
- તા. 3 ફેબ્રુઆરીના સગીરાનું સગપણ સાણંદ તાલુકાના એક ગામમાં કરાયુ હતુ
લખતર તાલુકાના એક ગામમાં રહેતા પરીવારની દીકરીને વણા ગામે પરણાવી હતી. જેમાં આ દિકરીના દીકરા વિશાલ પ્રહલાદભાઈ ભોજૈયા કે જે સગા ફૈબાનો દિકરો થાય તેના માટે પરીવારની સગીરાનું માગુ આવ્યુ હતુ. પરંતુ પરીવારજનોએ ના પાડી હતી. બાદમાં તા. 3 ફેબ્રુઆરીના સગીરાનું સગપણ સાણંદ તાલુકાના એક ગામમાં કરાયુ હતુ. આ વાત વિશાલને ખબર પડતા સગાઈ તોડી નાંખવા ધમકી આપી હતી. આ બનાવની સગીરાને જાણ થતા તેને પરીવારજનોને જણાવ્યુ કે, આઠેક માસ પહેલા તે માતાજીના માંડવામાં ગઈ હતી. ત્યારે વિશાલ ભોજૈયા તેને નીર્જન સ્થળે લઈ ગયો હતો. અને સગીરાને કેનાલમાં ફેંકી દેવાની તથા તેના નાના ભાઈને મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતુ. આ બાદ પણ અવારનવાર ખેતરે લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતુ. આથી સગીરાના પરીવારજનોએ તા. 2 માર્ચ 2024ના રોજ વિશાલ પ્રહલાદભાઈ ભોજૈયા સામે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેલવાસ ભોગવતા આરોપી વિશાલે કેસની ચાર્જશીટ ફાઈલ થતા સ્પેશ્યલ પોકસો કોર્ટમાં જામીન પર મુકત થવા અરજી કરી હતી. કોર્ટે આ અરજી નામંજુર કરી છે.


