બલૂચિસ્તાનમાં ટ્રેન અપહરણની ઘટનાની જવાબદારી ટાળવા માટે, પાકિસ્તાને ભારતને નિશાન બનાવવાની યુક્તિ અપનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારત સરકારે PAKને જડબાતોડ જવાબ આપ્યો છે અને તમામ આરોપોને સંપૂર્ણ રીતે ફગાવી દીધા છે. પાકિસ્તાને અગાઉ ટ્રેન અપહરણમાં પોતાની નિષ્ફળતા છુપાવવા માટે અફઘાનિસ્તાનને જવાબદાર ગણાવ્યું હતું.
પાકિસ્તાને પોતાના દેશમાં સ્થિતિ સુધારવા પર ધ્યાન આપવું જોઈએ
વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ‘ભારત પાકિસ્તાનના પાયાવિહોણા આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢે છે. આખી દુનિયા જાણે છે કે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર ક્યાં છે. પાકિસ્તાને પોતાની આંતરિક પરિસ્થિતિની નિષ્ફળતા માટે અન્યો પર આંગળી ચીંધવાને બદલે આત્મમંથન કરવું જોઈએ. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદ સંબંધિત સત્ય સમગ્ર વિશ્વની સામે છે અને પાકિસ્તાને પોતાના દેશમાં સ્થિતિ સુધારવા પર ધ્યાન આપવું જોઈએ.
પાકિસ્તાને ભારત પર પાયાવિહોણા આક્ષેપો કર્યા હતા
11 માર્ચના રોજ વિદ્રોહી જૂથ બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં જાફર એક્સપ્રેસને હાઇજેક કરી હતી. ટ્રેનમાં 400 થી વધુ મુસાફરો હતા, જેમાંથી મોટાભાગના સૈનિકો અથવા પોલીસ અને ISI સાથે સંકળાયેલા સુરક્ષા કર્મચારીઓ હતા. મીડિયા અહેવાલો અનુસાર, લગભગ 155 મુસાફરોને કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને બચાવ અભિયાનમાં 27 બલૂચ બળવાખોરો માર્યા ગયા છે. આ નિષ્ફળતા છુપાવવા માટે તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે ભારત પર પાયાવિહોણા આક્ષેપો કર્યા હતા. બળવાખોરો દ્વારા ટ્રેન અપહરણ અંગેની પોતાની નિષ્ફળતા છુપાવવા માટે, તેણે કોઈ પુરાવા વિના કહ્યું હતું કે બલૂચ બળવાખોરોને ભારત તરફથી સમર્થન મળી રહ્યું છે.
પાકિસ્તાન ચારે બાજુથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે
પાકિસ્તાન ચારે બાજુથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. બલૂચિસ્તાનમાં ટ્રેન અપહરણની ઘટનાને રશિયા અને અફઘાનિસ્તાન જેવા મિત્ર ગણાતા દેશો તરફથી તો ઠપકો મળ્યો જ, પરંતુ ભારત તરફથી પણ તેને થોડો ઠપકો મળ્યો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જાફર એક્સપ્રેસના અપહરણમાં ભારતની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે પાકિસ્તાનની આ બકવાસ વાતને સખત રીતે નકારી કાઢી છે.


