- મંદિરો આસપાસ ગંદકી, બિનઆરોગ્યપ્રદ વાતાવરણ અંગે હાઈકોર્ટનો હુકમ
- પ્લાસ્ટિક બોટલ્સ, ડિસ્પોઝેબલ્સનો ઉપયોગ ટાળવા કોર્ટે સરકારને નિર્દેશ કર્યો
- યાત્રાધામમાં નળ મારફ્તે પાણીની વ્યવસ્થા પૂરી પાડવા સરકારપક્ષને તાકીદ
જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતાજીના મંદિર અને દત્તાત્રેય ભગવાનના મંદિરની આસપાસ ગંદકી અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણને લઇ ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની રિટમાં હાઇકોર્ટે રાજય સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓને ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લાદવા મહત્વનું સૂચન કર્યું હતું.
હાઇકોર્ટે પ્લાસ્ટિકની બોટલો અને અન્ય ડિસ્પોઝેબલ ચીજવસ્તુઓના ઉપયોગને ટાળી શકાય તેવી વૈકલ્પિક વ્યવસ્થા વિચારવા અને તેને અમલી બનાવવા પણ સરકારને જણાવ્યું હતું.
અગાઉ હાઇકોર્ટે શબરીમાલા અને વૈષ્ણૌદેવી મંદિરની સ્વચ્છતા પરથી સરકાર કંઇ બોધપાઠ લે તેવી માર્મિક ટકોર કરી સરકારને ફ્ટકાર પણ લગાવી હતી, ત્યારબાદ સરકારી તંત્ર હરકતમાં આવ્યું હતું અને યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. આ કેસમાં તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટને ધ્યાનમાં લઇ ગિરનાર પર્વત સહિત ધાર્મિક સ્થાનોમાં આ પ્રકારે પ્લાસ્ટિકની બોટલો અને ડિસ્પોઝેબલ વસ્તુઓના ઉપયોગને લઇ હાઇકોર્ટે ગંભીર ચિંતા વ્યકત કરી હતી અને સરકારપક્ષને મહત્ત્વનું સૂચન કરતાં જણાવ્યું હતું કે, સરકાર અને સત્તાવાળાઓએ ગિરનાર પર્વત અને આવા ધાર્મિક સ્થાનો પર પ્લાસ્ટિકના ઉપયોગ પર સર્વગ્રાહી રીતે પ્રતિબંધ લગાવવાની દિશામાં કવાયત હાથ ધરવી જોઇએ. હાઇકોર્ટે ગિરનાર પર્વત સહિતના યાત્રાધામમાં નળ મારફ્તે પાણીની વ્યવસ્થા પૂરી પાડવા તેમ જ પ્લાસ્ટિકની બોટલો અને અન્ય ડિસ્પોઝેબલ ચીજવસ્તુઓનો ઉપયોગ ના થાય તે માટેની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા પણ સરકારપક્ષને તાકીદ કરી હતી.


