- બાંગ્લાદેશમાં હિંસા, આગચંપી, લૂંટફાટને લઈ ગુરુવારે બેઠક યોજાઈ
- દેશમાં હિંસા ફેલાવતા તત્વો સામે કડક પગલાંની જાહેરાત
- શેખ હસીના સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ બદ્દતર
પાડોશી દેશ બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ ત્યાં હિંસાની વિકરાળ આગ ફેલાઈ ચુકી છે. આખો દેશ હિંસા, લૂંટફાટ, હત્યા અને આગચંપીમાં લપેટાઈ ગયો છે. જેથી બાંગ્લાદેશ સૈન્ય અને બીજા હથિયારધારી દળોએ સરકારી એજન્સીઓની સાથે મળીને ગુરુવારે સાંજે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં દેશમાં હિંસા, આગચંપી અને તાંડવને રોકવા પગલાં ઉઠાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. અરાજકતા, આગચંપી, હત્યા તેમજ અન્ય પ્રવૃત્તિઓ રોકવા કડકમાં કડક પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પોલીસ સ્ટેશનો ધમધમતા થયા
બેઠકમાં દેશના તમામ પોલીસ સ્ટેશનોમાં આગામી 24 કલાકમાં સેનાની મદદથી ગતિવિધિઓ શરૂ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. નિવેદનમાં સેનાએ આ મામલે દરેકના સહયોગની હાકલ કરી છે.
નવ નિયુક્ત પોલીસ મહાનિરીક્ષક મોહમ્મદ મૈનુલ ઇસ્લામે જણાવ્યું હતું કે કેટલાક બિનવ્યાવસાયિક અધિકારીઓ માનવ અધિકારોની પરવા કર્યા વિના પોલીસ દળનો ઉપયોગ કરે છે. જેના કારણે આટલી હિંસા થઈ છે અને તેના કારણે પોલીસકર્મીઓના મોત થયા છે અને ઘણા ઘાયલ પણ થયા છે.
પોલીસકર્મીઓને સૂચના આપી
બેઠકમાં એવું કહેવામાં આવ્યું કે, દેશભરના તમામ પોલીસકર્મીઓને તેમની સંબંધિત કચેરીઓ, જાહેર વ્યવસ્થા વ્યવસ્થાપન, પોલીસ લાઇન્સ અને બેરેકમાં પાછા ફરવા માટે પહેલેથી જ સૂચના આપવામાં આવી છે. પોલીસ કમિશનર અને જિલ્લાઓના પોલીસ અધિક્ષકો પોતપોતાના અધિકારક્ષેત્રના પોલીસ સ્ટેશનોમાં વ્યાવસાયિકો, વિદ્યાર્થી પ્રતિનિધિઓ, રાજકીય, સિનિયર નાગરિકો અને મીડિયા વ્યક્તિઓ સાથે નાગરિક સંરક્ષણ સમિતિઓની રચના કરશે. અમે જનતાને વિનંતી કરીએ છીએ કે સમિતિ હાલમાં પોલીસ સ્ટેશનો અને પોલીસ સ્ટેશન વિસ્તારોની સુરક્ષા નક્કી કરવા માટે કટોકટીની ભૂમિકા ભજવશે અને તેની અંતિમ રૂપરેખા પછીથી તૈયાર કરવામાં આવશે.


