- ભારતીય સરકારે બાંગ્લાદેશની સ્થિતિને લઈ મહત્ત્વનો નિર્ણય લીધો
- ગત અઠવાડિયે બાંગ્લાદેશમાં ઠેર-ઠેર હિંસાને લીધે વીઝા કેન્દ્ર બંધ કરવામાં આવ્યા
- શેખ હસીના સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી
કેન્દ્ર સરકારે પાડોશી દેશ બાંગ્લાદેશમાં તમામ ભારતીય વીઝા કેન્દ્રોને આગામી નોટિસ સુધી બંધ કરી દીધા છે. આ અઠવાડિયાના પ્રારંભમાં મોટાપાયે વિરોધ પ્રદર્શન અને હિંસાને લીધે શેખ હસીનાએ વડાપ્રધાન પદથી રાજીનામું આપીને ભારતમાં શરણ લીધી છે. આ સમગ્ર સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતીય વીઝા કેન્દ્રોએ પોતાના વેબસાઈટ પર અરજદારોને જાણ કરી છે કે આગામી તારીખ અંગે એસએમએસથી જાણ કરવામાં આવશે અને પાસપોર્ટ આગામી દિવસે એકઠા કરવામાં આવશે. નોટિસમાં કહેવાયું છે કે, અસ્થિર સ્થિતિને લીધે તમામ ભારતીય વીઝા આવેદન કેન્દ્ર આગામી નોટિસ સુધી બંધ રહેશે. આગામી અરજી માટેની તારીખ માટે ફોન પર એસએમએસથી જાણ કરાશે. અપીલમાં એવું પણ કહેવાયું છે કે, પાસપોર્ટ આગામી કામકાજના દિવસે મળશે.
બાંગ્લાદેશમાં વીઝા કેન્દ્રો બંધ
સોમવારે શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન પછી ભારતે ઢાકામાં ભારતીય હાઈ કમિશનમાંથી 190 બિન-જરૂરી કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને બહાર કાઢ્યા પછી આ જાહેરાત કરવામાં આવી છે. તમામ રાજદ્વારીઓ બાંગ્લાદેશમાં છે અને મિશનમાં કામ કરી રહ્યા છે. ઢાકામાં હાઈ કમિશન ઉપરાંત, ભારત પાસે ચિત્તાગોંગ, રાજશાહી, ખુલના અને સિલ્હટમાં પેટાકંપની હાઈ કમિશન અથવા કોન્સ્યુલેટ્સ છે.
શેખ હસીના સરકારના પતનનું કારણ
જૂન-2024માં બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓનું અનામત વિરોધી પ્રદર્શન એક વિવાદાસ્પદ નોકરી ક્વોટા સિસ્ટમને લઈ શરૂ થયું હતુ. જેમાં વર્ષ-1971માં મુક્તિ સંગ્રામમાં લડનારા દિગ્ગજોના પરિવારો માટે 30 ટકા અનામત અપાયું હતું. શરૂઆતના ગાળામાં શાંતિપૂર્ણ રહેલું આ વિરોધ પ્રદર્શન પોલીસ દ્વારા કાર્યવાહી કર્યા પછી હિંસક થયું હતું. ત્યારબાદ પ્રદર્શનોએ શેખ હસીનાના 15 વર્ષના શાસન વિરુદ્ધ મોટાપાયે આંદોલન શરૂ કર્યું, જેમાં 76 વર્ષીય નેતા શેખ હસીના સરકારને રાજીનામું આપી તાબડતોબ ભારતમાં શરણ લેવી પડી હતી.
શેખ હસીનાના રાજીનામા પછી સોમવારે પોતાની બહેનની સાથે બાંગ્લાદેશ છોડીને ભારત આવ્યા પછી પણ બાંગ્લાદેશમાં અશાંતિ યથાવત્ છે. આટલું ઓછું હોય તેમ ત્યાં હિંદુઓના સેંકડો ઘર અને દુકાનો-બિઝનેસ કેન્દ્રોમાં તોડફોડ, લૂંટફાટ અને આગચંપી કરવામાં આવી રહી છે. ગુરુવારે નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુની આગેવાની વાળી વચગાળાની સરકાર હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે શપથ લેવા જઈ રહી છે. આ દરમિયાન ભારત સરકા શેખ હસીના માટે એક યુરોપિયન દેશમાં શરણ નક્કી કરવા પર કામે લાગેલી છે.


