– દેશમાંથી ડેરી પ્રોડકટસની નિકાસમાં ૩૬ ટકાનું નોંધપાત્ર ગાબડું
Updated: Nov 12th, 2023
મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં બાસમતિ ચોખાની નિકાસ ૧૪ ટકા વધી ૨.૫૯ અબજ ડોલર રહી છે જે ગયા નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં ૨.૨૭ અબજ ડોલર રહી હતી. ડેરી પ્રોડકટસની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
એગ્રિકલ્ચરલ પ્રોડયૂસ એકસપોર્ટસ ડેવલપમેન્ટ ઓથોરિટી (અપેડા)ના આંકડા પ્રમાણે કૃષિ ઉત્પાદનોની એકંદર નિકાસ ૧૧ ટકા ઘટી ૧૨.૧૯ અબજ ડોલર રહી છે.
વોલ્યુમની દ્રષ્ટિએ બાસમતિની નિકાસમાં ૬.૫૮ ટકા વધારો થઈને ૨૩ લાખ ટન રહેલા પામી છે.નોન-બાસમતિની નિકાસ મૂલ્યની દ્રષ્ટિએ ૧૫.૪૦ ટકા ઘટી ૨.૨૭ અબજ ડોલર રહી છે. ઘરઆંગણે ઉપલબ્ધતા વધારવા સરકાર દ્વારા નિકાસ પર અંકૂશ મુકાતા નોન-બાસમતિની નિકાસમાં ઘટાડો થયો છે.
વોલ્યુમની દ્રષ્ટિએ નોન-બાસમતિની નિકાસ ગયા વર્ષના પ્રથમ છ મહિનામાં ૮૯ લાખ ટનની સામે વર્તમાન વર્ષના આ ગાળામાં ઘટી ૬૮.૮૦ લાખ ટન રહી છે.
ડેરી પ્રોડકટસની નિકાસ ૩૬ ટકાથી વધુ ઘટી ૨૧.૭૦ કરોડ ડોલર રહી છે.ઘઉંની નિકાસ ૯૮ ટકા ઘટી ૨.૧૦ કરોડ ડોલર રહી છે. અન્ય કડધાન્યની નિકાસમાં પણ ઘટાડો થયાનું અપેડાના આંકડા જણાવે છે.