પુરાણોમાં વર્ણન છે કે પોષ માસની પૂર્ણિમાથી લઈને મહા માસની પૂર્ણિમા સુધીમાં પવિત્ર નદીઓનાં શીતળ જળથી સ્નાન કરવાનું ખૂબ મહત્ત્વ છે. વર્ણન છે કે, ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, ગોદાવરી સહિત અન્ય પવિત્ર નદીનાં શીતળ જળથી બ્રહ્મમુહૂર્તમાં સ્નાન કરવાથી મનુષ્યનાં સમસ્ત પાપો બળી જાય છે. મનુષ્ય પાપમુક્ત અને પવિત્ર બની અને અંતે મોક્ષની કેડી પ્રાપ્ય થાય છે.
॥ માઘ માસ પર્યંત સ્નાના સંભવે તુ ત્રયમેકાહં વા સ્નાયત્ ॥
અર્થાત્ જે માનવ લાંબા સમય સુધી સ્વર્ગલોકનો આનંદ અને ભોગ ઇચ્છે છે તેને મહા માસમાં જ્યારે સૂર્ય મકર રાશિમાં સ્થિત હોય ત્યારે પવિત્ર જળાશયમાં પવિત્ર નદીમાં તીર્થસ્નાન અવશ્ય કરવું જોઈએ.
તીર્થસ્નાન કરતાં સમયે આ સંકલ્પ જરૂર કરીએ –
ૐ તત્સત અદ્ય માઘે માસિ અમુક પક્ષે અમુક તિથિમારલ્ય
મકરસ્વ રવિં યાતત્ અમુક ગોત્ર અમુક શર્મા
વૈકુંઠ નિવાસ પૂર્વક શ્રી વિષ્ણુંપ્રીત્યર્થે પ્રાત: સ્નાન કરિષ્યે।
સ્વર્ગલોક ચિરવાસો યેષાં મનસિ વર્તતે।
યત્ર કરિય જલૈ વૈસ્તુ સ્નાન મૃગા ભાસ્કરે॥
શાસ્ત્રમાં વર્ણન છે તે પ્રમાણે માઘ માસ સ્નાનનો સંકલ્પ પોષ મહિનાની પૂર્ણિમાએ લેવામાં આવે છે. જો પૂર્ણિમાએ સંકલ્પ ન લઈ શક્યા તો માઘસ્નાન દરમિયાન પણ આ સંકલ્પ લઈ શકાય છે. સાથે સાથે માઘ માસમાં શ્રી હરિ વિષ્ણુની ઉપાસના, પૂજા-અર્ચના કરવાનું પણ અધિક માહાત્મ્ય છે. શાસ્ત્રની રીત મુજબ આ દિવસોમાં એકટાણું વ્રત કરવાનું પણ માહાત્મ્ય છે.
માન્યતા છે કે માઘ માસમાં શીતળ જળસ્નાન કરવાથી, પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી શરીરમાં તથા મનમાં હકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે. શ્રીહરિવિષ્ણુની પૂજા-અર્ચના તથા દાનકર્મ કરવાથી શ્રીહરિ વિષ્ણુની પ્રાપ્તિ થાય છે અને જીવાત્મા ખૂબ લાંબા સમય સુધી સ્વર્ગના ભોગો ભોગવે છે.
માઘ માસનું ધાર્મિક મહત્ત્વ
ધાર્મિક દૃષ્ટિકોણથી માઘ માસનું મહત્ત્વ વધારે છે. ભારતીય સંવત્સરનો 11મો ચંદ્રમાસ અને દસમો સૌરમાસ એટલે માઘ માસ. આ મહિનામાં મઘા નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોવાથી તેનું નામ માઘ માસ પડ્યું. આ માસમાં શીતળ જળમાં ડૂબકી લગાવનાર વ્યક્તિ પાપમુક્ત થઈને સ્વર્ગલોકના ભોગ ભોગવે છે.
માઘે નિમગ્ના : સલિલે સુશિતે વિમુક્ત પાપસ્ત્રિદિવં પ્રયાન્તિ।
ધર્મગ્રંથ આધારિત માઘ માસનો મહિમા
1. શ્રી રામચરિત માનસ : માઘ માસમાં પ્રયાગમાં સ્નાનદાન, શ્રી હરિપૂજન તથા હરિકીર્તનનું મહત્ત્વ દર્શાવતા શ્રી તુલસીદાસજી રામચરિત માનસમાં
લખે છે,
માઘ મકરગત રવિ જબ હોઈ। તીરતપતિહિં આવ સબ કોઈ,
દેવદનુજ કિન્નર નરશ્રેણી। સાદર મજ્જહીં સકલ ત્રિવેની।
પૂજહી માધવ પદ જલજાતા। પરસી અખ બદુ હરષહી ગાતા ॥
2. પદ્મપુરાણ : પદ્મપુરાણના ઉત્તરખંડમાં માઘ માસનું વર્ણન છે કે, વ્રત-દાન-તપસ્યાથી ભગવાન શ્રી હરિ પ્રસન્ન નથી થતાં જેટલા માઘ શીતળ સ્નાન કરવાથી થાય છે. માટે જ સ્વર્ગલાભ, તમામ પાપોથી મુક્તિ અને ભગવાન વાસુદેવની પ્રાપ્તિ માટે તમામ જીવાત્માએ માઘ માસમાં પવિત્ર જળાશયમાં સ્નાન અવશ્ય કરવું જોઈએ.
માઘસ્નાન માહાત્મ્યની પૌરાણિક કથા
પ્રાચીનકાળમાં નર્મદા નદીના તટ ઉપર સુવ્રત નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે વેદ-વેદાંગ પુરાણો અને શાસ્ત્રનો જ્ઞાતા હતો. અનેક પ્રકારની ભાષાઓનું જ્ઞાન હતું. વિદ્વાન હોવા છતાં જ્ઞાનનો ઉપયોગ ધર્મકાર્યમાં ન કર્યો. આખી જિંદગી ધન કમાવામાં ગાળી દીધી. વૃદ્ધાવસ્થામાં ભાન થયું કે મેં આખી જિંદગી ધન કમાવામાં ગાળી દીધી, પણ પરલોક સુધારવા માટે કંઈ જ નથી કર્યું. એ જ રાત્રિએ ચોરોએ સુવ્રતનું ધન ચોરી લીધું. જોકે, તેને લેશમાત્ર પણ દુ:ખ ન થયું, કારણ કે તેનો જીવ હવે પરમાત્મા તરફ હતો.
પોતાના ઉદ્ધાર માટે માઘ સ્નાન રૂપી મૂળ મંત્ર મળી ગયો. માઘસ્નાનનો સંકલ્પ કર્યો. નવ દિવસ સુધી પ્રાત: શીતળ નર્મદાસ્નાન કર્યું. દશમા દિવસે પ્રાણ ત્યાગ કર્યો. એ જ ક્ષણે વૈકુંઠમાંથી વિમાન આવ્યાં. દિવ્ય પાર્ષદો તેમને વૈકુંઠમાં લઈ ગયા અને સુવ્રતને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ.
આ રીતે માઘ માસમાં પવિત્ર નદીઓમાં જળાશયમાં શીતળ સ્નાન, શ્રીહરિવિષ્ણુની પૂજા-અર્ચના તથા એકટાણું વ્રત અને દાન-પુણ્યનું વિશેષ મહત્ત્વ આપણા શાસ્ત્રકારોએ અને દિવ્ય ગ્રંથોએ બતાવ્યું છે.
માટે જ અનેક આશ્રમોમાં ખાસ કરીને સ્વામિનારાયણ મંદિરોમાં તેમના વિદ્યાર્થીઓને શીતળ કુંભજળ સ્નાન કરાવવામાં આવે છે. સ્વામિનારાયણ મંદિરોમાં આગલી રાત્રે માટીના કુંભોમાં જળ ભરીને આખી રાત ચંદ્ર પ્રકાશમાં રાખવામાં આવે છે અને બીજા દિવસે પ્રાત:કાળમાં ગુરુકુળના વિદ્યાર્થીઓ શીતળ અને પવિત્ર જળથી સ્નાન કરી ધન્યતા અનુભવે છે.