- BCCIએ સચિન અને ધોનીની આપ્યું ખાસ સન્માન
- BCCIએ ધોનીની 7 નંબરની જર્સીને કરી રિટાયર
- અગાઉ સચિનની 10 નંબરની જર્સીને કરી હતી રિટાયર
BCCIએ મહાન ભારતીય બેટ્સમેન, સચિન તેંડુલકરની ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી તેની 10 નંબરની જર્સીને રિટાયર કરી દીધી હતી. હવે BCCIએ પૂર્વ મહાન ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની જર્સી નંબર-7 પણ રિટાયર કરી દીધી છે. એક અહેવાલ મુજબ, BCCIએ મહેન્દ્ર સિંહ ધોનીની લોકપ્રિય અને પ્રતિષ્ઠિત જર્સી નંબર 7 તેમના સન્માનમાં રિટાયર કરી છે. અગાઉ, BCCIએ 2017માં સચિન તેંડુલકરની જર્સી નંબર-10 રિટાયર કરી હતી.
BCCI રિટાયર કરી જર્સી નંબર-7
રિપોર્ટ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે BCCIએ પહેલા જ તમામ ખેલાડીઓને જાણ કરી દીધી છે કે હવે તેમની પાસે નંબર-10ની સાથે નંબર-7ની જર્સી પહેરવાનો વિકલ્પ નથી. BCCIએ ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન ખેલાડીઓ અને તમામ નવા આવનારા યુવા ખેલાડીઓને મહેન્દ્ર સિંહ ધોનીની ઐતિહાસિક જર્સી નંબર 7નો ઉપયોગ ન કરવા સૂચના આપી છે. ભારતીય ક્રિકેટમાં તેમના અભુતપ યોગદાનને કારણે BCCIએ ધોનીના જર્સી નંબરને રિટાયર કરવાનો નિર્ણય લીધો છે.
ધોનીએ 2020માં નિવૃતિ લીધી
મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ન્યૂઝીલેન્ડ સામે 2019 ODI વર્લ્ડ કપની સેમીફાઈનલમાં રમી હતી. તે મેચમાં ધોની ટીમ ઈન્ડિયાને જીત અપાવી શક્યો ન હતો અને લગભગ એક વર્ષ પછી 15 ઓગસ્ટ 2020ના રોજ મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધોનીના રેકોર્ડ
મહેન્દ્ર સિંહ ધોનીએ તેની કારકિર્દીમાં કુલ 90 ટેસ્ટ, 350 વનડે અને 98 T20 મેચ રમી છે. આ ફોર્મેટમાં ધોનીએ અનુક્રમે 38.09ની એવરેજથી 4876 રન, 50.57ની એવરેજથી 10,773 રન અને 37.60ની એવરેજથી 1617 રન બનાવ્યા હતા. આ સિવાય ધોનીએ વિકેટકીપર તરીકે ટેસ્ટમાં 256 કેચ અને 38 સ્ટમ્પિંગ કર્યા હતા. તે જ સમયે, ODIમાં ધોનીએ 321 કેચ અને 123 સ્ટમ્પ આઉટ કર્યા હતા, જ્યારે T20માં તેણે 57 કેચ અને 34 સ્ટમ્પ આઉટ કર્યા હતા.
ધોની ભારતનો સૌથી સફળ કેપ્ટન
ધોની ભારત માટે સૌથી સફળ કેપ્ટન સાબિત થયો છે, અને તે વિશ્વનો એકમાત્ર એવો કેપ્ટન છે જેણે તેની ટીમને ત્રણેય મોટી ICC ટૂર્નામેન્ટ, T20 વર્લ્ડ કપ, ODI વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત અપાવી છે. આ સિવાય ધોનીની કેપ્તાનીમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટ ફોર્મેટમાં નંબર-1 ટીમ પણ બની હતી. તેમની કપ્તાની હેઠળના એક સમયગાળા દરમિયાન, ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં નંબર-1 હતી. ધોનીના આ યોગદાનને માન આપવા માટે BCCIએ તેની જર્સી નંબર 7 રિટાયર કરી દીધી છે.


