મુર્શિદાબાદ જિલ્લાના જાંગીપુર વિસ્તારમાં વકફ કાયદા વિરુદ્ધ એક વિશાળ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બિલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ શરૂ કર્યો હતો. વિરોધ હિંસક બન્યો અને વિરોધીઓએ પોલીસ વાહનને આગ ચાંપી દીધી હતી. આગ લગાવવાની સાથે પથ્થરમારો પણ કરાયો હતો. પ્રદર્શનકારીઓએ રસ્તો બ્લોક કરવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ કાબુ બહાર થઇ હતી. અને પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
વકફ કાયદાના વિરોધ દરમિયાન હિંસા
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ કાયદાના વિરોધમાં શુક્રવારે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. જાંગીપુર વિસ્તારમાં યોજાયેલા વિરોધ પ્રદર્શને હિંસક વળાંક લીધો. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વકફ બિલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પ્રદર્શન કર્યું હતું. જ્યારે પ્રદર્શનકારીઓએ રસ્તો બ્લોક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પરિસ્થિતિ કાબુ બહાર ગઈ. જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઘર્ષણ શરૂ થયું. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે પ્રદર્શનકારીઓએ પોલીસ વાહનોને આગ ચાંપી દીધી. ઘણા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા અને લાઠીચાર્જ કરવો પડ્યો. આ અથડામણ દરમિયાન ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જેમાં કેટલાક પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. અથડામણ બાદ વિસ્તારમાં તણાવ છે અને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વહીવટીતંત્રે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. જ્યારે વિરોધીઓએ સ્પષ્ટ કર્યું છે કે વક્ફ સુધારા બિલ પાછું ખેંચવામાં ન આવે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.
વકફ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો
સંસદના બંને ગૃહો દ્વારા બજેટ સત્રમાં પસાર કરાયેલ વકફ બિલને શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી મળી ગઈ હતી. આ સંદર્ભમાં ગેઝેટ નોટિફિકેશન જારી થતાં વકફ એક્ટ 1995નું નામ પણ બદલીને યુનિફાઇડ વકફ મેનેજમેન્ટ, એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 1995 કરવામાં આવ્યું છે. ઘણા મુસ્લિમ સંગઠનો અને વિપક્ષી નેતાઓ આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. આ ક્રમમાં, વકફ એક્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં છ અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ અંગે વહેલી તકે સુનાવણી કરવાની માંગ કરવામાં આવી છે. વક્ફ કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી આ અરજીઓ પર સુનાવણી કરવા માટે કોર્ટે સંમતિ આપી છે. જોકે, સુનાવણી માટે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.