જશ્નને માતમમાં ફેરવવા માટે જવાબદાર કોણ? બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જ્યારે એક તરફ ખેલાડીઓ 18 વર્ષ બાદ જીતનો જશ્ન મનાવી રહ્યા હતા, રાજકીય નેતાઓ તેમની ક્રેડિટ લઈ રહ્યા હતા, બેંગલુરુ પ્રશાસનને એવું લાગી રહ્યું હતુ કે અમે સુરક્ષા અને વ્યવસ્થામાં કોઈ કચાશ છોડી નથી અને આ જ સમયે સ્ટેડિયમની બહાર આ લોકો જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા હતા. કેટલાક નસીબદાર લોકો હોસ્પિટલ પહોંચી ગયા, કેટલાકને લોકોની ભીડે કચડી નાખ્યા તો કેટલાક ત્યાં જ મોતને ઘાટ ઉતરી ગયા.
આ કોઈ ધાર્મિક કે રાજકીય રેલી નહોતી પરંતુ IPLની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમની જીતનો જશ્ન હતો. ચોંકાવનારી વાત તો એ છે કે એક તરફ આ ભયાનક ઘટના ઘટી રહી હતી અને બીજી બાજુ આ ઘટનાની જાણ હોવા છતા ખેલાડીઓ પોતાની ટ્રોફીનો જશ્ન મનાવતા હતા અને નેતાઓ તેમના સન્માન સ્વીકારી રહ્યા હતા. હવે આ 11 પરિવારના લોકોના મૃત્યુનુ જવાબદાર કોણ? રાજ્યનું લાપરવાહ પ્રશાસન?
પ્રશાસનની સુરક્ષા નિષ્ફળ સાબિત થઈ
હાલ સ્ટેડિયમની બહાર જોઈએ તો ચપ્પલોનો ઢગલો દેખાઈ રહ્યો છે. 35 હજારની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં 3 લાખ લોકો પહોંચી ગયા હતા. સ્ટેડિયમની બહાર ભીડ એટલી હદે વધી ગઈ હતી કે ઘાયલ લોકોને હોસ્પિટલ પણ પહોંચાડી શકાય તેમ નહોતા. જે પહોંચી ગયા તે બચી ગયા. બાકીના 13 થી 33 વર્ષના 11 લોકો એ જ ભીડમાં તરફડીને મૃત્યુ પામ્યા. લોકોની ભીડ સામે સુરક્ષા માટે ઉભેલા પોલીસની સંખ્યા પણ ઓછી પડી. જો કે પ્રશાશન દ્વારા સંપુર્ણ સુરક્ષા અને વ્યવસ્થાના વાયદાઓ કરવામાં આવ્યા હતા. લોકોની સુરક્ષાની જવાબદારી પ્રશાસનની હોય છે. આ ઘટનાને જોતા તેમના આ તમામ વાયદાઓ પોકળ સાબિત થયા છે.
લોકોમાં ક્રિક્રેટના વધતા જતા ક્રેઝનું પરિણામ
13 વર્ષની દિવ્યાંશી, 19 વર્ષની સાહના, 20 વર્ષનો ભૌમિક અને 21 વર્ષનો શ્રવણ…. આ એ નામો છે જે હવે આ દુનિયામાં નથી. લોકોમાં દિવસેને દિવસે ક્રિકેટનો ક્રેઝ વધતો જાય છે. આ ક્રેઝમાં લોકો પોતાના જીવ ગુમાવી દે તેવી સ્થિતિમાં આવી જાય છે. સ્ટેડિયમની બહાર ઉભેલા પોલીસો લોકોને “સ્ટેડિયમમાં ભીડ છે, જગ્યા નથી.” જોર-જોરથી કહેતા રહ્યા પણ ફેન્સ આ જશ્નને જોવા માટે એટલા આતુર હતા કે તેઓ કોઈનું માન્યા નહીં. 600-700 લોકોએ એક સાથે ગેટ તોડી નાખ્યો અને અંદર ઘુસી ગયા. ગાડરીયા પ્રવાહની જેમ અંતે ભીડનો હિસ્સો બનીને તેમણે પોતાના જીવ ગુમાવ્યા.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સ્ટેડિયમની બહાર એવી સુચના ફેલાવવામાં આવી હતી કે ટીમનો રોડ શો રદ્દ કરી દેવામાં આવ્યો છે અને તમામને સ્ડેડિયમમાં ભેગા થવા માટે કહેવામાં આવ્યું છે. ઘણી મહિલાઓ ટિકીટ લીધા વગર આવી છે. પોલીસે મહિલાઓને રોકવાની કોશિશ કરી, પણ તેમણે કોઈનું સાંભળ્યું નહીં અને ગેટ પર ચડી ગઈ અને લોકોએ એકસાથે ગેટ તોડી નાખ્યો. જેના કારણે ભાગદોડ મચી ગઈ. લોકો જમીન પર પડી ગયા અને પાછળથી આવતા લોકોએ તેમને કચડી નાખ્યા.
એકનો એક પુત્ર ગુમાવ્યો
પોતાના એન્જીનિયર દિકરાના મૃત્યુ પર એક પિતાએ પ્રશાસન પર આરોપ મુકતા કહ્યું છે કે તમારી લાપરવાહીના કારણે મે મારા 22 વર્ષના દિકરાને ગુમાવ્યો છે. તમે મારા દિકરાના મૃત્યુ માટે જવાબદાર છો. તમારી ગેરજવાબદારીને કારણે મારો દિકરો આજે રસ્તા પર લાશ બનીને પડ્યો છે. તે મને કહ્યા વિના અહીં આવી ગયો હતો.
મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત
ઘટના બાદ રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રુપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. પણ શું આ 10 લાખ રુપિયા આ મૃતકોના જીવ પાછા લાવી શકશે.?
સ્ટેડિયમની બહાર ફક્ત ચપ્પલો જ બચ્યા
ચોંકાવનારી વાત તો એ છે કે એક તરફ લોકો સ્ટેડિયમની બહાર ઝઝૂમી રહ્યા હતા અને બીજી બાજુ આ ઘટનાની જાણ હોવા છતા ખેલાડીઓ પોતાની ટ્રોફીનો જશ્ન મનાવતા હતા અને નેતાઓ તેમના સન્માન સ્વીકારી રહ્યા હતા, ગળામાં હાર પહેરાવીને તેંમનું સ્વાગત થઈ રહ્યું હતું. સ્ટેડિયમમાં જશ્ન બાદ ખેલાડીઓ પોતાના ઘરે જતા રહ્યા અને નેતાઓના એ હાર મૃતકોના અસ્થિઓ પર ચડાવવા અને ફરી ક્રેડીટ લેવા પહોંચી ગયા. સ્ટેડિયમની બહાર રસ્તા પર પડેલા ચપ્પલો આ ભયાનક ઘટના દર્શાવી રહ્યા છે કે ‘તમામ લોકો જતા રહ્યા હતા, ફક્ત આ ચપ્પલો જ બચ્યા હતા’.