અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
કલેકટરની જાણ વગર કરવામાં આવેલ સોદો કાયદેસર નહી ગણાય : ગૃહમાં વિધેયક રજૂ કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત વિધાનસભા ગૃહમાં સરકાર દ્વારા ‘ગુજરાત અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા અને અા વિસ્તારોની જગ્યામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા બાબત-સુધારા વિધેયક-2026’ રજૂ કરાશે. આ સુધારા વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય અશાંત વિસ્તારોમાં મિલકતોની હેરફેર પર વધુ કડક દેખરેખ રાખવાનો અને કાયદાના દુરુપયોગને અટકાવવાનો છે.
આ વિધેયકમાં કહેવાયું છે કે, સરકારના ધ્યાને આવ્યું છે કે, કેટલાક કિસ્સાઓમાં અશાંત વિસ્તારના કાયદાનું ઉલ્લંઘન કરીને અનૈતિક રીતે મિલકતો કબજે કરવામાં આવતી હતી, જેને રોકવા માટે આ ફેરફારો જરૂરી બન્યા છે.હવે, આ સુધારા કાયદામાં હવે ‘દેખરેખ અને સલાહકાર સમિતિ’ તેમજ ‘નારાજ થયેલી વ્યક્તિ’ જેવી નવી વ્યાખ્યાઓ સ્પષ્ટ કરવામાં આવી છે. નારાજ થયેલી વ્યક્તિમાં એવા અરજદારનો પણ સમાવેશ થશે. જે મિલકતની તબદીલીમાં પક્ષકાર હોય અથવા જે તે વિસ્તારમાં રહેતી વ્યક્તિ જેને સરકાર દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવી હોય.
સૌથી મહત્વનો ફેરફાર ‘નિર્દિષ્ટ વિસ્તાર’ જાહેર કરવાની સત્તામાં છે. રાજ્ય સરકાર, હવે માત્ર હુલ્લડ કે હિંસાના આધારે જ નહીં, પરંતુ જો કોઈ વિસ્તારમાં બે સમુદાયો વચ્ચેની કોમી તંગદિલીને કારણે જાહેર વ્યવસ્થા ખોરવાય તેવી શક્યતા હોય અથવા ત્યાંના લોકોનું અનૈચ્છિક સ્થળાંતર-Distress Migration થવાની ભીતિ હોય, તો તેવા વિસ્તારને પણ ‘નિર્દિષ્ટ વિસ્તાર’ તરીકે જાહેર કરી શકશે. આ માટે સરકાર હવે દેખરેખ અને સલાહકાર સમિતિની સલાહ મેળવીને નિર્ણય લેશે.
આ વિધેયકમાં કરાયેલી જોગવાઈઓ મુજબ, જ્યારે કોઈ વ્યક્તિ અશાંત વિસ્તારમાં મિલકત વેચવા કે તબદીલ કરવા માટે કલેક્ટર પાસે મંજૂરી માંગે, ત્યારે કલેક્ટરે માત્ર પક્ષકારોની સંમતિ જ નહીં, પરંતુ અન્ય ચાર મહત્વની બાબતો તપાસવી પડશે. જેમાં (1) તબદીલી કાયદાની શરતો મુજબ છે કે કેમ ? (2) પક્ષકારોની મુક્ત સંમતિ છે કે કેમ ? (3) મિલકતની કિંમત વ્યાજબી છે કે કેમ ? અને (4) આ વેચાણથી વિસ્તારની કોમી સંવાદિતા ખોરવાય તેવી કોઈ શક્યતા છે કે કેમ?
આ કાયદા હેઠળ રાજ્ય સરકારને વિશેષ સત્તા-Suo Motu Power આપવામાં આવી છે. જો કલેક્ટરે કોઈ મિલકત ટ્રાન્સફરને મંજૂરી આપી દીધી હોય, તો પણ સરકાર તે કેસને ફરીથી તપાસ માટે ખોલી શકે છે. આ ઉપરાંત, અશાંત વિસ્તારોની મર્યાદા નક્કી કરવા માટે હવે ડિજિટલ મેપિંગ અને જીઓ-ફેન્સિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે.
નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેવા માટે મિલકત ગીરો રાખવાની પ્રક્રિયામાં પડતી બિનજરૂરી મુશ્કેલીઓ ઘટાડવા માટે પણ કલમ-9 માં સુધારો કરવામાં આવ્યો છે. કાયદાના અમલીકરણમાં મદદરૂપ થવા માટે હવે એક ‘ખાસ તપાસ ટીમ’ (Special Investigation Team) ની પણ જોગવાઈ છે. તપાસમાં પારદર્શિતા લાવવા માટે કલેક્ટર જરૂર પડે તો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ-SITની મદદ લઈ શકશે. આ ટીમમાં પોલીસ અધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રતિનિધિઓનો સમાવેશ થઈ શકે છે, જેઓ સ્થળ પર જઈને ગુપ્ત તપાસ કરી કલેક્ટરને રિપોર્ટ સોંપશે. અંતે, કાયદામાં જ્યાં પણ ‘અશાંત વિસ્તાર’ શબ્દ છે, તેને બદલે હવે વધુ વ્યાપક એવો ‘નિર્દિષ્ટ વિસ્તાર’ શબ્દ વાપરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
કઈ કઈ બાબતોમાં અરજી રદ થઈ શકશે ?
જો કલેક્ટરને જણાય કે, આ વ્યવહારથી જાહેર વ્યવસ્થા બગડી શકે છે, તો તેઓ અરજી નામંજૂર કરી શકશે. જો કોઈ મિલકતની તબદીલી રદબાતલ ઠરે, તો વેચનારે છ મહિનામાં રકમ પાછી આપવી પડશે અને ખરીદનારે (કે તેના એજન્ટે) મિલકતનો કબજો મૂળ માલિકને સોંપવો પડશે. જો કોઈ પક્ષકાર કબજો સોંપવામાં નિષ્ફળ જાય, તો કલેક્ટર તે મિલકતનો કબજો પોતે લઈ શકશે. કલેક્ટરની મંજૂરી વગર કરવામાં આવેલો કોઈપણ સોદો કાયદાની દૃષ્ટિએ રદબાતલ-Null and Void ગણવામાં આવશે, એટલે કે તેની કોઈ કાનૂની કિંમત રહેશે નહીં.
નિયમો-જોગવાઈઓના ભંગ બદલ દંડ કે સજા
- નિયમોના ઉલ્લંઘન બદલ 5 વર્ષ સુધીની કેદ અને ભારે દંડ
- કાયદાનો ભંગ કરનારને 3થી 5 વર્ષની જેલની સજા થઈ શકે છે, મિલકતની જંત્રી કિંમતના 25 અથવા ~ 1 લાખ (જે વધારે હોય તે) દંડ તરીકે વસૂલવામાં આવશે.
- મંજૂરી વગરના સોદાઓ કાયદાકીય રીતે રદબાતલ
- જો કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ દસ્તાવેજ કે મિલકત હસ્તાંતર કરવામાં આવ્યું હશે, તો તે વ્યવહારને કાયદાકીય રીતે રદબાતલ (Null and Void) ગણવામાં આવશે, જેની કોઈ કાનૂની માન્યતા રહેશે નહીં.
- ખોટી માહિતી આપવા બદલ ફોજદારી ગુનો બનશે, જો મંજૂરી મેળવવા માટે કોઈ પક્ષકાર દ્વારા બનાવટી દસ્તાવેજો કે ખોટા સોગંદનામા રજૂ કરવામાં આવશે, તો તેમની સામે કડક ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે


