અંકલેશ્વરમાં 50 વર્ષ જુની ડ્રેનેજ લાઇનને બદલે કરોડોના ખર્ચે નવી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ પાલિકાના અધિકારીઓએ જાણે આ કામગીરી અભણ કારીગર ઉપર છોડી દીધી હોય તેવો ઘાટ ઘડાયો છે. કેમ કે 50 વર્ષ પહેલા નાખેલા પાઇપની સાઇઝના જ પાઇપ નવી કામગીરીમાં નાખવામાં આવ્યા છે જેના કારણે સમસ્યાનો હલ નીકળવાના બદલે અંકલેશ્વરમાં ડ્રેનેજની સમસ્યા વધુ વકરશે તેવુ લોકોને લાગી રહ્યું છે.
નગરપાલિકા દ્વારા હાલમાં અંદાજીત રૂા.10 કરોડથી પણ વધુની માતબર રકમથી શહેરના પિરામણનાકા પાસે ડ્રેનેજની કામગીરી શરૂ કરવામાં આવી છે.જાણવા મળ્યા મુજબ ડ્રેનેજ લાઇન આશરે 50 વર્ષ જુની છે. જે ભુતકાળમાં પાલિકાતંત્રના હદ વિસ્તારમાં આવતી વસ્તીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હશે, પરંતુ વર્તમાન સમયમાં પણ ડ્રેનેજની કામગીરીમાં જુની ડિઝાઇન અને માપ મુજબના જ સિમેન્ટના પાઇપ નાખવામાં આવી રહ્યા છે.આજની સ્થિતિએ નગરપાલિકા હદમાં વિસ્તાર વધવાની સાથે વસ્તીમાં પણ ઉલ્લેખનીય વધારો નોંધાયો છે એટલે ડ્રેનેજ લાઇનની પાઇપ અગાઉ કરતા બે ગણી મોટી હોવી જોઇએ. જો કે આ અંગે અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફ્સિર કેશવ ક્લોડિયા પણ યોગ્ય પ્રાત્યોત્તર આપી શક્યા નહોતા.


