- ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં તોડફોડનો આક્ષેપ
- TDO સાથે ગેરવર્તન કરી ધમકી આપ્યાનો આક્ષેપ
- ઓફિસ કર્મીઓમાં ડરનો માહોલઃ મનસુખ વસાવા
ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને અનેક આક્ષેપો કર્યા છે. મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર ડેડીયાપાડા તાલુકા પંચાયત કચેરી ખાતે તોડ ફોડ અને અધિકારીઓ અને કર્મચારીઓને ધાક ધમકી આપવાના ગંભીર આરોપો લગાવ્યા છે.
મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આક્ષેપો કરતાં કહ્યું છે કે ડેડીયાપાડામાં તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સાથે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ધાકધમકી કરવામાં આવે છે. બંધ ઓફિસમાં ઓફિસ સ્ટાફના બીજા લોકોને બહાર કાઢી મૂકી અધિકારીઓ સાથે ગેર-વર્તન કરવામાં આવે છે.
વસાવાએ વધુ આરોપો લગાવતા કહ્યું છે કે ચૈતર વસાવાના વર્તનને કારણે ઓફિસના કર્મચારીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. તેમણે વધુમાં આહ્વાન કરતાં કહ્યું, “આ બાબતની જાણ થતાં હું તત્કાલિક ડેડીયાપાડામાં પહોચી રહ્યો છું. જેથી બીજા તાલુકા પંચાયતના સભ્યો કચેરીએ પહોંચે. કોઈ પણ કર્મચારીઓને ગભરાવવાની જરૂર નથી સરકાર તમારી સાથે છે.”


