- ભરૂચ જિલ્લામાં મંગળવારે મોસમના પહેલાં વરસાદની મજા લોકોએ માણી હતી.
- ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા પંથકમાં વરસાદથી વારાવરણમાં ઠંડક પ્રસરી હતી.
- 24 કલાકમાં જિલ્લામાં કુલ 5 મીમી વરસાદ : અંકલેશ્વરમાં 15મીમી નોંધાયો
મુશળધાર વરસાદ ભરૂચ જિલ્લામાં વરસે તે અંગે હજી રાહ જોવી રહી. એક આગાહી મુજબ 20 મી જૂન કે ત્યારબાદ ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસે તેવી સંભાવના છે. પરંતુ એ અગાઉ મેઘરાજાએ આજરોજ વરસાદનું ટ્રેલર બતાવ્યુ હતુ.
મળતી માહિતી મુજબ ગતરોજ સમીસાંજથી ભરૂચ જિલ્લામાં વરસાદનું વાતાવરણ થતા આજે સવારે 6 વાગ્યા સુધી પુરા થતા 24 કલાક દરમ્યાન જિલ્લામાં કુલ 5 મીમી વરસાદ વરસ્યો હતો. જો કે અન્ય તાલુકાઓમાં પણ ઝરમર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગતરોજ સમી સાંજથી વરસાદના અમીછાંટણા વરસવાની શરૂઆત થઈ હતી નેત્રંગ તાલુકામાં 5 મીમી વરસાદ વરસ્યો હતો. જયારે આજરોજ સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં જિલ્લામાં કુલ 26 મીમી વરસાદ વરસ્યો હતો. જેમાં અંકલેશ્વર તાલુકામાં 15 મીમી, ઝગડીયા તાલુકામાં 5 મીમી, ભરૂચ તાલુકામાં 1 મીમી, વાલીયા તાલુકામાં 2 મીમી, હાંસોટ તાલુકામાં 3 મીમી વરસાદ વરસ્યો હતો. જયારે વાગરા, નેત્રંગ, જંબુસર, આમોદ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો.
અંકલેશ્વરમાં મેઘરાજાનું આગમન થયું
અંકલેશ્વર : અંકલેશ્વરમાં મંગળવારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ફેલાતા લોકોએ શીતળતા અનુભવી હતી પંચાટી બજાર જેવા ભરચક વિસ્તારમાં પાણીના નિકાલની યોગ્ય સુવિધા ન હોવાથી ત્યાં લોકોએ હાલાકી ભોગવવી પડી હતી.
ઝઘડિયા પંથકમાં મેઘરાજાની પધરામણી
ઝઘડિયાઃ ઝઘડિયા પંથકમાં મેઘરાજાએ પાણી સ્વરૂપે હેત વરસાવી વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી. તો વરસાદની હાજરીથી માર્ગો પાણીથી ધોવાયા હતા. બપોર સુધી પંથકમાં જાણે ચોમાસુ બેસી ગયું હોય તેવો માહોલ છવાયો હતો.


