- ભરૂચ જિલ્લામાં સ્કૂલવાન હડતાલનો પ્રથમ દિવસ સફળ
- સરકાર અને આરટીઓના નવા નિયમોના પગલે આર્થિક ભારણ વધી જશે
- ભરૂચના સ્કૂલવાનના ચાલકોએ કલેક્ટરને રજૂઆત કરી હતી.
ભરૂચ જિલ્લામાં સ્કુલવાન હડતાલનો આજે પ્રથમ દિવસ હતો જેમાં સ્કુલવાનના ચાલકોએ સ્કુલવર્ધીના કામકાજથી અળગા રહ્યા હતા તેથી હડતાલ 100 ટકા સફળ સાબિત થઈ હતી. સ્કુલવાન ચાલકોએ ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને પોતાની માંગણી અંગે રજુઆત કરી હતી. તેમજ તેના નિરાકરણ અંગે વિનંતી કરી હતી. ત્યારે વાગરા ધારાસભ્યે આ અંગે યોગ્ય કરવા ખાત્રી આપી હતી.
ભરૂચ જિલ્લામાં ફરતી સ્કુલવાનની આજે હડતાલના પ્રથમ દિવસે હડતાલ 100 ટકા સફળ સાબિત થઈ હતી. જેના પગલે વહેલી સવારના સમયે વાલીઓ શાળાએ પોતાના સંતાનોને મુકવા જતા જણાયા હતા. આવી પરિસ્થિતિમાં ભરૂચ જિલ્લાના વાન ચાલકો પૈકી આશરે 100 વાન ચાલકો ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ભેગા થયા હતા. ભેગા થયેલા વાનચાલકોએ જિલ્લા કલેકટરને સમસ્યાઓ જણાવી લેખિતમાં પણ રજુઆત કરી હતી. ત્યારબાદ વાનચાલકો વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને મળી રજુઆત કરી હતી.
વાનચાલકોના આગેવાનોએ જણાવ્યુ હતુ કે, તેઓની આર્થિક પરિસ્થિતિ ખુબ નાજુક છે. જેમ તેમ કરીને તેઓ પોતાના કુટુંબનુ ભરણપોષણ કરી રહ્યા છે ત્યારે સરકાર અને આરટીઓના નવા નિયમોના પગલે તેમની પર આર્થિક ભારણ વધી જશે અને સાથે જ તેઓ જો સ્કુલવાનમાં આવતા બાળકોના વાલીઓ પાસેથી વધુ ભાડૂ વસુલશે તો વાલીઓને પણ આર્થિક સંકટ ઉભુ થશે, જેના પગલે આ સમસ્યાઓ અંગે યોગ્ય કરવા માગ કરી હતી.
આ સમયે ધારાસભ્ય અરૂણસિંહ રણાએ જણાવ્યુ હતુ કે, સરકારી ધારાધોરણ મુજબ તમારી તમામ ફરિયાદો અંગે ઉપર સરકારમાં રજુઆતો કરવામાં આવશે અને યોગ્ય સકારાત્મક પરિણામ લાવવા માટે પુરતો પ્રયાસ કરવામાં આવશે. તેવા સમયે વાનચાલકોએ એમ જણાવ્યુ હતુ કે, રાજયમાં દરેક સ્કુલના વાન ચાલકોનું સઘન ચેકીંગ ચાલી રહ્યુ છે. જેના કારણે આરટીઓ કચેરીના નિયમો મુજબ વાનચાલકોને રૂા.10 હજાર દંડ ફટકારવામાં આવ્યો છે જે ઉપરાંત દંડ વસુલ્યા બાદ પણ વાનચાલકોની પ્રાઈવેટ પાર્િંસગ વાનને સ્કુલમાં ફેરવવા માટે યોગ્ય કરવા રજુઆત કરવામાં આવી છે. વધુમાં વાન ચાલકોએ જણાવ્યુ કે, તેઓ આરટીઓના નિયમોનું પાલન કરવા જાય તો વાર્ષિક રૂા.40થી 45 હજાર ખર્ચ થાય છે. જે તમામ ખર્ચનો બોજ સ્કુલના બાળકોના વાલીઓ પર નાંખવામાં આવે તો તેમને પણ પરવડે તેમ નથી. વાનચાલકો ગરીબ અને મધ્યમ પરિવારમાંથી આવતા હોય માત્ર સ્કુલ વાનની આવક ઉપર વાનચાલકોના પરિવાર નભી રહ્યા છે. તેથી દંડ રદ કરવામાં આવે અને હાલમાં આ સમસ્યા અંગે યોગ્ય નિરાકરણ કરી વચ્ચેનો રસ્તો કાઢવામાં આવે કે જેથી વાનચાલકો અને બાળકોના વાલીઓને આર્થિક રીતે પરવડે તેવી રજુઆત કરી હતી.
સ્કૂલ પાર્સિગ વાન અંગે ખાસ કાર્યવાહી કરવા રજૂઆત
સ્કુલવર્ધીની વાનના ચાલકોએ એવી રજુઆત કરી હતી કે, તેમના વાહનને એટલે કે વાનને સ્કુલવર્ધીના વાન તરીકેની કાયદેસરની પરમીશન અપાવવા અંગે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. જે અંગેનો ખર્ચ જે હાલમાં થઈ રહ્યો છે તેના કરતા પોષણક્ષમ કરવા માટે પણ રજુઆત કરી હતી. ધારાસભ્યે જણાવ્યુ હતુ કે, આ અંગે યોગ્ય વિચારણા થઈ શકે તેમ છે. જો કે આ તમામ નિર્ણયો ગુજરાત રાજય સરકારે લેવાના હોય છે. અમે ઉપર રજુઆત કરીશું.
વાલીઓ શાળાએ મુકવા જતાં ટ્રાફિક જામ સર્જાયો
ભરૂચ : સ્કુલવાન હડતાલના પ્રથમ દિવસે વિદ્યાર્થી સંતાનોના વાલીઓ શાળા ખાતે વિદ્યાર્થીઓને મુકવા જતા શાળા વિસ્તારમાં ટ્રાફીકજામની સમસ્યા સર્જાઈ હતી. ભરૂચની જુદી જુદી શાળાઓમાં ગેટ પર વાલીઓની બાઈક અને કારનો જમાવડો થઈ ગયો હતો. આશરે 1 કલાક સુધી વિવિધ શાળા વિસ્તારમાં અવરજવર અંગેની તકલીફ સર્જાઈ હતી.


