- ભાવનગર જિલ્લામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો
- વિશાળ રેત શિલ્પ બનાવી મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ
- જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં રેત શિલ્પનું નિર્માણ
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકીય પક્ષોએ જ્યાં એક તરફ ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે તો બીજી બાજુ લોકો વધુને વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ સહિત વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભાવનગર ખાતે અનોખી રીતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
અનોખી રીતે મતદાર જાગૃતિ કાર્યક્રમ
આગમી 7મી મેના રોજ ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે મતદાન થવાનું છે. જેમાં ભાવનગર બેઠક પર પણ મતદાન યોજાશે. ત્યારે, ભાવનગરની જનતાને વધુમાં વધુ પ્રમાણમાં મતદાન કરવા માટે જાગૃત કરવા માટે અનોખી રીતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કોળિયાકના દરિયાકિનારે રેત શિલ્પનું નિર્માણ
મતદારોને આકર્ષવા અને મતદાન કરવા માટે પ્રેરવાના હેતુથી ભાવનગર જિલ્લાના કોળિયાક ખાતે વિશાળ રેત શિલ્પ બનાવી મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રેત શિલ્પકારો દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા કોળિયાકના દરિયાકિનારે રેત શિલ્પનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, 103 ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં રેત શિલ્પનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રેત શિલ્પના આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ મતદાન કરવાના શપથ લીધા હતા.


