ભરવાડ સમાજના આગેવાનો હોસ્પિટલે દોડી ગયા
અગ્ર ગુજરાત, ભાવનગર
ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં કોળી સમાજ મેદાનમાં પડ્યો હતો. કોળી સમાજના વિરોધ બાદ સરકારે એસઆઈટી રચી અને ટૂંકા ગાળામાં જ પોલીસની કામગીરીની પોલ ખુલી હતી. એસઆઈટીએ આ ઘટનામાં આરોપી જયરાજ આહિરની ધરપકડ કરી હતી. હવે આ કેસ બાદ ભાવનગરના મહુવાના ખુંટવડામાં એક માલધારી શખ્સ અને પોલીસ વચ્ચેના મારામારીના બનાવને લઈને ભરવાડ સમાજ પણ મેદાનમાં ઉતરી ગયો છે.
ભાવનગરના મહુવાના મોટા ખુંટવડા ગામમાં એક માલધારી યુવકને રસ્તા પરથી ઢોર ખસેડવાની બાબતે પોલીસ કર્મચારીઓ સાથે મારા મારીનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવમાં પોલીસે પહેલા માલધારી યુવાન સામે ફરિયાદ નોંધી હતી. હવે આ માલધારી યુવાનને ઈજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેથી પોલીસે PSI અને 2 પોલીસકર્મી સહિત 1 GRD સામે ફરિયાદ નોંધી છે. ભોગ બનનાર માલધારી યુવક ભાવનગર સિવિલમાં દાખલ હોવાથી ભરવાડ સમાજના લોકો તેના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતાં. માલધારી યુવક અને પોલીસની મારામારીનો વીડિયો વાયરલ થયો હતો.


