ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનને અમરેલી નજીક ઉથલાવવાનો કારસો
ચિતલ-ખીજડીયા વચ્ચે રેલવે ટ્રેક પર પથ્થરો અને પોલ ગોઠવી પ્રયાસ કરાયો : એજન્સીઓમાં દોડધામ
અગ્ર ગુજરાત, અમરેલી
ગુજરાતમાં ફરી એકવાર રેલવે ટ્રેક સાથે છેડછાડ કરીને નિર્દોષ મુસાફરોની જિંદગી જોખમમાં મૂકવાનો પ્રયાસ સામે આવ્યો છે. અમરેલી તાલુકાના ચિતલ અને ખીજડિયા રેલવે સ્ટેશન વચ્ચે અજાણ્યા શખ્સો દ્વારા ટ્રેન ઉથલાવવાના ઈરાદે ટ્રેક પર પથ્થરો અને ફેન્સિંગના પોલ ગોઠવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટનાને પગલે રેલવે સુરક્ષા દળ (RPF) અને ગુપ્તચર એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે.
ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેન ચિતલ અને ખીજડિયા સ્ટેશન વચ્ચેથી પસાર થઈ રહી હતી, ત્યારે લોકો પાયલટની સતર્કતાને કારણે મોટી હોનારત ટળી હતી. રેલવે ટ્રેક પર અચાનક મોટા પથ્થરો અને ફેન્સિંગ માટે વપરાતા સિમેન્ટના પોલ આડા પડેલા જોવા મળ્યા હતા. પાયલટે સમયસૂચકતા વાપરી ટ્રેન ઉભી રાખી દીધી હતી અને ટ્રેક પરથી અવરોધો દૂર કર્યા બાદ ટ્રેનને આગળ રવાના કરી હતી.
આ ઘટનાની ગંભીરતાને જોતા રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત અનેક તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ રેલવે પ્રોટેક્શન ફોર્સ-RPF) અને સ્થાનિક પોલીસ ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો અને રેલવે પોલીસની ખાસ ટીમો તપાસમાં જોડાઈ છે.
જે જગ્યાએ આ પથ્થરો મૂકવામાં આવ્યા હતા, તે વિસ્તારની આસપાસ ગાઢ જંગલ જેવી ઝાડીઓ આવેલી છે. તપાસનીશ એજન્સીઓને શંકા છે કે કોઈ અજાણ્યા તત્વોએ અવાવરુ જગ્યાનો લાભ લઈને આ ભયાનક કારસ્તાન કર્યું છે. હાલ પોલીસ આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
બોકસ…
તપાસ એજન્સીઓ એલર્ટ
આ કોઈ માથાભારે તત્વોનું તોફાન છે કે પછી ટ્રેન ઉથલાવી મોટી જાનહાનિ સર્જવાનું કોઈ ઊંડું કાવતરું? તે દિશામાં એજન્સીઓ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. રેલવે વિભાગના એન્જીનયર દ્વારા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો સામે ફરીયાદ નોંધવામાં આવી છે. ઘટનાની ગંભીરતા દાખવી જિલ્લા પોલીસ વડા દ્વારા SOGના પીઆઇને તપાસ સોંવામાં આવી છે.


