- શાળા છૂટવાના સમયે ભીખાપુરાથી ચાર દિશામાં ચાર બસ મુકવામાં આવે તેવી માગણી
- ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ મુશ્કેલી
- બે કિલોમીટરથી માંડીને 12 કિલોમીટર સુધી ચાલવા મજબૂર બન્યાં
પાવીજેતપુરના ભીખાપુરામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ પગપાળા ચાલવા મજબૂર બની ગયા છે. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન હોવાને કારણે વિદ્યાર્થીઓ 12 કિલોમીટર ચાલીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.જેની સીધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પડી રહી છે.
છોટા ઉદેપુર જીલ્લો આદિવાસી જીલ્લો છે.છોટા ઉદેપુર જીલ્લાના બોર્ડનું પરિણામ છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ નબળું આવે છે.જેની પાછળ ઘણાં બધા પરિબળો કામ કરે છે. ત્યારે ભીખાપુરા ખાતે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ 12 – 12 કિલોમીટર પગપાળા ચાલવા અથવા ખાનગી વાહનોમાં હકડેઠઠ ભીડમાં બેસીને શાળાએ આવવા જવા મજબૂર બન્યા છે.જેની સીધી અસર વિદ્યાર્થીઓના પરિણામ પર જોવા મળે છે.
ભીખાપુરા ત્રણ જીલ્લા છોટા ઉદેપુર પંચમહાલ અને દાહોદ જીલ્લાની સરહદે આવેલું છે અને જીલ્લામાં શિક્ષણનું હબ ગણાય છે.ભીખાપુરા ખાતે ત્રણ ખાનગી અને બે સરકારી શાળાઓ આવેલી છે.જેમાં આજુબાજુના તેમજ દાહોદ અને પંચમહાલ જિલ્લાના મળી કુલ લગભગ 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે.મોટેભાગે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે.જેઓ આર્થિક રીતે સક્ષમ નથી.તેમ છતાં વાલીઓ પોતાના સંતાનોને ગમે તે ભોગે અભ્યાસ કરાવી રહ્યા છે.કેટલાક વાલીઓ પોતાના બાળકોને મજબૂરી એ ખાનગી વાહનોમાં ભીડનો ભાગ બનાવીને શાળામાં મોકલવા મજબૂર બન્યા છે ત્યારે શાળાના અસંખ્ય વિદ્યાર્થીઓ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના અભાવે 2 કિલોમીટરથી લઇને 12 કિલોમીટર સુધી પગપાળા ચાલીને શાળાએ આવવા જવા મજબુર બન્યા છે. ભીખાપુરા ખાતે લગભગ 50 થી વધુ ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે.ભીખાપૂરાથી 6 થી 7 કિલોમીટર દૂરના વિસ્તારમાંથી દરરોજ સેંકડો વિદ્યાર્થીઓ સવાર સાંજ ચાલીને અભ્યાસ કરવા આવતા નજરે પડે છે.જેઓ શાળાના સમય કરતા એક થી દોઢ કલાક પહેલા ઘરેથી નીકળીને પગપાળા ભીખાપુરા જાય છે.અને સાંજે શાળા છૂટયા પછી આખા દિવસના અભ્યાસ બાદ થાકીને પગપાળા ઘરે જાય છે.જેઓ ઘરે પહોંચીને થાકીને અભ્યાસ કરવાને બદલે સૂઈ જાય છે.આ વિદ્યાર્થીઓ ભણી ગણીને કાઇક બનવા માટે શિયાળો,ઉનાળો અને ચોમાસામાં પગપાળા ચાલીને શાળાએ જઇ રહ્યા છે.ભીખાપુરા ખાતે અભ્યાસ અર્થે આવતા બાળકો માટે વાલીઓએ પોતે ખાનગી વાહનોની વ્યવસ્થા કરી છે લગભગ 50 કરતા વધુ ખાનગી વાહનોમાં બાળકો હકડેઠઠ ભીડમાં એકબીજા ઉપર સવાર થઈને બેસીને શાળાએ અવર જવર કરે છે.આવા ખાનગી વાહનમાં કેટલીકવાર વાહનો રસ્તામાં બગડી જતાં બાળકો પાસે વાહન ચાલકો ધક્કા મરાવવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે.અને આવા ખાનગી વાહનમાં કેપેસિટી કરતા ચાર ઘણા વિદ્યાર્થીઓ બેસાડીને બાળકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.શાળા છૂટવાના સમયે ભીખાપુરાથી ચાર દિશામાં ચાર બસ મૂકવામાં આવે અને છેલ્લા સ્ટેશન રાતવાસો કરીને સવારે શાળા સમય સેટ કરીને ચારેય દિશાની બસો ભીખાપુરા ખાતે આવે અને વિદ્યાર્થીઓને બસ પાસની સુવિધા ભીખાપુરા ખાતે કરવામાં આવે તો પંથકના વિદ્યાર્થીઓની સમસ્યાનો હલ થાય તેમ છે.
કરોડાના આંધણ પછી પણ મુશ્કેલીઓ યથાવત
એકબાજુ સરકાર આદિવાસી બાળકોના અભ્યાસ માટે કરોડો રૂપિયાનું આંધણ કરી રહી છે,નવી નવી યોજનાઓ લાવે છે પરંતુ અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન ની સુવિધા આપવામાં ઉણી ઉતરી હોય તેમ લાગી રહ્યું છે.જેની સીધી અસર વિસ્તારના વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પડી રહી છે.


