- છેલ્લા 14 વર્ષથી સ્વામીનારાયણ મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન
- રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
- ભુજના માર્ગ જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠ્યા
આજે અષાઢી બીજાના દિવસે ભુજમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. છેલ્લા 14 વર્ષથી સ્વામીનારાયણ મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભુજના હમીરસર તળાવ ખાતેથી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળ્યા હતા.
શહેરીજનો ભગવાનના દર્શન કરવા ઉમટ્યા
જગન્નાથજીના રથને સાધુ સંતો અને ભક્તજનો ખેંચી રહ્યા હતા, રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. શહેરના વિવિધ રાજ માર્ગો પર રથયાત્રા ફરી હતી. દર અષાઢી બીજાના દિવસે રથયાત્રા નીકળે છે, જેમાં યુવાનો અને વૃદ્ધો રથયાત્રામાં ભજન,કીર્તન તેમજ દાંડિયાની રમઝટ બોલાવી હતી.
પોલીસે કડક બંધોબસ્ત ગોઠવ્યો
ભુજમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સખ્યામાં ભકતજનો જોડાયા હતા અને ભુજ શહેરના રાજમાર્ગો જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. રથયાત્રાને લઈને કોઈ અણબનાવ ના બને તે માટે પોલીસે કડક બંધોબસ્ત ગોઠવ્યો હતો.


