- ક્ષત્રિય સમાજના આગેવાનોને CM નિવાસ સ્થાને બોલાવવામાં આવ્યા
- ક્ષત્રિય સમાજના આગેવાનોની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મળશે મહત્વની બેઠક
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બેઠકમાં રહેશે હાજર
પરશોત્તમ રૂપાલાના વિરોધમાં 14 એપ્રિલે રાજકોટના રતનપુરમાં ક્ષત્રિયોનું ઐતિહાસિક મહાસંમેલન મળ્યું, જેમાં ગુજરાત અને ગુજરાત બહારથી મોટી સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ-બહેનો-આગેવાનો હાજર રહ્યાં હતા. જો કે આવતીકાલે 16 એપ્રિલે પરશોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાના છે એ વાત નક્કી છે,એ વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યાં છે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં CM ના નિવાસ સ્થાને એક બેઠક મળવા જઈ રહી છે જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહેશે સાથે સાથે ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે.
રૂપાલાએ રાજસ્થાનનો કર્યો પ્રવાસ
પરશોત્તમ રૂપાલા અને કેસરીદેવ સિંહ ઝાલા મહા સંમેલનની આગલી રાત્રે ચાર્ટર્ડ પ્લેન મારફતે જયપુર ગયા હતા અને મહા સંમેલનના દિવસે સવારે રાજકોટ પરત ફર્યા હતા.જયપુર ખાતે સવારે મિટીંગ પણ કરી હોવાની વાત સામે આવી છે,સાથે સાથે રાજસ્થાનમાં ક્ષત્રિય સમાજને લઈ ડેમેજ કન્ટ્રોલ પણ કરવા ગયા હોવાની વાત સૂત્રો પાસેથી મળી રહી છે.
7 એપ્રિલે પણ યોજાઈ હતી બેઠક
ક્ષત્રિય સમાજમાં રોષને શાંત કરવા માટે ગાંધીનગરમાં મંત્રીના નિવાસસ્થાને મોટી બેઠક મળી હતી. નવ જેટલા ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓની બેઠક મળી રહી હતી. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, બલવંતસિંહ રાજપૂત, કેસરીદેવસિંહ ઝાલા તેમજ મહેન્દ્રસિંહ સરવૈયા, આઈ.કે.જાડેજા પણ હાજર રહ્યા હતા. આ બેઠક સાડા ચાર કલાક સુધી ચાલી હતી. બીજી તરફ, રૂપાલા સુરતમાં પાટીદાર સમાજના સ્નેહમિલનમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો અને સમાજના લોકો હાજર રહેશે.
ઉગ્ર વિરોધની આપી હતી ચિમકી
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ થોડા દિવસ પહેલાં ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદનનો વિરોધ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. ગઈકાલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં ગામેગામથી લાખોની સંખ્યામાં ક્ષત્રિય યુવકો આવ્યા હતા. આ સંમેલનમાં ક્ષત્રિય આગેવાનોએ ચીમકી આપતા કહ્યું હતું કે, જો આગામી 19 તારીખ સુધી પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થશે નહીં, તો અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં આંદોનલ કરાશે.
વિરોધનો ફેઝ-2 શરૂ કરવામાં આવશે
આ સંમેલન પૂરું થયા પછી પી.ટી. જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ સંમેલનમાં આમંત્રણ વગર લાખો ક્ષત્રિય ભેગા થયા છે. અમે ક્ષત્રિય સમાજની લાગણી અનુભવીએ છીએ. જોકે, ભાજપવાળા સમજતા નથી. રૂપાલા તેમને રૂપાળા લાગે છે. ભાજપને 400 પાર કરવા ટિકિટ જોઈએ છે. જો રાજપૂતોને ટિકિટ આપે તો 500 પાર બેઠકો થઈ જશે.” તો અન્ય એક ક્ષત્રિય આગેવાને વાત કરતા જણાવ્યું હતું કે, જો આગામી 19 તારીખ સુધી પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થશે નહીં, તો અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં આંદોલન કરાશે. જો ઉમેદવારી રદ થશે નહીં તો વિરોધનો ફેઝ-2 શરૂ કરવામાં આવશે.


