- અયોધ્યા રામમંદિરને લઇને રાજકારણમાં ગરમાવો
- આરજેડીના ધારાસભ્યના પોસ્ટરનો વકર્યો વિવાદ
- VHPએ કડક શબ્દોમાં આપ્યો વળતો જવાબ
હાલમાં અયોધ્યા રામમંદિરને લઇને ચોમેર ઉત્સાહનો માહોલ છે. તો બીજી તરફ રામમંદિરને લઇને રાજકારણ પર જોરશોરથી ગરમાઇ રહ્યું છે. ત્યારે આરજેડીના ધારાસભ્ય ફતેહ બહાદુર સિંહના વિવાદાસ્પદ નિવેદન બાદ વીએચપી નેતાએ વળતો પ્રહાર કર્યો છે. વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે તેહ બહાદુરની ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.
બિહારમાં લગાવ્યા રામમંદિર વિરુદ્ધ પોસ્ટર્સ
આલોક કુમારે કહ્યું કે બિહારમાં રાબડી દેવીના ઘરની બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જેની ભાષા ખૂબ જ ખરાબ છે. પોસ્ટરમાં રામમંદિરને લઇને ખરાબ ભાષાનો ઉપયોગ કરાયો છે. મંદિરને માનસિક ગુલામી તરીકે વર્ણવવામાં આવ્યું છે. આ કહેવું ઘણું ખોટું છે.તેમણે કહ્યું કે જ્યારે લાલ કૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યાની યાત્રા કાઢી હતી ત્યારે પણ લાલુ પ્રસાદ યાદવે તેમની ધરપકડ કરીને તણાવ પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે જ્યારે આખો દેશ ભગવાન રામના મંદિરની રાહ જોઈ રહ્યો છે ત્યારે બિહારમાં આવા પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. આલોક કુમારે કહ્યું કે તેમને ખાતરી છે કે આ સમગ્ર કામમાં આરજેડી પણ સામેલ છે, આ કામ અલગથી કરવામાં આવ્યું નથી.
RJDને જનતા યોગ્ય જવાબ આપશે
આલોક કુમારે કહ્યું કે આ પ્રકારનું કામ કરીને ફરી એકવાર તણાવ ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે મંદિરમાં ભગવાનનો વાસ થાય તે પહેલા દેશની શાંતિ અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનું સુનિયોજિત ષડયંત્ર છે. તેમણે કહ્યું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે દેશની જનતા આરજેડીને ચોક્કસ જવાબ આપશે. હાલ દેશમાં ચૂંટણીનો માહોલ છે. આવા કામ માટે ભારતની જનતા ચૂંટણીમાં આરજેડીને જવાબ આપશે.
શું છે સમગ્ર મામલો ?
1 જાન્યુઆરીએ પટનામાં પૂર્વ સીએમ રાબડી દેવીના ઘરની બહાર રામ મંદિરને લઈને એક વિવાદાસ્પદ પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. જેના પર મંદિર વિશે ઘણી વાંધાજનક વાતો લખવામાં આવી હતી. પોસ્ટરમાં આરજેડી ધારાસભ્ય ફતેહ બહાદુર સિંહની તસવીર પણ હતી. પોસ્ટરમાં લખ્યું હતું કે મંદિર એટલે માનસિક ગુલામીનો માર્ગ અને શાળા એટલે જીવનમાં પ્રકાશનો માર્ગ. આ સાથે લખ્યું હતું કે જ્યારે મંદિરની ઘંટડી વાગે છે ત્યારે આપણે અંધશ્રદ્ધા અને પાખંડ તરફ આગળ વધીએ છીએ, જ્યારે શાળાની ઘંટડી વાગે છે ત્યારે આપણે તાર્કિક જ્ઞાન અને વૈજ્ઞાનિકતા તરફ આગળ વધીએ છીએ. આવી સ્થિતિમાં, તમે કઈ દિશામાં જવા માંગો છો તે નક્કી કરવાનું તમારા પર છે. આ પ્રકારના પોસ્ટરને લઇને રાજકારણ ગરમાયુ હતું.


