- બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ સહિત વિપક્ષે ઉઠાવ્યો જોગવાઇઓ પર વાંધો
- કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ રાજ્યસભા માંથી કર્યું વોકઆઉટ
- બિલ ચૂંટણીનો આધારસ્તંભ બુલડોઝરથી કચડી નાખવા માંગે છે: સુરજેવાલા
મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂક સંબંધિત બિલ મંગળવારે 12 ડિસેમ્બરના રોજ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું. રાજ્યસભામાં બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ તેની ઘણી જોગવાઈઓ સામે જોરદાર વિરોધ વ્યક્ત કર્યો અને ગૃહમાંથી વોકઆઉટ કર્યું.
રાજ્યસભામાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિમણૂક, સેવાની શરતો અને કાર્યાલયનો કાર્યકાળ) બિલ 2023 પર ચર્ચા દરમિયાન, કોંગ્રેસના સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું હતું કે, “બિલ ચૂંટણીનો આધારસ્તંભ નિષ્પક્ષતા, નિર્ભીકતા, સ્વાયત્તતા અને પવિત્રતાને બુલડોઝરથી કચડી નાખવા માંગે છે.”
કઈ જોગવાઈનો કરવામાં આવ્યો વિરોધ?
સુરજેવાલાએ કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂક જે સમિતિ કરશે તેમાં વડા પ્રધાન, વિપક્ષના નેતા અને વડા પ્રધાન દ્વારા નક્કી કરાયેલા કેન્દ્રીય મંત્રીઓનો સમાવેશ થશે. આવી સ્થિતિમાં સરકારનું નિયંત્રણ સ્થાપિત થશે.
સુરજેવાલાએ કહ્યું કે આ બિલ બંધારણના અનુચ્છેદ 14ની વિરુદ્ધમાં છે. તેમણે દાવો કર્યો કે સરકાર નિષ્પક્ષ અને સ્વતંત્ર મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરો ઈચ્છતી નથી. આ કારણોસર તેમને પોકેટ ઇલેકશન કમિશનર જોઈએ છે જેને તેઓ પોતાની મરજી મુજબ ચલાવી શકે.
કોંગ્રેસે શું ઉઠાવ્યા પ્રશ્નો?
સુરજેવાલાએ કહ્યું કે આ બિલ દ્વારા સરકારે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરો માટે 100 ટકા આરક્ષણ કરી દીધું છે. તેમણે કહ્યું કે બિલમાં એવી જોગવાઈ છે કે આ પદ પર માત્ર નોકરિયાત અથવા પૂર્વ બ્યુરોક્રેટની નિમણૂક કરી શકાય છે. તેમણે પૂછ્યું કે આ પદ પર કોઈ ધારાસભ્યની નિમણૂક કેમ ન થઈ શકે?
તેમણે કહ્યું કે આ બિલ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર પાસેથી ચૂંટણી પાંચના નિયમનનો અધિકાર છીનવી શકાય છે. તેમણે કહ્યું કે એક સમયે ECનો અર્થ થતો હતો કે ‘ઇલેકટોરલ ક્રેડિબિલિટિ’ એટલે કે ‘ચૂંટણી વિશ્વસનીયતા’ એવો થતો હતો જે હવે ‘ઇલેક્શન કંપ્રોમાઇઝ’ એટલે કે ચૂંટણી સમાધાન એવો થાય છે.
ભાજપે જવાબ આપ્યો
ચર્ચામાં ભાગ લેતા, ભાજપના ઘનશ્યામ તિવારીએ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રણદીપ સિંહ સુરજેવાલા અને અન્ય વિપક્ષી નેતાઓના વાંધાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “70 વર્ષ સુધી સરકાર ચૂંટણી કમિશનરની નિમણૂક કરતી રહી, ત્યારે કોઈને કોઈ વાંધો નહોતો. જ્યારે પસંદગી સમિતિની રચના કરવામાં આવી રહી છે ત્યારે તેની સામે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે.” તિવારીએ કહ્યું કે ચૂંટણી પંચના શું અધિકારો છે અને આચારસંહિતા શું છે, તે તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર ટીએન શેષનના આગમન પછી જ ખબર પડી.


