- બિમ્સટેક સમિટ 4 સપ્ટેમ્બરે બેંગકોકમાં યોજાશે
- પીએમ મોદી આ સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
- મુહમ્મદ યુનુસ બાંગ્લાદેશનું પ્રતિનિધિત્વ કરી શકે છે
બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ હવે દેશની કમાન મોહમ્મદ યુનુસના હાથમાં છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલ હિંસા વચ્ચે પીએમ મોદી અને મોહમ્મદ યુનુસની મુલાકાત થવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, PM મોદી અને નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસ બિમ્સટેક સમિટમાં મળી શકે છે. બિમ્સટેક સમિટ 4 સપ્ટેમ્બરે બેંગકોકમાં યોજાવાનું છે. બાંગ્લાદેશ સરકારના વચગાળાના વડા મુહમ્મદ યુનુસ બાંગ્લાદેશનું પ્રતિનિધિત્વ કરી શકે છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી શકે છે. પીએમ મોદી આ સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
પીએમ મોદી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાનો મુદ્દો ઉઠાવી શકે
આવતા મહિને થાઈલેન્ડ બિમ્સટેક સમિટની આગેવાની કરી રહ્યું છે. ભારત, બાંગ્લાદેશ, થાઈલેન્ડ, ભૂતાન, નેપાળ, શ્રીલંકા અને મ્યાનમાર સમાવિષ્ટ આ બહુપક્ષીય સંગઠનનું મહત્વ તાજેતરના વર્ષોમાં વધ્યું છે. તેનું એક કારણ ભારત-પાકિસ્તાનના તણાવને કારણે 2016થી દક્ષિણ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC)ની નિષ્ક્રિયતા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચર્ચાઓ માટે ઘણા બધા મુદ્દાઓ છે. ખાસ કરીને નવી દિલ્હીની નજદીકી શેખ હસીનાને સત્તા પરથી દૂર કર્યા પછી માનવામાં આવે છે કે, પીએમ મોદી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાનો મુદ્દો મોહમ્મદ યુનુસ સાથે ઉઠાવી શકે છે.
ભારત માટે ત્રણ મોટી ચિંતા શું છે?
ભારત માટે ત્રણ મોટી ચિંતા છે. પ્રથમ- ચીનનું દક્ષિણ એશિયાના દેશો તરફ વધતા પગલાં. બીજી- બાંગ્લાદેશ સાથેની સરહદ. અને ત્રીજું – ત્યાં લઘુમતી હિન્દુઓ સાથેનો વ્યવહાર. ચીન છેલ્લા કેટલાક સમયથી બંગાળની ખાડીમાં પોતાનો દબદબો વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે પહેલાથી જ મ્યાનમાર અને શ્રીલંકામાં બંદરો ધરાવે છે. જો ઢાકા નવી દિલ્હી તરફ ઝૂકવાને બદલે બેઈજિંગ તરફ વળે તો તે ભારત માટે વધુ મુશ્કેલીઓ વધારી શકે છે. ભારત તેને પોતાના પ્રભાવનું ક્ષેત્ર માને છે. બીજી સમસ્યા બાંગ્લાદેશમાં અરાજકતાથી ભાગી રહેલા લોકો છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ સૌથી મોટો લઘુમતી સમુદાય
સોમવાર સુધીમાં ભારતે સરહદ પાર કરવાનો પ્રયાસ કરતા લગભગ એક ડઝન બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે. આ લોકો હિંસા અને રાજકીય ઉથલપાથલથી બચવા માટે ભારત આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સરહદ પર હજારો લોકો હજુ પણ ભારતમાં પ્રવેશવાની પરવાનગી માટે વિનંતી કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને નવી દિલ્હી પણ ચિંતિત છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ સૌથી મોટો લઘુમતી સમુદાય છે. એવું માનવામાં આવે છે કે તેમની પાસે શેખ હસીનાની પાર્ટી અવામી લીગ માટે મજબૂત સમર્થન છે. શેખ હસીનાને સત્તા પરથી અચાનક હટાવ્યા બાદ દેશ છોડીને ભારતમાં આશ્રય લીધા પછી હિન્દુ ઘરો, મંદિરો અને વ્યવસાયો પર હુમલાના અનેક ઘટનાઓ સામે આવી છે.


