ભગવાન શ્રીકૃષ્ણની અંતરંગ શક્તિ એટલે રાધારાણી. ભાદરવા સુદ આઠમના શુભ દિને શુક્લ (સુદ) પક્ષના મધ્યાહ્ને ચોર્યાસીકોશી વ્રજમંડલમાં બરસાનાથી નજીક રાવળ ગામમાં ધનાઢ્ય ગોપાધિપતિ દંપતી વૃષભાણજી અને કીર્તિદાદેવીને ત્યાં માતા-પિતાનું સદ્ગ્ય અર્પવા અને ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓના વિસ્તારઅર્થે રાધિકાજીનું પ્રાગટ્ય થયું હતું. ત્રેતાયુગમાં જાનકી, દ્વાપરમાં શ્રીરાધા અવતારે અવતર્યા બાદ ત્રણ વર્ષ પછી ભગવાન વિષ્ણુના આઠમા અવતાર રૂપે આ ધરતી પર શ્રીકૃષ્ણાવતાર સંપન્ન થયો હતો. આમ, શ્રીકૃષ્ણથી રાધિકાજી ઉંમરમાં ત્રણ વર્ષ મોટાં હતાં. જો વ્રજેશ્વરી, રાસેશ્વરી, શ્યામસખી શ્રીરાધાએ વ્રજભૂમિમાં અવતાર ન લીધો હોત તો આપણને બંસીધર, બાંકેબિહારી, શ્રીકૃષ્ણ કનૈયાની બાળલીલાઓની ઝાંખી કદાપિ ન થઈ હોત! આપણને મળ્યા હોત પાર્થસારથિ, દ્વારિકાધીશ, યોગેશ્વર શ્રીકૃષ્ણ! શ્રીરાધિકાજીનો ઉલ્લેખ બ્રહ્મવૈવર્તપુરાણ, ગર્ગસંહિતા અને સુરસાગરમાં ગુપ્ત રીતે દર્શાવ્યો છે. સંતો, મહંતો અને ભાગવતકારો જણાવે છે કે શ્રીરાધાજી અને શ્રીકૃષ્ણ એક જ પરમતત્ત્વ છે. આ પૃથ્વી ઉપર માત્ર લીલાઓ માટે જ તેઓ જુદાં બન્યાં છે.
આ રાધિકાજી કોણ છે અને તેમના ચિંતન સ્મરણથી શું? આ જાણવાની જિજ્ઞાસા પ્રત્યેકના હૃદયમાં અવશ્ય હોય. પ્રેમ, સમર્પણ અને ભક્તિભાવનું સર્વશ્રેષ્ઠ દર્શન એટલે શ્રીરાધાજી. લજ્જા, પ્રેમ, કોમળતા, લાવણ્ય, સમર્પણ વગેરે રાધાજીના દૈવી ગુણો છે. ભારતમાં વિખ્યાત ચાર સંપ્રદાય પૈકીમાંના નિમ્બાર્ક, પુષ્ટિમાર્ગીય અને ગૌડીય વૈષ્ણવ સમાજ આ રાધાષ્ટમી મહોત્સવને ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક ભારતભરમાં ઊજવવામાં આવે છે.
રાધાજી એ કોઈ એક સંપ્રદાય દ્વારા વર્ણવવાની બાબત નથી. રાધાજી તો સર્વ આરાધ્ય અને સર્વ ઉપાસક તત્ત્વ છે. તેઓ પ્રેમમૂર્તિ, કરુણાસરિતા અને અનરાધાર કૃપાની અધિષ્ઠાત્રી દેવી છે. તેઓ કોઇનું પણ દુઃખ જોઇ શકતાં નથી એટલે જ તો તેમના જેવાં કોઈ દયાળુ નથી. ભગવાન શ્રીકૃષ્ણ પાસે કોઇ પાપી જીવ જાય છે ત્યારે શ્રીકૃષ્ણ તેને કસોટીની એરણે ચઢાવે છે. કૃષ્ણ સમજે છે કે આ જીવ અતિ પાપી છે જેથી એને જલદી દર્શન આપી શકાય નહીં, પરંતુ તે જ પાપી જીવ જ્યારે રાધાજીના શરણમાં જાય છે ત્યારે રાધાજીને તે જીવ ઉપર ખૂબ જ દયા આવે છે. રાધાજી શ્રીકૃષ્ણને વિનવણી કરે છે કે હે પ્રભુ! આ જીવ ઉપર આપ કૃપા કરો. આમ, રાધાજીની વિનવણીથી ભગવાન શ્રીકૃષ્ણ તે જીવનો ઉદ્ધાર કરે છે. આ કળિયુગમાં ભગવતીની ઉપાસના પ્રથમ કરો પછી ભગવાનની ઉપાસના. ભક્તિથી ભક્ત થયા પછી જ ભગવાન મળે.
ગીત ગોવિંદ કાવ્યમાં રાધાજીનાં રૂપ-સૌંદર્યનું વર્ણન કરવામાં આવ્યું છે તથા હરિવંશપુરાણ, વાયપુરાણ અને ભાગવતજીમાં રાધાજીનો મહિમા આપણને અપરંપાર જોવા મળે છે. રાધાજીનું સૌંદર્ય અજોડ છે. રાધાજી સ્વયં આનંદ સ્વરૂપ છે. કેવળ પ્રેમભાવ-હિતભાવ જ રાધાજીને પામવાનો માર્ગ છે. સ્વયં રાધાભાવનું જ નામ છે. શ્રીકૃષ્ણને આધીન આખું જગત છે. જ્યારે શ્રીકૃષ્ણ રાધાજીને આધીન છે. પરસ્પર તત્સુખ ભાવનો રસાસ્વાદ કરવા તેઓ નિત્ય પ્રેમલીલા કરે છે, વિહાર કરે છે અને એમાં જ લીન છે. મહાપ્રભુજીએ પોતાની વાણીમાં રાધાજીનું વર્ણન કરતાં તેને `રસરૂપ’ કહ્યું છે. રાધાજીનું નામ સંકીર્તન, સ્મરણ અને ધ્યાન જગતમાં વધી રહેલી કઠોળતા, નિર્દયતા સામેનું અમોઘ શસ્ત્ર છે. જે કઠોળતાને મૃદુતામાં, નિર્દયતાને સ્નેહમાં પરિવર્તિત કરે છે.
રાધાજીના સ્મરણમાત્રથી કળિયુગના જીવાત્માઓનો ઉદ્ધાર થાય છે. આજે પણ વૃંદાવનમાં શ્રીરાધેનું ખૂબ મહત્ત્વ છે. વહેલી સવારે દૂધવાળો દૂધ આપવા આવે ત્યારે મૈયા, રાધે! રાધે! બોલે છે. કોઇનેય ભૂલથી ધક્કો લાગી જાય તો ભૈયા, રાધે! રાધે! બોલે છે. વૃંદાવનની ગલી ગલીઓમાં ઝાડ, ઝાડ પર, પાન પર રાધાજીનાં અવશ્ય દર્શન થાય છે.
શ્રીરાધા આજીવન કૃષ્ણ વિયોગિની જ નથી રહ્યાં, ઉગ્ર તપસ્વિની અને દિવ્ય યોગિની રૂપે સંયમી જીવન જીવીને પ્રેમલક્ષણા ભક્તિની સાક્ષાત્ મૂર્તિ સ્વરૂપા છે. શ્રીરાધા અને શ્રીકૃષ્ણનું અભિન્ન સ્વરૂપ એટલે શ્રીરાધા-માધવ યુગ્મ સ્વરૂપ! આપણાં પુરાણોએ અને ધર્મગ્રંથોએ રાધાને ભગવાન શ્રીકૃષ્ણની આહ્લાદિની શક્તિ કહ્યાં છે. શ્રીરાધિકાજીના માનવ અવતારનું આધ્યાત્મિક અર્થઘટન અને મૂલ્યાંકન કરનાર અનેક સંતોએ પણ શ્રીકૃષ્ણના શ્રીરાધા સાથેના અદૈહિક સંબંધોને અત્યંત ઉચ્ચ કોટિના અને મહાભાવ સ્વરૂપા દર્શાવ્યા છે.