સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ વદ ચોથના દિવસે બોળચોથનું વ્રત કરે છે. બોળચોથ સાથે જોડાયેલી અતિ પ્રાચીન સમયની આ વ્રતકથા ઉલ્લેખનીય છે.
તત્કાલીન સમાજમાં સૌની પાસે બહોળું પશુધન હતું. કહેવાય છે કે ગાય વિનાનું ઘર નહિ, બળદ વિનાનો ખેડૂત નહિ અને ખેતી વિનાનું કુટુંબ નહિ. આવા જ એક કુટુંબના ફળિયામાં ગાય અને નાનો નમણો વાછરડો બાંધેલાં હતાં. વાછરડો ઘઉંવર્ણો હતો એટલે સૌ કોઈ એને ઘઉંલો કહીને સંબોધતા હતા.
શ્રાવણ માસ ચાલી રહ્યો હતો. આ મહિનામાં સાસુજી રોજ નદીએ નહાવા જાય. શ્રાવણ વદ ચોથનો દિવસ હતો. નદીએ જતી વખતે સાસુએ વહુને કહ્યું કે, હું નદીએ નહાવા જાઉં છું. તમે આજે ઘઉંલો ખાંડીને રાંધી રાખજો. (ઘઉંલો એટલે ઘઉંમાંથી બનતી એક વાનગી)
વહુ અતિ ભોળી, ભલી અને આજ્ઞાંકિત હતી. તેણે તો સાસુની આજ્ઞા શિરોમાન્ય ગણીને ઘઉંની વાનગી રાંધવાને બદલે ફળિયામાં બાંધેલા `ઘઉંલા’ વાછરડાને બળપૂર્વક પકડીને ખાંડણિયામાં ખાંડીને મોટા હાંડલામાં ભરી હાંડલું ચૂલે ચડાવી દીધું! પુત્રવધુએ ઘઉંલો રાંધી નાંખ્યો.
સાસુએ નદીએથી આવીને વહુને પૂછ્યું, `વહુ બેટા! ઘઉંલો રાંધી લીધો?’
વહુએ કહ્યું, `હા, બા! પણ ઘઉંલાનાં તોફાન, બરાડા અને ઉધામાથી હું તો થાકી ગઈ. કાપ્યો કપાય નહિ અને ખાંડ્યો ખંડાય નહિ. બસ ભાંભરડા જ નાખ્યા કરે, તોય જેમ તેમ કરી કાપીકૂપી મેં તો રાંધી નાંખ્યો. પુત્રવધૂના આ શબ્દો સાંભળી સાસુ તો શૂન્યમનસ્ક બની ગયાં. સાસુની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસી રહ્યા.
સ્વસ્થ થઈ સાસુએ ઠપકો આપતાં કહ્યું, `વહુ! આ તું શું બોલે છે? આજે બોળચોથ છે. હમણાં વાછરડાની પૂજા કરવા આડોશીપાડોશી આવશે. તેં તો આજે ભારે કરી.’
સાસુએ વહુને માથે પેલું હાંડલું ઉપડાવી ઘરની પછવાડે વાડામાં ઉકરડો હતો તેમાં દાટી દીધું. સાસુ-વહુ તો જાણે કંઈ જ બન્યું નથી તેમ બારણું બંધ કરી ચૂપચાપ બેસી ગયાં. પાડોશીઓને ગોળ ગોળ જવાબ આપી વિદાય કર્યા.
ગોધૂલીનો સમય થયો. ગાય વાડામાં ચરવા ગઈ હતી તે ઘરે આવી. આવી એવી જ વાછરડો ન જોવાને કારણે ભાંભરવા લાગી. આ જોઈ સાસુ-વહુ તો થરથર ધ્રૂજવા લાગ્યાં.
ગાય સીધી વાડામાં ગઈ. ઉકરડામાં હાંડલું દાટ્યું હતું ત્યાં જઈને શિંગડાં ભરાવી હાંડલું ફોડી નાખ્યું. હાંડલું ફૂટતાંની સાથે જ `ઘઉંલો’ સજીવ થઈ ચારેય પગે કૂદકો મારી બહાર નીકળી આવ્યો અને હાંડલાનો કાંઠલો ગાયના ગળામાં પરોવાયેલો રહી ગયો.
સાસુ-વહુએ ઝટપટ કાંઠલો ફોડી નાખ્યો અને ફૂલનો હાર પહેરાવ્યો. થોડીવાર પછી ગાય-વાછરડો આવી ગયાં હશે, એમ માનીને આજુબાજુમાં બધાં પાડોશીઓ ગાય-વાછરડો પૂજવા આવી પહોંચ્યા. સૌએ ગાય-વાછરડાનું વિધિપૂર્વક પૂજન કર્યું.
આ દિવસે સૌએ વ્રત લીધું કે, હે ગાય માતા! સત તમારું, વ્રત અમારું. શ્રાવણ વદ ચોથ એટલે કે બોળચોથના દિવસે સર્વ બહેનોએ પ્રતિજ્ઞા લીધી કે આ દિવસે અમે ખાંડશું કે દળશું નહીં, છરી-ચપ્પુથી છોલશું નહીં કે શાકભાજી સુધારશું નહીં, કંઈ પણ કાપશું નહીં, સીવશું નહીં. આ દિવસે ઘઉંનો ઉપયોગ કરશું નહીં. ગૌમાતાનું પૂજન કરશું, કારણ કે ગૌસેવા એટલે દેવસેવા.
ગાય એ શક્તિ સ્વરૂપા છે અને તેમની અંદર દેવતાઓનો વાસ છે. પૃથ્વી પરની આ કામધેનુને આપણા કોટિ કોટિ પ્રણામ.