- ત્રણ પૂજા દરમિયાન જુદાં અલંકારો અને વસ્ત્રો એટલાં આબેહૂબ હોય છે કે સવારે મા જગદંબા બાળસ્વરૂપ બપોરે યુવા સ્વરૂપ અને સાંજે પ્રૌઢા સ્વરૂપમાં દેખાય છે
અંબાજી દૂર હૈ જાના જરૂર હૈ.
ખેતરમાં ભેંડો અંબાજી હેંડો…
બોલ મારી અંબે જય જય અંબે,
આવા અસંખ્ય નારા ભાદરવી સુદ નોમથી ભાદરવી પૂર્ણિમા દરમિયાન ગુજરાતના દરેક રસ્તા પર આરાસુરી અંબાજી માની પદયાત્રાએ જઈ રહેલા પદયાત્રીઓનાં મુખે સાંભળવા મળે છે. મનમાં ધર્મ, શરીરમાં શ્રમ અને કર્મની હામ સાથે હૃદયમાં મા અંબાની શ્રદ્ધાને સાર્થક કરવા કોઈ પદયાત્રી સુરત તો કોઈ મહારાષ્ટ્રના ધુલિયા કે નાગપુરથી આવે. ભાદરવી પૂર્ણિમાના પદયાત્રીઓની વચ્ચેથી તમે પસાર થાઓ તો તમને મા અંબાની શ્રદ્ધા અને શ્રમના સમન્વયનાં અજીબોગરીબ દૃશ્યો જોવા મળે. એંસી વર્ષના કાકાની ચાલવાની ઝડપ પાસ્તા અને પિઝા ખાતાં આજના યુવાનોની ઐસીતૈસી કરી નાખે. ફક્ત પદયાત્રા જ નહીં ક્યારેક તમને ખાણીપીણીના કેમ્પ પર પેટયાત્રા જેવાં દૃશ્યો પણ જોવા મળે. અમુક શ્રદ્ધાળુઓ તો પેટના બળે સૂતાં સૂતાં બસો કિલોમીટર કાપી માના દ્વારે પહોંચે. ચીઝ, પનીર અને બટરના અસીમિત થર ભલે શરીર પર જામ્યા હોય, પરંતુ મનમાં માની માનેલી માનતા અને અંબાની આસ્થા લઈ છેક અમેરિકા અને લંડનથી આવતા એન.આર.આઈ.ને જોઈને લાગે જ કે મા અંબાની ભૂમિમાં એક ચુંબકીય તાકાત અને સમગ્ર સંસારને ચલાવવાની શક્તિ છે. આરાસુરી મા અંબાનો આરાસુર શબ્દ `આરાસુર સૈકર’ શબ્દ પરથી બન્યો છે. આરા એટલે આર્ય અને સૈકર એટલે શિખર. સદીઓ પહેલાં નાગ જાતિ અને આર્યો જગદંબાની ભક્તિ કરતા ત્યારે આરાસુર શબ્દ આર્યશિખર તરીકે ઓળખાતો હતો. 11મી સદીમાં આરાસણ નગર અંબિકાનગર તરીકે પ્રચલિત થયું એટલે કે આજનું અંબાજી અને તંત્ર ચુડામણી અનુસાર 51 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ એટલે અંબાજી.
વિશ્વમાં સૌથી લાંબી બાવન ગજની ધજા સાથે 29થી પણ વધુ વાર પદયાત્રાનું આયોજન કરનારા જાણીતા સંઘના એક માઈભક્ત પોતાની પદયાત્રાનો એક ચમત્કારિક કિસ્સો ટાંકી કહે છે કે તેમની 12મી પદયાત્રા દરમિયાન કાદરપુર ગામની બાજુમાંથી પસાર થતી વખતે મધમાખીઓનું ઝુંડ ત્રાટકેલું. કેટલાય પદયાત્રીઓનાં શરીર પર મધમાખીઓ બેસવા લાગેલી. બરાબર આ સમયે જ શ્રદ્ધાળુ આયોજકોએ બધા પદયાત્રીઓને એક જ જગ્યાએ સ્થિર ઊભા રહી મા અંબાના નારા લગાવવાનો આદેશ આપ્યો અને માતાનો ચમત્કાર તો જુઓ ઘડી બે ઘડીમાં આ તમામ મધમાખીઓનું ઝુંડ પાછું વળી ગયેલું. વર્ષો પછી આજે પણ આ ચમત્કારને વાગોળી સંઘના પદયાત્રીઓ માની શ્રદ્ધાને સલામ કરે છે.
અન્ય એક પદયાત્રી જેઓ 2023માં પોતાની 34મી પદયાત્રાએ નીકળવાના છે. તેઓ 1992ના મેઘતાંડવને યાદ કરી માની શક્તિના પરચાની વાત કરે છે. 10મી સપ્ટેમ્બર, 1992ની સાલમાં ઉત્તર ગુજરાતના મહેકુબપુરા ગામે કેડસમાં પાણીમાં ગામના તાકતવર યુવાનોએ હજારો પદયાત્રીઓને પોતાના ખભા ઉપર બેસાડી અગર જાડા રોઢવા (દોરડા)ના સહારે અડધો કિમી. પ્રવાહમાંથી સાંગોપાંગ બહાર કાઢેલા. ભક્તિ અને આસ્થાના દર વર્ષે ઊભરાતા આ માનવ ઘોડાપૂર પાછળ કુદરતના કેર સામે મા અંબાની મહેરની અદ્ભુત વાત છે.
વર્ષો પહેલાં પ્લેગ નામની અસાધ્ય બીમારીએ જ્યારે માનવજાતને પોતાના અજગર ભરડામાં લીધેલી ત્યારે અમદાવાદના શ્રેષ્ઠી હઠીસીંગે મા અંબાનાં દર્શને ચાલતાં જવાની બાધા લીધેલી. આજથી 175 વર્ષ પહેલાં 51 બ્રાહ્મણોએ શરૂ કરેલી પદયાત્રા આજે 35 લાખ સુધી પહોંચી તે માનો ચમત્કાર અને શ્રદ્ધા નહીં તો બીજું શું?
જગતજનની આરાસુરી મા અંબાને બે હાથ જોડી પ્લેગના હાહાકારમાંથી મુક્ત કરવા હૃદયપૂર્વક વિનવણી કરેલી અને મા અંબાએ ચમત્કાર સર્જી પોતાનાં વ્હાલાં બાળકોને પ્લેગ નામની મહામારીમાંથી મુક્ત કરી દીધાં અને માની કૃપા તો જુઓ ત્યારબાદ પ્લેગે આજદિન લગી માનવજાતને દેખા દીધી નથી. મા અંબાના ઉપકાર અને અનુગ્રહના પ્રતિસાદ રૂપે ભક્તોએ દર ભાદરવા મહિનામાં પગપાળા ચાલી આરાસુરી મા અંબાનાં દર્શન કરવાની ટેક લીધી અને તેના પરિપાક રૂપે માનું ઋણ ચૂકવવા અમદાવાદના લાલ દંડાવાળા સંઘે આજથી 189 વર્ષ પહેલાં પગપાળા સંઘની શરૂઆત કરેલી. પીતાંબર ધારણ કરી માની ધજાની સાથે સમગ્ર રસ્તા પર પદયાત્રાની પવિત્રતા જાળવતો લાલ દંડાવાળો સંઘ સૌથી જૂનો સંઘ છે.
અન્ય એક પ્રચલિત કથા મુજબ ભાદરવા મહિનામાં પદયાત્રાનું કારણ નોરતાં દરમિયાન માત્ર પોતાના ઘેર પધારવાનું આમંત્રણ આપવાનું છે.
આ પદયાત્રામાં કોઈ ભૂખ્યું કે તરસ્યું રહેતું નથી. આશરે 600થી વધુ ખાણીપીણી અને ભોજનના કેમ્પ, પાણી, દવાઓ વિનામૂલ્યે મળે છે. કહેવાય છે કે અન્નદાન સૌથી મોટું દાન છે.
ભાદરવી પૂનમના મેળાની શરૂઆત 23 સપ્ટેમ્બરે (ભાદરવા સુદ આઠમ) થઈ ગઈ છે અને તા. 29 સપ્ટેમ્બર (ભાદરવા સુદ પૂનમ)ના રોજ દબદબાપૂર્વક પૂર્ણ થશે. આ મેળામાં લગભગ 30 લાખથી વધુ લોકો પગપાળા સંઘ અને પોટલિયા સંઘ દ્વારા માનાં દર્શને પહોંચશે અને એક અંદાજ મુજબ પગપાળા યાત્રાળુઓ અને અન્ય માધ્યમો દ્વારા આવનારી ભક્તોની સંખ્યા આશરે 35 લાખથી પણ ઉપર હશે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે કે જ્યાં લાખોનો માનવમહેરામણ ઉમટવાનો છે તે મંદિરમાં કોઈ દેવીની મૂર્તિ નહીં, પરંતુ વીસાયંત્રની સ્થાપના કરેલી છે. ઉપરાંત આ વીસાયંત્રની સ્થાપના એક ગોખની અંદર કરેલી છે તેની જાણ બહુ ઓછા લોકોને છે. આ યંત્રમાં એકાવન અક્ષરો છે અને યંત્રની બનાવટમાં શુદ્ધ સોનાનો ઉપયોગ કરાયો છે. ગોખના યંત્રનો શણગાર અને પૂજા આંખે પાટા બાંધીને કરવામાં આવે છે, કારણ કે પૂજા દરમિયાન ખુલ્લી નજરથી જોવાનો નિષેધ છે. બંધ આંખોથી કરેલી પૂજા અને શણગાર બાદ પણ માતાજીની સાક્ષાત્ મૂર્તિ હોવાનાં અદ્દલ દર્શન એ માતાજીનો કમાલ નહીં તો બીજું શું?
અંબાજી મંદિરની સ્થાપત્યકળામાં ઈ.સ. 1192માં વડનગર ગામમાં આવેલા સોમપુરા અને પરમાર વંશના જશપાલજીનો ફાળો વિશેષ હતો. એક પ્રચલિત પૌરાણિક કથા મુજબ ભગવાન શિવે સતીના શબના જે બાવન ટુકડા કર્યા તેમાંથી 51 શક્તિપીઠો બની અને બાવન ટુકડા પૈકી હૃદયનો ભાગ અંબાજીમાં પડ્યો. આથી આ સ્થળ આદ્ય શક્તિપીઠ તરીકે પ્રચલિત બન્યું. અંબાજી મંદિરના પૂજારી તરીકેનું કાર્ય માત્ર સિદ્ધપુર ગામના મૌનસ ગોત્રના દીક્ષા લીધેલા ઔદિચ્ય બ્રાહ્મણ કરી શકે છે. યંત્ર પર અંગરચનાની પૂજા દિવસમાં ત્રણ વાર થાય છે. ત્રણ પૂજા દરમિયાન જુદાં અલંકારો અને વસ્ત્રો એટલાં આબેહૂબ હોય છે કે સવારે મા જગદંબા બાળસ્વરૂપ બપોરે યુવા સ્વરૂપ અને સાંજે પ્રૌઢા સ્વરૂપમાં દેખાય છે. રવિવારે વાઘના વાહન પર, સોમવારે નંદીનું, મંગળવારે સિંહનું, બુધવારે હાથી, ગુરુવારે ગરુડ, શુક્રવારે હંસ અને શનિવારે નીચી સૂંઢના હાથીનો માતાની સવારી તરીકે ઉપયોગ થાય છે.
અંબાજી મંદિર દાંતા સ્ટેટની માલિકીનું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે 1958ની મકરસંક્રાંતિના દિવસે મંદિરનો કબજો પાલનપુરના પ્રાંત ઓફિસરને સોંપેલો, અત્યારે તેનો તમામ વહીવટ ટ્રસ્ટ અને બનાસકાંઠા કલેક્ટરના હસ્તક છે. બહુ જ ઓછા લોકોના ધ્યાનમાં છે કે 1979માં વરસતા વરસાદ વચ્ચે બીબીસીના પત્રકાર માર્ક તુલીએ અંબાજીના મંદિરની મુલાકાત લીધેલી અને કારમાંથી પદયાત્રીઓને જોઈ અભિભૂત થઈ ગયેલા. વિશ્વપ્રસિદ્ધ મૅગેઝિન ટાઇમ્સમાં ઈ.સ. 2006ની સાલમાં ભાદરવી પૂર્ણિમાના મેળા માટે અક્ષરસઃ નીચે પ્રમાણે લખાયેલું –
`ધ બીગેસ્ટ રિલિજિયસ ફેર ઑન ધ ફૂટ ઓવર ધ અર્થ’
અર્થાત્ પૃથ્વી પરનો સૌથી મોટી પદયાત્રીઓનો ધાર્મિક મેળો…