- 19 પડતર પ્રશ્નોનું આવેદનપત્ર સોંપ્યું, કહ્યું- નિરાકરણ લાવો નહિતર આંદોલન કરીશું
- વીજળી, પાણી, પરિવહનમાં બચત અને માનસિક તંદુરસ્તી માટે અધિકારીઓએ માંગણી કરી
- પરિણામે સરકારી કાર્યઉત્પાદકતામાં સમગ્રતયા વધારો થશે
ભારત સરકારના પર્સોનલ અને ટ્રેઈનિંગ ડિપાર્ટમેન્ટના 21 મે 1985ના ઓફિસ મેમોરેન્ડમને ટાંકીને અહીં ગુજરાત સરકારને પણ કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરવા સરકારની કચેરીઓ માટે પાંચ દિવસના સપ્તાહ અર્થાત ‘ફાઈવ ડે વીક’ સિસ્ટમને અમલમાં મુકવા માંગણી ઉઠી છે. શનિવારે ગુજરાત સચિવાલય ફેડેરેશને શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ત્રણ આવેદનપત્રો પાઠવ્યા હતા. જેમાં ફાઈવ ડે વીક ઉપરાંત જૂલાઈ 2023ની અસરથી મોંધવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી 42થી 46 ટકા આપવાના હુકમો સત્વરે બહાર પાડવા માંગણી કરવામાં આવી છે.
સચિવાલયના અધિકારીઓએ સોંપેલા આવેદનપત્રમાં 19 જેટલા પડતર પ્રશ્નોની યાદી પણ સોંપાવમાં આવી છે. જેનો ઝડપી ઉકેલ લાવવાની વિનંતી સાથે અગાઉ પાઠવેલા પત્રનો કોઈ જવાબ ન મળ્યા અંગે પણ નારાજગી વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં, પડતર પ્રશ્નોનો ઉકેલ નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરી વિરોધ પ્રદર્શનની ચિમકી પણ ઉચ્ચારવામા આવી છે. સચિવાલય ફેડરેશને ગુજરાત સરકારની કચેરીઓમાં ‘ફાઈવ ડે વીક’ની માગણી પાછળ કારણો આપતા જણાવ્યું છે કે, બે દિવસ દરમિયાન કચેરી તથા તેના આનુંષાંગિક અન્ય ખર્ચામાં બચત થશે. જેમાં વીજળી, પાણી અને પરિવહનનો પણ સમાવેશ થાય છે. શનિવાર અને રવિવારના દિવસોમાં સરકારી કર્મચારી અને અધિકારીઓ પરિવાર સાથે પસાર કરી શકશે. જેથી માનસિક તંદુરસ્તીમાં વૃદ્ધિ થશે અને ઉત્સાહપૂર્વક સપ્તાહની શરૂઆતમાં સરકારી કામકાજમાં યોગદાન આપી શકશે. જેના લીધે કાર્યક્ષમતામાં પણ વધારો થશે. પરિણામે સરકારી કાર્યઉત્પાદકતામાં સમગ્રતયા વધારો થશે. હાલમાં સરકારી કચેરીઓમાં મહિલા કર્મચારીઓની સંખ્યાનું પ્રમાણ 33 ટકા જેટલુ હોવાથી કચેરી અને પરિવારમાં બંનેમાં સંતુલન કેળવી શકાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારની ચિંતન શિબરો તેમજ તે પૂર્વે કર્મચારીઓની કાર્યક્ષમતા સંદર્ભે યોજાતા સેમિનારોમાં વારંવાર સરકારની કચેરીઓ માટે પાંચ દિવસના સપ્તાહની વિચારણા થઈ છે.
ભારત સરકાર સહિત ચાર રાજ્યોમાં ‘ફાઈવ ડે વીક’ ફેડરેશનના પ્રમુખ બિન્દેશવન ગોંસાઈએ મુખ્યમંત્રીને સોંપેલા પત્રમાં કહ્યુ છે કે, ભારત સરકાર ઉપરાંત ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, સિક્કમ અને મહારાષ્ટ્રમાં પાંચ દિવસના કામકાજી સપ્તાહનો અમલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, ભારત સરકારના પર્સોનલ અને ટ્રેઈનિંગ ડિપાર્ટમેન્ટના 21 મે 1985ના ઓફિસ મેમોરેન્ડમમાં કેન્દ્રીય મંત્રીઓ, મંત્રાલયો તેમજ ભારત સરકારની કચેરીઓમાં પાંચ દિવસના સપ્તાહનો અમલ કરવા કહેવાયું હતું.


