એક ખાનગી ટેલિવિઝન ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં આરબીઆઇના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે જણાવ્યું હતું કે વ્યાજદરોમાં વધુ ઘટાડા માટે હવે અવકાશ છે. છેલ્લે ઓક્ટોબરમાં મળેલી આરબીઆઇની મોનેટરિ પોલિસી કમિટિની બેઠકમાં પોલિસી રેટમાં ઘટાડા માટે અવકાશ છે એવો સ્પષ્ટ સંકેત મળ્યો હતો એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે એમપીસીને આ બેઠક પછી આરબીઆઇને જે ડેટા મળ્યા છે તે એવો સંકેત આપે છે કે વ્યાજદરમાં ઘટાડો કરવા માટેનો આ અવકાશ સહેજે ઘટયો નથી. જોકે તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે હવે ડિસેમ્બરમાં મળનારી એમપીસીની બેઠકમાં વ્યાજદરમાં વધુ ઘટાડો કરવામાં આવશે કે કેમ તે બાબત કમિટિ શું નિર્ણય લે છે તેની પર નિર્ભર કરે છે.
ઉલ્લેખનીય છે કે 2025ના પ્રથમ છ મહિનામાં આરબીઆઇએ વ્યાજદરમાં 100 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે, પરંતુ તે પછી ઓગસ્ટ અને ઓક્ટોબરમાં મળેલી એમપીસીની બેઠકમાં વ્યાજદર યથાવત રાખવામાં આવ્યો હતો. દરમિયાન ઓક્ટોબર મહિનામાં ભારતમાં રિટેલ ફુગાવાનો દર ઘટીને 0.25 ટકાના 2013 પછીના સૌથી નીચા સ્તરે ગયો છે, તેને પગલે હવે આરબીઆઇ ડિસેમ્બરમાં મળનારી એમપીસીની બેઠકમાં વ્યાજદરમાં વધારો ઘટાડો કરી શકે એવી સ્થિતિમાં છે. ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડા અને કન્ઝયુમર ગુડ્સ પરનો જીએસટી ઘટાડાતા ફુગાવાનો દર આટલો નીચો ગયો હતો. આવા સંજોગોમાં નિષ્ણાતો પણ આરબીઆઇ દ્રારા ડિસેમ્બરમાં વ્યાજદરમાં વધુ ઘટાડો કરવામાં આવશે એવો મત વ્યક્ત કરી રહ્યા છે. જો ઘટાડો થાય તો તેના કારણે ભારતીય અર્થતંત્ર અને શેરબજારને પણ મોટું ઇંજન મળી શકે એમ છે.


