જય જગન્નાથના નાદ સાથે 7 જુલાઇના કોટેચા ચોકથી ભવ્ય રથયાત્રા શરૂ થશે
ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે પૂરજોશ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 7મી જુલાઇના સાંજે 5 કલાકે ભગવાન જગન્નાથ, ભાઇ બળદેવ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા કરશે.
આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે ઇસ્કોન મંદિર દ્વારા 2003થી દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાય છે. આ વર્ષે 7 જુલાઈના રવિવારના દિવસે ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ થી ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા રથયાત્રા કાઢવામાં આવશે. રથયાત્રા સાંજે 5 કલાકે રામકૃપા ડેરી કોટેચા ચોક ખાતેથી શરુ થશે અને ઇન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક, જે. કે ચોક પરથી પસાર થઇ પુષ્કરધામ રોડ પર થી કાલાવડ રોડ, એજી ચોક પર આવશે અને ત્યાંથી કાલાવડ રોડ પર કટારીયા સર્કલ થઇને ઇસ્કોન મંદિરે પરત ફરશે. રથનું સમારકામ કરવા માટે કેરલાથી કારીગરો આવી ગયેલ છે જેઓ રથનું સમારકામ રથયાત્રાના 1 અઠવાડિયા પહેલા કરી દેશે.
તદુપરાંત રથયાત્રા દરમિયાન શહેરના રાજમાર્ગોમા પ્રસાદ વિતરણ કરવા માટે આશરે 5000 કિલો બુંદીનું વિતરણ કરવામાં આવશે અને રથયાત્રાના દિવસે ઇસ્કોન મંદિરે દર્શન કરવા આવતા દરેક દર્શનાર્થી માટે ભંડારા પ્રસાદ રાત્રે 8 વાગે રથયાત્રાના સમાપન બાદ શરૂ કરાશે. ઇસ્કોન મંદિર રાજકોટના પ્રમુખ વૈષ્ણવસેવા દાસ શહેરીજનોએ આ ઉત્સવમાં જોડાવા માટે અનુરોધ કર્યો છે.


