વડીલ વંદના સમિતિ દ્વારા વડીલ વંદના કાર્યક્રમમાં વડીલોનું અદકેરૂ સન્માન
જનસેવાનું સરવૈયુ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
સમાજની અમૂલ્ય ધરોહર સમાજ વડીલો પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવી, તેમના જીવનભરના સંઘર્ષ, સેવા અને ત્યાગને જાહેર મંચ પર સન્માનવું તથા તેમની અનુભૂતિ અને આશીર્વાદને આવનારી પેઢી માટ પ્રેરણારૂપ બનાવવાના ઉદેશ સાથે ધારાસભ્ય ઉદય કાનગડ,શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા તથા વડીલ વંદના સમિતિ ધ્વારા વિધાનસભા–૬૮માં અટલ બિહારી વાજપાઈ ઓડીટોરીયમ, સેટેલાઈટ ચોક, પેડક રોડ ખાતે ‘વડીલ વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીબાશીયાના જાહેરજીવનના ૫૦ વર્ષ પૂર્ણ થવા તથા તેમના જન્મદિવસના પાવન અવસરે વિશેષ ઋણસ્વીકાર સાથે સન્માન કરી તેમના પાંચ દાયકાથી વધુ સમય સુધી સમાજ સેવા, જનહિત અને રાષ્ટ્રનિર્માણના ક્ષેત્રે આપેલ અવિરત યોગદાન બદલ તેમના સન્માન સાથે જનસંઘ, ભારતીય જનતા પાર્ટીના, સમાજના વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત વડીલો માધુભાઈ બાબરીયા, છગનભાઈ રાબડીયા, અજીતસિંહ ચૌહાણ, છગનભાઈ પાનસુરીયા, ખીમજીભાઈ મકવાણા, વિભાભાઈ જોગરાણા, વલ્લભભાઈ દુધાત્રા, છગનભાઈ ફુલવાળા (કોળી સમાજ અગ્રણી), શામજીભાઈ ચાવડા, ગોરધનભાઈ કાપડીયા, નરશીભાઈ ટોપીયા, કાનજીભાઈ ચારોલીયા, અમરશીભાઈ મકવાણા, મનસુખભાઈ ગજેરા, કરણાભાઈ માલધારી, બાબુભાઈ વેકરીયા, ધરમશીભાઈ સાવકીયા, બી.સી. પટેલ, જગુભાઈ સખીયા, બચુભાઈ ભંડેરી, ધરમશીભાઈ નાથાણી, ઝીણાભાઈ ચાવડા, લાખાભાઈ બગડાને શાલ,શીલ્ડ અને રીસ્ટ વોચ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહંત લાલદાસબાપુ આર્શિવચન આપવા પધાર્યા હતા. આ તકે સાંસદ પરશોતમભાઈ રૂપાલા, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, વરિષ્ઠ અગ્રણી જયોતીન્દ્રભાઈ મહેતા, હસુભાઈ દવે, નાગરીક બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક, પૂર્વ ચેરમેન નલીનભાઈ વસા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ પ્રમુખ પ્રતાપભાઈ કોટક, કમલેશ મિરાણી, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમ પુજારા, મનપાના દંડક મનીષભાઈ રાડીયા, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સુરેન્દ્રસિહ વાળા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે સાંસદ પરશોતમભાઈ રૂપાલાએ પોતાના વકતવ્યમાં જણાવેલ કે, વડીલ વંદના કાર્યક્રમ થકી ધારાસભ્ય ઉદયભાઈ એ ભારતીય જનતા પાર્ટીની ઉતમ અને ગૌરવસભર પરંપરાનું ખરા અર્થમાં વહન કર્યુ છે. ખરા અર્થમાં આ સન્માન સમારંભ નથી, પરંતુ એક ‘તપ વંદના’ કાર્યક્રમ બની રહયો છે. ત્યારબાદ ધારાસભ્ય ઉદય કાનગડ ધ્વારા પોતાના મતવિસ્તાર વિધાનસભા–૬૮માં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કરવામાં આવેલ વિવિધ વિકાસ કાર્યો, સેવાકાર્યો તથા સંગઠનાત્મક પ્રવૃતિઓની સચિત્ર અને સુવ્યવસ્થિત વિગતો રજુ કરતું ‘જનસેવાનું સરવૈયું’ પુસ્તકનું વિમોચન સાંસદ પરશોતમભાઈ રૂપાલા અને મંચસ્થ વડીલોના હસ્તે કરવામાં આવ્યું હતું.


