વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ. વસંતપંચમીએ પ્રકૃતિનું રમણીય સ્વરૂપ જોવા મળે છે. સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિ સૌને આકર્ષે છે. આપણે જેમ ઉત્સવ ઊજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઊજવે છે અને તે ઉત્સવનાં વધામણાં આપતો દિવસ એટલે વસંતપંચમી. તેથી નિસર્ગ સાથે સંકળાયેલું માનવજીવન આ ઉત્સવથી અલિપ્ત કેમ રહી શકે! પ્રકૃતિની સાથે મનુષ્ય પણ વસંતપંચમીનો ઉત્સવ ઉલ્લાસ અને ઉમંગથી ઊજવે છે. વસંતમાં અનેક નવયુવાનો જીવનસાથીની પસંદગી કરીને લગ્નગ્રંથિથી જોડાય છે. આ રીતે નવપરિણીતોમાં સહજ આનંદ-પ્રેમનો ઊભરો આવે છે.
વસંતપંચમી : માતા સરસ્વતીની આરાધનાનો અવસર
સરસ્વતી દેવીને ભગવતી શારદા, વાણીવાહિની, વીણાવાદિની અને વાગ્દેવી જેવાં અનેક નામોથી વંદન કરવામાં આવે છે
વસંત એ સૃષ્ટિનું યૌવન છે અને યૌવન એ જીવનની વસંત છે. વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ. વસંત એટલે જીવન ખિલવવાનો ઉત્સવ. વસંતઋતુ એટલે તરુવરોનો શણગાર. વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલેલું આમ્રકુંજોની માદક સુવાસથી મહેકી ઊઠેલું અને પ્રસન્નતાથી છલકાતું નિસર્ગનું વાતાવરણ અને તેમાંય કોયલનું મધુર કુંજન પણ મનને આનંદવિભોર બનાવે છે. વનસ્પતિની જેમ માનવજીવનમાં પણ પાનખર આવે જ છે. ત્યારે ઈશ્વર પર શ્રદ્ધા રાખી પોતાના પુરુષાર્થમાં મક્કમતાથી લાગ્યા રહીશું તો પ્રભુ આપણું જીવન જરૂર ખીલવશે, એવો આશાદીપ સતત પ્રજ્વલિત રાખવાનું સૂચન વસંત કરે છે.
વસંતપંચમીનું ધાર્મિક માહાત્મ્ય
ભારતીય પંચાંગ મુજબ મહા સુદ પાંચમની તિથિ એ સમગ્ર દેશમાં જ્ઞાન-વિદ્યાની દેવી, `મા સરસ્વતી’ના અવતરણદિન તરીકે પણ ઊજવવામાં આવે છે, જે જ્ઞાન અને બુદ્ધિનાં પણ ગંગોત્રીસમાન ગણાયાં છે. વસંતપંચમીના દિને, સરસ્વતી દેવીની ઉપાસનાનો મોટો મહિમા છે. જેની પાછળ કેટલીક ધાર્મિક કથાઓ સમાયેલી છે.
બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુની આજ્ઞાથી સૃષ્ટિનું સર્જન કર્યું હતું, પરંતુ તે રચના કર્યા બાદ બ્રહ્માજી આ સર્જનથી ખુશ ન હતા. તેમને પોતાના આ આવિષ્કારમાં કંઈક ખામી રહી ગયેલી લાગી. એટલે તેઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા. તેમની અનુમતિ માંગી. તેમની ઇચ્છા જાણી બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી પૃથ્વી પર જળનો છંટકાવ કર્યો. એ જળના ધરતીના સંપર્કથી જ એક ચર્તુભુજા એટલે કે ચાર હાથવાળી સ્ત્રીનું પ્રાગટ્ય થયું. જેના એક હાથમાં વીણા, બીજા હાથમાં ગ્રંથ, ત્રીજા હાથમાં માળા હતી અને ચોથો હાથ વરમુદ્રામાં હતો. બ્રહ્માજીએ આ સ્ત્રીને વીણા વગાડવાનું કહ્યું. વીણા વાદ્યના સૂર છેડાતા જ તેના મધુર નાદથી સંસારમાંના સમસ્ત જીવ-જંતુઓને સ્વર પ્રાપ્ત થયો. જેનાથી તેઓ વાણી ઉચ્ચારી શક્યાં. જેમના અવાજથી નદીઓ-ઝરણાં ખળખળ વહેવાં લાગ્યાં. પવન લહેરાવા લાગ્યો. બ્રહ્માજીએ આ દેવીનો ધરતી પર પ્રભાવ જોઈને તેમને વાણીનાં દેવી સરસ્વતીનું નામ આપ્યું.
સરસ્વતી દેવીને ભગવતી શારદા, વાણીવાહિની, વીણાવાદિની અને વાગ્દેવી જેવાં અનેક નામોથી વંદન કરવામાં આવે છે. માનવીના હૃદયમાં સંગીતના સર્જનની પ્રેરણા મા સરસ્વતીની કૃપાથી જ થાય છે. એટલે દેવીને સંગીતના `સ્વરસજની’ના ઉપનામથી પણ ઓળખવામાં આવે છે. એમના માટેના એક ગીતમાં ગવાયું છેને કે ચંચલ…સુંદર…શીતલ.. કોમલ…સંગીત કી દેવી સ્વરસજની…’
સરસ્વતી દેવીનું એક સ્વરૂપ નદી છે. સરસ્વતી નદીને શ્રી હરિવિષ્ણુનું વરદાન મળેલું કે તે ભારતવર્ષમાં નદી રૂપે પણ વહેશે. જે પ્રમાણે સાચું-શુદ્ધ જ્ઞાન દેખાડા કરતું નથી પણ ગુપ્ત રૂપે પોતાનો પ્રભાવ બતાવે છે. એ સરસ્વતી નદી ધરતીની ભીતર વહેતી રહી અને ભૂગર્ભનાં તળને ભીનાં રાખીને જમીનને લીલીછમ્મ બનાવે છે, એટલે તો કેટલાક વિદ્વાનોએ તેમને `લુપ્ત નદી’નું ઉપનામ આપેલું છે.
વસંત છે ઋતુઓની રાણી
આપણાં દેશની મુખ્ય ત્રણ ઋતુઓ છે શિયાળો, ઉનાળો તથા ચોમાસું. દરેક ઋતુઓનું પોતાનું આગવું અને અનોખું મહત્ત્વ છે. શિશિર ઋતુની નરમ નરમ ઠંડી પડ્યા પછી વસંત ઋતુની શરૂઆત થવા માંડે છે અને આપણને વાતાવરણમાં થોડી ગરમીનો અહેસાસ થવા લાગે છે. વસંતને ઋતુઓની રાણી પણ કહેવામાં આવે છે. વસંત ઋતુમાં વાતાવરણ આહ્લાદક લાગે છે. પાનખરમાં ખરી ગયેલાં વૃક્ષોનાં પાનને નવી કૂંપળો ફૂટે છે અને નવાં પર્ણોથી વૃક્ષો નવપલ્લવિત થાય છે. કહેવાય છે કે વસંત ઋતુમાં ધરતી પણ સાડી બદલે છે. વસંતમાં આંબા પર મોર બેસે છે અને આંબા પર નાની નાની કાચી કેરીઓ લાગવાની શરૂઆત થાય છે. વસંતના ધીરા ધીરા વાયરા વાતાવરણને મનમોહક બનાવે છે. વસંતપંચમીનું મહત્ત્વ અનેરું છે, કારણ કે વસંતપંચમી વસંત ઋતુનાં વધામણાં લઈને આવે છે અને વસંત ઋતુનું સ્વાગત કરે છે. આ દિવસે લોકો કોઈ પણ પ્રકારનું શુભ મૂરત જોયા વિના લગ્નોની શરૂઆત કરે છે. વસંતપંચમીના દિવસે લગ્ન કરવાં એ સારા શુકનની નિશાની છે. વસંતપંચમીના દિવસે ઢગલાબંધ લગ્નો યોજાય છે. આપણા હિંદી તથા ગુજરાતી સાહિત્યકારોએ પોતાના ગદ્ય તથા પદ્ય બંને વિભાગોમાં વસંતનો મહિમા બહુ સારી રીતે વર્ણવેલો છે. આપણા હિંદી ફિલ્મોના ગીતકારોએ પણ વસંત ઋતુઓ ઉપર ઘણાં જ ગીતોની રચના કરેલી છે.
વસંત ઋતુ એ કોયલની પ્રજનન ઋતુ હોવાથી કોયલ આંબા ડાળે બેસીને કૂહુ… કૂહુના ટહુકા કરતી હોય છે, જે આપણને કર્ણપ્રિય આનંદ આપે છે. વસંતમાં કેસૂડો તથા ખાખરો પણ સારી રીતે ખીલે છે. સાચે જ વસંત ઋતુ આપણી જીવનશૈલી સાથે અનન્ય રીતે જોડાયેલી છે.
વૈષ્ણવજનો દ્વારા ઉજવાતો વસંતોત્સવ
વસંત ઋતુના આરંભે વસંતપંચમીના દિને પુષ્ટિ સંપ્રદાયમાં કળશપૂજન થાય છે. ઠાકોરજીને હરખભેર ફળ-ફૂલની સાથે સૂકો મેવો તથા શાકભાજીના હિંડોળાની વચ્ચે પારણામાં ઝૂલતા ઠાકોરજીના મનમોહક બાળકૃષ્ણના સ્વરૂપ સન્મુખ વૈષ્ણવજનો વસંત રાગનું ગાન કરે છે ત્યારે પુષ્ટિભક્તિનો માહોલ ખડો થાય છે. વૈષ્ણવ મંદિરોમાં વસંતપૂજન થાય છે. પુષ્ટિમાર્ગનાં મંદિરોમાં કોઈ સ્વચ્છ પાત્ર કે માટીના કૂંડામાં ખજૂરની ડાળીનું રોપણ કરવામાં આવે છે. તેના પર બોર ગોઠવીને કૂંડાની ચારે બાજુ નાની ડાળીઓ પર ફૂલ બાંધી છડીનું નિર્માણ કરાય છે. વૈષ્ણવ પરંપરામાં ચાલીસ દિવસનો હોળી ઉત્સવ ઊજવાય છે. તેને ફાગ ઉત્સવ પણ કહે છે, તેનો પ્રારંભ વસંતપંચમીથી થાય છે. સૃષ્ટિ નવા શણગાર સજે ત્યારે તેને વધાવવા આ વસંતોત્સવ ઊજવાય છે. સાત્ત્વિક, રજસ, તમસ અને નિર્ગુણ એમ ચાર પ્રકારના ભક્તો સાથે 10-10 દિવસનો ફૂલદોલ ઉત્સવ ઊજવાય છે અને ત્રીજો શ્રીનાથજી બાવાનો પાટોત્સવ ઊજવાય છે. આ ચાલીસ દિવસ દરમિયાન પ્રેમના પ્રતીક એવા પીળા રંગનું વિશેષ મહત્ત્વ રહેલું છે. જેથી કેસૂડો હોળીના દિવસે ઉડાડવામાં આવે છે.
સરસ્વતી પૂજનનું અનેરું મહત્ત્વ
જ્ઞાનનાં અધિષ્ઠાત્રી મા સરસ્વતીનું પ્રાગટ્ય વસંતપંચમીના દિવસે થયું હોઇ આ દિવસે સરસ્વતી પૂજનનું અનેરું મહત્ત્વ છે. વિદ્યાર્થીઓ સરસ્વતી દેવીની મૂર્તિ સ્થાપીને પોતાનાં પાઠ્યપુસ્તકો અને નોટબુકો તેમની આગળ મૂકીને પૂજા કરી આશીર્વાદ મેળવે છે. શિક્ષણ સંસ્થાઓમાં જ્ઞાનોત્સવ મનાવાય છે. સરસ્વતી દેવી વાણી, શબ્દ, વિચાર, કલા, સાહિત્ય, સંસ્કૃતિ સર્જનનાં દેવી છે. મૂંઝવણ અને મુશ્કેલીઓમાંથી માર્ગ સુઝાડનારાં દેવી છે, જ્ઞાન અને સમજણનાં અધિષ્ઠાત્રી છે. આજના સમયમાં સૌથી વધુ જરૂર હોય તો જ્ઞાન અને સમજણની.
મા સરસ્વતી સૃષ્ટિના સર્જનકર્તા બ્રહ્માજીનાં પુત્રી છે. સૃષ્ટિસર્જન માટે જ્ઞાનની જરૂર રહે છે. મા સરસ્વતીના શરીરનો રંગ પીળો હોય છે. તેઓ શ્વેત વસ્ત્ર ધારણ કરે છે. હાથમાં વીણા છે અને હંસના વાહન પર બિરાજમાન છે. તેમના ચારેય હાથ મન, બુદ્ધિ, સંશોધન અને ગરિમાના દ્યોતક છે. તેમની પાછળ ઊભો રહેતો મો2 સૌંદર્યનું પ્રતીક છે. વિદ્યાર્થીઓ, જ્ઞાનપિપાસુઓ, સંશોધકો, વૈજ્ઞાનિકો, ચિંતકો મા સરસ્વતીની આરાધના કરે છે. નવા દાખલ થયેલા છાત્રોને લખવા-વાંચવાનું વસંતપંચમીથી શીખવવામાં આવે છે.
જ્ઞાનકર્મ પહેલાં મા સરસ્વતીની પૂજા, આરાધના, વંદના કરવાની આપણે ત્યાં પરંપરા છે. જ્ઞાનપ્રાપ્તિ માટે અને સમજણ કેળવવા માટે મા સરસ્વતીનાં ચરણ પૂજવાં પડે છે. તેની કૃપા વિના જ્ઞાન સંભવિત નથી. મનુષ્યમાં સદ્બુદ્ધિ રૂપે સરસ્વતીનો આવિર્ભાવ આ દિવસે થયો એટલે વસંતપંચમી જ્ઞાન અને સમજણનું પર્વ છે. પુરાણોમાં વર્ણિત કથાઓ પ્રમાણે વસંતપંચમીના દિવસે શ્રીકૃષ્ણએ પહેલી વાર માતા સરસ્વતીની પૂજા કરી હતી તેથી તે દિવસથી વસંતપંચમીએ સરસ્વતી માતાનું પૂજન કરવાની પરંપરા શરૂ થઈ.
મા સરસ્વતી પૂજનની સામગ્રી તથા વિવિધ મંત્રો
શ્રીમદ્ દેવી ભાગવત અને શ્રી દુર્ગા સપ્તશતી ગ્રંથમાં માતા સરસ્વતીની જે પૂજાવિધિ બતાવી છે તે મુજબ માઘ માસની સુદ પંચમી (વસંતપંચમી)ના પ્રાતઃકાળે શ્વેત આસન ઉપર બિરાજમાન થઇને મા સરસ્વતીની પૂજા કરવી. મા સરસ્વતીની ઉત્પત્તિ સત્ત્વ ગુણથી થઇ હોવાથી તેમની પૂજામાં સાત્ત્વિક સામગ્રી જેવી કે, દૂધ, દહીં, માખણ, ઘી, અક્ષત, ઘઉં, શ્રીફ્ળ, મધ, સફેદ ફૂલ, સફેદ અલંકાર, સફેદ વસ્ત્ર, સફેદ મિષ્ટાન્ન, સાકર, સફેદ તલ વગેરે સાત્ત્વિક સામગ્રી લેવામાં આવે છે. ઉપરોક્ત સામગ્રીથી માતા સરસ્વતીનું પૂજન-અર્ચન કરવું જોઇએ. `ઓમ શ્રીં હ્રીં સરસ્વત્યૈ સ્વાહા’ મંત્રના રટણથી અનુષ્ઠાન કરવાથી માની કૃપા પ્રાપ્ત થાય છે તથા આ મંત્રના સવાચાર લાખ જપ કરવાથી કવિત્વ શક્તિ ઉત્પન્ન થાય છે.
આગમ ગ્રંથમાં સરસ્વતીનો એક મંત્ર જણાવાયો છે – `ઐ વાગ્વાદિની વદવદ સ્વાહા!’ આ મંત્ર સર્વાર્થ સિદ્ધિપ્રદ તથા સર્વ વિદ્યાપ્રદાયક કહેવાયો છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં પણ સરસ્વતીનો એક મંત્ર જણાવાયો છે કેઃ `ઐ હ્રીં શ્રીં ક્લીં સરસ્વત્યૈ બુધજનન્યે સ્વાહા’
મદનોત્સવ
પ્રાચીનકાળમાં વસંતપંચમીનો દિવસ મદનોત્સવ અને વસંતોત્સવ તરીકે મનાવવામાં આવતો હતો. આ દિવસે સ્ત્રીઓ પોતાના પતિની પૂજા કામદેવના રૂપમાં કરતી હતી. વસંતપંચમીના દિવસે જ કામદેવ અને રતિએ પહેલી વાર મનુષ્ય હૃદયમાં પ્રેમ તથા આકર્ષણનો સંચાર કર્યો હતો. ત્યારથી આ દિવસ મદનોત્સવ તરીકે મનાવવામાં આવ્યો. વસંત ઋતુમાં માદકતા અને કામુકતા સંબંધી ઘણાં શારીરિક પરિવર્તન જોવા મળે છે, જેનું આયુર્વેદમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.
વસંતપંચમીએ ગંગાસ્નાનનું પણ વિશેષ મહત્ત્વ છે. તેની પાછળ પણ એક માન્યતા રહેલી છે. તે મુજબ ઋષિ ભગીરથની તપસ્યાને કારણે વસંતપંચમીના દિવસે જ ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થયું હતું, જેથી સમગ્ર ધરતી પર ખુશી છવાઈ ગઈ હતી.
વસંતપંચમીએ વિષ્ણુપૂજનનું પણ વિશેષ મહત્ત્વ છે. કળશની સ્થાપના કરીને ગણેશ, સૂર્ય, વિષ્ણુ તથા મહાદેવની પૂજા પણ કરી શકાય. ત્યારપછી વીણાવાદિની મા સરસ્વતીની પૂજા અવશ્ય કરવી જોઈએ.
અન્ન તથા ધનધાન્યની પ્રાપ્તિ માટે ખેતી કરનાર તથા અન્ય કાર્ય કરનાર ગૃહસ્થોએ વસંતપંચમીના દિવસે નવા અન્નમાં ગોળ અને ઘી મેળવીને અગ્નિ તથા પિતૃને તર્પણ કરે. ત્યારપછી કેસરયુક્ત મીઠા ભાત ઘરે બનાવીને તેનું સેવન અવશ્ય કરવું.
શિક્ષાપત્રીનો ઉદ્ભવ
સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીનો ઉદ્ભવ શ્રી સહજાનંદ સ્વામીએ સંવત 1882ના મહા સુદ પાંચમ વસંતપંચમીના શુભ દિને માનવીય નીતિમત્તાને ઉજાગર કરતી શુભ અંજનશલાકા સ્વરૂપ 212 શ્લોકોની શિક્ષાપત્રીની રચના કરીને માનવજીવનમાં વસંત ભરી છે. જીવન અને વસંત જેમણે એકરૂપ કરી નાખ્યાં છે તેવા માનવને આપણી સંસ્કૃતિ સંત કહીને વધાવે છે. વનને નવપલ્લવિત કરે તે વસંત અને જીવનને નવપલ્લવિત કરે તે સંત. જીવનમાં સુખ-દુઃખ આવે, હાનિ-વૃદ્ધિ થાય ત્યારે સ્થિરતા અને સમતા દાખવી વસંત મનાવવા
સંતો ઉપદેશે છે. શિક્ષાપત્રીના પ્રત્યેક આદેશનો અલગ રંગ, અલગ સુગંધ અને અલગ અંદાજ છે. આધુનિક સંદર્ભમાં શિક્ષાપત્રીના આદેશોનું અનુશીલન કરતાં અનુભવાય છે કે ભગવાન સ્વામિનારાયણ પોતાના સમય કરતાં અનેકગણા આગળ હતા. માત્ર આજે જ નહીં, પરંતુ આવનારા કોઈ પણ સમય માટે કે કોઈ પણ વર્ગ માટે એમના આદેશો એટલા જ પ્રાસંગિક અને ઉપર્યુક્ત બની રહેશે, જેટલા 200 વર્ષ પહેલાં હતા તે આજેય છે. તેમણે રોજબરોજ જિવાતા જીવનનો તેમાં ઊંડો વિચાર કર્યો છે.
શ્રી સરસ્વતી મંત્રની મહામૂલી ભેટ
`શ્રીં હ્રીં સરસ્વત્યૈ સ્વાહા’ મૂળ અષ્ટાક્ષરી મંત્રનું આપણા ગુરુની આજ્ઞાનુસાર જપ કરવાનું વિધાન છે. આ મંત્ર કલ્પવૃક્ષ સમાન છે. પૂર્વકાળમાં શ્રીહરિ નારાયણે આ મંત્રનો ઉપદેશ આદિકવિ વાલ્મીકિ મુનિને આપ્યો હતો. ત્યારબાદ ભૃગુ મહર્ષિએ સૂર્યગ્રહણ સમયે શુક્રાચાર્યને આ મંત્ર પ્રદાન કર્યો. ચંદ્રગ્રહણ સમયે મરિચિએ ગુરુ બૃહસ્પતિને આ મંત્ર ઉપદેશ કર્યો હતો.
આ રીતે દેવતાઓ-ઋષિઓ દ્વારા પરંપરા અનુસાર આ મંત્રનો ઉપદેશ અનેકવિધ લોકોને મળ્યો. આ મંત્રના ચાર લાખ જપ કરવાથી સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સરસ્વતી કવચના પાંચ લાખ જપ કરવાથી વિશ્વવિજેતા અને સર્વ સિદ્ધિ-શક્તિ પ્રાપ્ત થાય છે. સરસ્વતી કવચના પાઠ કરનાર વ્યક્તિ એક મહાન કવિ, મહાન લેખક, મહાન વક્તા બનીને ગુરુ બૃહસ્પતિ સમાન દરજ્જો મેળવે છે.