મનપા દ્વારા જનગણના અંતર્ગત તા.૨૦ એપ્રિલથી તા.૧૯મે સુધી કરાશે હાઉસ લિસ્ટીંગની કામગીરી
સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે બેઠક યોજાઇ : બનાવવાની કામગીરી પાંચ દિવસમાં પૂર્ણ કરાશે : ઓફિસરોની નિયુકિત
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતની જનગણના-૨૦૨૭ની રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની કામગીરી રાજકોટ મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવેલ છે, આ કામગીરી માટે ભારત સરકાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર તુષાર ડી. સુમેરાને પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે, નાયબ કમિશનર એચ.આર.પટેલને સિટી સેન્સસ ઓફિસર તરીકે તેમજ પ્રણય ડી.પંચાલ મેનેજર, ચૂંટણી શાખાને સેન્સસ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે.
ભારતની જનગણનાની રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની કામગીરીને કુલ ૧ થી ૧૮ વોર્ડ/ચાર્જમાં વહેચવામાં આવેલ છે, રાજકોટ મહાનગરપાલિકાને રાજકોટ શહેર ઉપરાંત આઉટર ગ્રોથ વિસ્તાર મોજે ગામ-બેડી- રોણકી તેમજ મનહરપુર-૨ની કામગીરી સુપ્રત કરવામાં આવેલ છે, વોર્ડના ચાર્જ ઓફિસર તરીકે વોર્ડ ઓફિસરને નિયુક્ત કરવામાં આવેલ છે. સને-૨૦૧૧ની જનગણનાં સીમાંકન મુજબ આધારભૂત તેમજ અંદાજીત વસ્તીને આધારેરાજકોટ મહાનગરપાલિકાનાં અંદાજીત બ્લોકની સંખ્યા-૩૫૩૫ ગણવામાં આવેલ છે,
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની કામગીરી માટેના ચાર્જ ઓફિસરને તાલીમ આપવા નિરજ એમ.વ્યાસને માસ્ટર ટ્રેનર તરીકે તેમજ નગર પ્રાથમિક શાળા હસ્તકની શાળાઓના સી.આર.સી ને તેમજ મુખ્ય શિક્ષકને ફિલ્ડ ટ્રેઈનર તરીકે નિમણુંક આપવામાં આવેલ છે. સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઈ હતી જેમાં નાયબ કમિશનર એચ.આર.પટેલને સિટી સેન્સસ ઓફિસર તરીકે તેમજ પ્રણય ડી.પંચાલ મેનેજર, ચૂંટણી શાખાને સેન્સસ ઓફિસર, દિગમ શાહ નોડલ ઓફિસર, સંજય કુમાર અને નિશાંત કુમાર નોડલ ટીમ હાજર રહ્યા હતા.
જનગણના-૨૦૨૭ની કામગીરી માટે અંદાજે ૧૫૦ થી ૨૦૦ મકાનના બેઇઝ ગણી બ્લોક બનાવવાની કામગીરી તા.૦૧/૦૪/૨૦૨૬ થી તા.૦૫/૦૪/૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ સરકાર હસ્તકની શાળા-હાઈસ્કુલ તેમજ કોલેજોના પ્રાધ્યાપક તેમજ રાજય સરકારની વિવિધ કચેરી હસ્તકના અધિકારી/કર્મચારીને ગણતરીદાર તેમજ સુપરવાઈઝર -૪૭૦૦ જેટલા સ્ટાફને નિયુકત કરી તા.૨૦/૦૪/૨૦૨૬ થી તા.૧૯/૦૫/૨૦૨૬ સુધી હાઉસ લિસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવશે જનગણનાં-૨૦૨૭ની કામગીરી સુપર્ણપણે ડીજીટલી હાથ ધરવામાં આવશે જેમાં ભારત સરકાર દ્વારા નિયત કરાયેલ પ્રશ્નોની માહિતી પૂરી પાડવા રાજકોટ શહેરની જનતાને પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર અને મ્યુનિસિપલ કમિશનર, દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.


