ભારતીય ક્રિકેટ ફેન્સની નજર હાલમાં ફક્ત એક જ ખેલાડીની ફિટનેસ પર ટકેલી છે. આ ખેલાડીનું નામ જસપ્રીત બુમરાહ છે. ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ ગુમાવ્યા બાદ, દરેકના મનમાં સવાલ એ છે કે બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે કે નહીં.
મીડિયા રિપોર્ટ મુજબ બુમરાહ અંગે અંતિમ નિર્ણય આજે એટલે કે 11 ફેબ્રુઆરીએ લેવામાં આવી શકે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે જો બુમરાહ આ મેગા ઈવેન્ટ માટે ફિટ નથી, તો તેની જગ્યાએ ટીમમાં કોણ સામેલ થશે. જસ્સીનું સ્થાન લેવા માટે ત્રણ નામો આગળ છે.
હર્ષિત રાણા
એવું માનવામાં આવે છે કે જો જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ફિટ નહીં થાય, તો સિલેક્ટર્સ હર્ષિત રાણા પર વિશ્વાસ બતાવી શકે છે. હર્ષિતે તાજેતરમાં જ ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ODI સિરીઝમાં ડેબ્યૂ કર્યું છે. હર્ષિતે બે મેચમાં ચાર વિકેટ લીધી છે અને પોતાની બોલિંગથી પ્રભાવિત કરવામાં સફળ રહ્યો છે. હર્ષિતની વિરુદ્ધમાં એકમાત્ર વસ્તુ ICC ઈવેન્ટ્સમાં ન રમવાનો અનુભવ છે.
મોહમ્મદ સિરાજ
સિરાજને ઈંગ્લેન્ડ સામે રમાયેલી T20 સિરીઝ અને ODI ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હોવા છતાં, તેની ક્ષમતા પર કોઈને શંકા નથી. સિરાજ પોતાના દિવસે કોઈપણ બેટિંગ ઓર્ડરને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. સિરાજ પાસે અનુભવ છે અને તેની પાસે મોટી મેચોમાં સારું પ્રદર્શન કરવાની કુશળતા પણ છે. પરંતુ સિરાજનું તાજેતરનું ફોર્મ ચોક્કસપણે ખરાબ છે.
પ્રસિદ્ધ કૃષ્ણા
બુમરાહના સ્થાને સિલેક્ટર્સ પ્રસિદ્ધ કૃષ્ણાના નામ પર પણ વિચાર કરી શકે છે. પ્રસિદ્ધ કૃષ્ણા પાસે મજબૂત ગતિ છે. આ સિવાય તે સારી લાઈન અને લેન્થ સાથે બોલિંગ કરીને બેટ્સમેન માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. વનડે ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની જર્સીમાં પ્રસિદ્ધ કૃષ્ણાનો રેકોર્ડ પણ ઉત્તમ રહ્યો છે. તેને 17 મેચોમાં કુલ 29 વિકેટ લીધી છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વાર મેચમાં ચાર વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે.


