ચામુંડામાના ચરણોમાં શીશ ઝૂકાવવા ભકતોનું મહેરામણ ઉમટયું
ચોટીલામાં ચૈત્રી પૂનમે ૧.૫૦ લાખથી વધુ ભાવિકોનું કિડીયારૂ ઉભરાયું : માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા શ્રધ્ધાળુઓ
યુવાનો-સંસ્થાઓ દ્વારા ૧૫૦થી વધુ સેવા કેમ્પો લગાવાયા
અગ્ર ગુજરાત, ચોટીલા
ચૈત્રી પૂનમ એટલે શક્તિની આરાધનાનો પવિત્ર દિવસ. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે બિરાજમાન મા ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે. આકરી ગરમી અને 40 ડિગ્રી તાપમાન પણ ભક્તોની શ્રદ્ધાને ડગાવી શક્યું નથી. અંદાજે દોઢ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી.
ચૈત્રી પૂનમે ચોટીલા ડુંગર પર ધજા ચડાવવાનું વિશેષ મહત્વ હોવાથી ઉત્તર ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરથી હજારો ભક્તો પગપાળા ચોટીલા પહોંચી રહ્યા છે. વિરમગામ-લખતર-સુરેન્દ્રનગર હાઈવે હાલ પદયાત્રીઓથી ભરાઈ ગયો છે. ઝાલાવાડની ધરતી પર સેવાભાવી યુવાનો અને સંસ્થાઓ દ્વારા 150થી વધુ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે.
ચોટીલા ડુંગર મહંત પરિવારના વસંતગીરીબાપુના જણાવ્યા અનુસાર, ભક્તોના ભારે ધસારાને ધ્યાને રાખીને પૂનમના દિવસે ૨૪ કલાક પ્રસાદની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે. કાળઝાળ ગરમીને કારણે તળેટીથી ડુંગર સુધીના માર્ગ પર લીલી તાડપત્રી બાંધીને છાંયો કરવામાં આવ્યો છે, જેથી ભક્તોને ચઢાણ વખતે રાહત રહે. સાથે જ પીવાના ઠંડા પાણીની ઠેર-ઠેર વ્યવસ્થા ઉભી કરાઈ છે.
લીંબડી ડીવાયએસપી વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. ટ્રાફિક જામ ન થાય તે માટે ડુંગર તળેટી અને પાળીયાદ રોડ પર વિશાળ પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. કોઈ પણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે મેડિકલ ટીમો ખડેપગે છે. મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા પણ દર વર્ષની જેમ સેવા કેમ્પ યોજીને શ્રદ્ધાળુઓની આગતા-સ્વાગતા કરવામાં આવી રહી છે. ભાદરવી પૂનમે જે રીતે અંબાજીનું મહત્વ છે, તે જ રીતે ચૈત્રી પૂનમે ચોટીલામાં ભક્તિ, શ્રદ્ધા અને સેવાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.


