મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
ચૂંટણી અગાઉ રૂ.૮૦૦ કરોડના વિકાસ કામોના ખાતમુર્હૂત ને લોકાર્પણ કરશે : તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સહિત રાજ્યની મહાપાલિકાઓમાં આગામી 31 માર્ચ સુધીમાં ચૂંટણીના પડઘમ વાગવાની પૂરેપૂરી સંભાવના છે. હાલમાં આ મહાનગરોમાં ચૂંટાયેલી પાંખનું અસ્તિત્વ નથી અને વહીવટદારો દ્વારા શાસન ચલાવાઈ રહ્યું છે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે આચારસંહિતા લાગુ થઈ ન હોવાથી, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વિકાસ કાર્યોને વેગ આપી જનતા સમક્ષ નવા પ્રોજેક્ટ્સ મૂકવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. આ ક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજકોટ તેડાવી કરોડોનાં લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાવવા મનપા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, આચારસંહિતા પહેલા અનેક મોટા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાવવા મનપા તંત્ર દ્વારા ગત સપ્તાહે સમય માંગવામાં આવ્યો હતો. પરંતુ સમય ન મળતા લોકાર્પણ અને ખાતમુહૂર્ત પેન્ડીંગ છે. હવે તા.28 શનિવારે સંભવત: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવે તેવી શક્યતા છે.
જેને લઈને કોર્પોરેશન ઉપરાંત જિલ્લા કલેકટર તેમજ પોલીસ તંત્ર દ્વારા ફરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટના મહેમાન બને ત્યારે તેમના હસ્તે કોર્પોરેશનના રૂ.751 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરવામાં આવશે. સાથે જ મુખ્યમંત્રીની જાહેર સભાનું પણ આયોજન ગોઠવાય તેવી સંભાવના છે.
રાજકોટના મહેમાન બનનારા મુખ્યમંત્રીના હસ્તે કુલ રૂ. 751 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. આ પૈકી મોટાભાગના કામો તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીના હસ્તે શહેરના વિવિધ વિસ્તારોમાં પૂર્ણ થયેલા 5 થી 6 મોટા પ્રોજેક્ટ્સ જનતા માટે ખુલ્લા મુકાશે. જેમાં સૌથી મહત્વનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્મિત 1000 થી વધુ આવાસોનું લોકાર્પણ છે. આ સિવાય અન્ય જે કામો પૂર્ણતાના આરે છે તેનું પણ લોકાર્પણ કરી દેવામાં આવશે જેથી આચારસંહિતા પૂર્વે તેનો લાભ નાગરિકોને મળતો થઈ જાય.
તંત્ર દ્વારા અંદાજે 40 જેટલા નવા વિકાસ કામોના ખાતમુહુર્તની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે નીચે મુજબના કામોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીની આ મુલાકાત માટે મનપા કમિશ્નર દ્વારા સીએમઓમાંથી સમય માંગવામાં આવ્યો છે. જોકે હજુસુધી સીએમઓમાંથી ફાઇનલ તારીખની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ વિભાગોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને શનિવારના સંભવિત કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થળ પસંદગી ઉપરાંત અન્ય વહીવટી પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. અને કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એકાદ દિવસમાં સીએમઓમાંથી સત્તાવાર પુષ્ટિ મળતા જ આ અંગે જાહેરાત કરી દેવામાં આવશે.


