- આવતી 31 જાન્યુઆરી 2024 થી સંસદનું સત્ર શરુ
- હવે દીલ્હી પોલીસની સાથે સીઆઈએસએફ રહેશે
- લોકસભા ચેમ્બરમાં ઘુસીને ધુમાડો છોડ્યા બાદ નિર્ણય
કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદમાં મહેમાનોની સુરક્ષા અને તપાસનું કાર્ય હવે CISF કરશે. પહેલા દિલ્હી પોલીસ અને સંસદ સુરક્ષા સાથે જોડાયેલા લોકો ગેટ પર સુરક્ષા આપતાં હતાં. આ દરમિયાન સીઆઈએસએફના જવાનોએ સંસદની સુરક્ષાની જવાબદારી લીધી છે. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે.
સંસદની સુરક્ષાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો
આગામી સંસદ સત્રની શરુઆત થતાં પહેલાં સંસદની સુરક્ષાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બજેટ સત્ર દરમિયાન સંસદના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજાઓની સુરક્ષા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને સોંપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદમાં મહેમાનોની સુરક્ષા અને તપાસનું કામ પણ CISF કરશે.
13 ડિસેમ્બર, 2023, સુરક્ષામાં ખામી સર્જાઈ હતી
ગૃહ મંત્રાલયનો આ નિર્ણય 13 ડિસેમ્બર 2023ના રોજ સંસદની સુરક્ષા ભંગને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે, વર્ષ 2001 માં સંસદ પર આતંકવાદી હુમલાની 22 મી વરસી પર સંસદની સુરક્ષામાં ખામી સર્જાઈ હતી. 13 ડિસેમ્બર, 2023 ના રોજ બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી પડ્યા હતા અને કેનમાંથી પીળો ધુમાડો છોડ્યો હતો.
વર્તમાન કાર્યકાળનું છેલ્લું બજેટ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વખતે બજેટ લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલા રજુ થવાનું છે. આવી સ્થિતિમાં, સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક મોટી જાહેરાતો પણ કરવામાં આવશે એવી અટકળો ચાલી રહી છે. આ વખતે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન સામાન્ય બજેટ પણ 1લી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. આ વચગાળાનું બજેટ હશે. મોદી સરકારના વર્તમાન કાર્યકાળનું આ છેલ્લું બજેટ છે.
મહિલાઓ અને ખેડૂતો માટે મોટી જાહેરાત થઈ શકે
મળતી માહિતી મુજબ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે અને આ સત્ર 17મી લોકસભાનું છેલ્લું સંસદ સત્ર પણ હશે. આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. મોદી સરકાર આ વચગાળાના બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને લગતી મોટી જાહેરાતો કરી શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, કેન્દ્ર સરકાર ખેડૂતોને આપવામાં આવતી કિસાન સન્માન નિધિને બમણી કરવાનો પ્રસ્તાવ લાવી શકે છે.
શિયાળુ સત્રમાં હોબાળો
ઉલ્લેખનીય છે કે સંસદના શિયાળુ સત્ર દરમિયાન પણ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે હોબાળો થયો હતો. તે દરમિયાન, સંસદના બંને ગૃહો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા કરવામાં આવી હતી અને ઘણા મહત્વપૂર્ણ કાયદાઓ પણ પસાર કરવામાં આવ્યા હતા. વિપક્ષ પણ શિયાળુ સત્ર દરમિયાન સંસદની સુરક્ષામાં થયેલા ભંગ અંગે કેન્દ્ર પાસેથી જવાબ માંગી રહ્યો હતો. વિપક્ષી દળોએ માંગ કરી હતી કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સંસદની સુરક્ષામાં થયેલા ભંગ અંગે ગૃહમાં નિવેદન આપે. જ્યારે કેન્દ્ર સરકારે કહ્યું કે વિપક્ષ ગૃહમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાનું ટાળી રહ્યો છે.
140થી વધુ સાંસદોને સસ્પેન્ડ
શિયાળુ સત્ર દરમિયાન સંસદના બંને ગૃહોમાંથી 140થી વધુ સાંસદોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બંને ગૃહોના સાંસદોને શિસ્તભંગની કાર્યવાહીના ભાગરૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બાદમાં વિપક્ષી દળોએ સાંસદોના સસ્પેન્શનને લઈને હોબાળો મચાવ્યો હતો અને સંસદ ભવનથી માર્ચ પણ કાઢી હતી.


