- નિર્માણ કાર્ય માટે રોડ પરના દબાણ દૂર કરાયા
- પોલીસના કાફલા સાથે ડિમોલિશનની કામગીરી
- 2 ACP અને 10 PIની હાજરીમાં ડિમોલિશન
હાલમાં અમદાવાદમાં ગેરકાયદેસર મકાનો પર ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે. આ વચ્ચે આજે અમદાવાદના સુભાષબ્રિજ નજીક આવેલી જનકપુર સોસાયટી પાસે 150થી વધુ ગેરકાયદેસર મકાનો-ઝૂંપડાઓના મેગા ડિમોલિશન કરવામાં આવ્યું ત્યારે સ્થાનિક મહિલાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા પોલીસ સાથે પણ ઝપાઝપી-ખેંચતાણ જોવા મળી હતી. જે પછી પોલીસ દ્વારા પરિસ્થિતિ કાબૂમાં મેળવવામાં આવી હતી.
શું બની હતી ઘટના
આજથી સુભાષબ્રિજ નજીક આવેલી જનકપુર સોસાયટી પાસે ખાડિયાની ચાલીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા 150થી વધુ ગેરકાયદેસર ઝૂંપડાં અને મકાન આવેલાં છે. ચીમનભાઈ બ્રિજ વધારી નવો બનાવવાનો છે. જેના કારણે આ તમામ ગેરકાયદે મકાનોને તોડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના વચ્ચે એ ડિવિઝનના 2 ACP જયેશ બ્રહ્મભટ્ટ સહિત 10થી વધુ PI, PSI અને 100થી વધુ પોલીસકર્મી સાથે મકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તમામ લોકોના સામાન બહાર કાઢી લેવા સમજાવટ છતાં ન માનતા એસ્ટેટ વિભાગની ટીમની મદદથી સામાન બહાર કાઢવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો
પોલીસ અને એસ્ટેટ વિભાગની ટીમ પહોંચતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. મહિલાઓ ધરણાં ઉપર ઊતરી ગઈ હતી. એક કલાકની સમજાવટ છતાં પણ સ્થાનિકો માન્યા નહોતા. જોકે, સ્થાનિકોને 10 દિવસ પહેલાં મકાનો ખાલી કરવા તેમજ અન્ય જગ્યાએ ખસી જવા સૂચના આપી હતી, પરંતુ સૂચના અવગણતા આખરે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસની મદદથી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા મકાનો તોડવાની શરૂઆત કરવામાં આવતા સ્થાનિક મહિલાઓ વિરોધ પર ઊતરી આવી હતી. જેને લઇ મહિલા પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. જોકે તમામને પોલીસે કાબૂમાં લઈ તોડવાની કામગીરી હાથ ધરી હતી. દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન પણ મહિલાઓએ વિરોધ શરૂ કર્યો હતો.

ખાડિયાની ચાલી તરીકે ઓળખાતા આ વિસ્તારમાં લોકો છેલ્લાં 20 વર્ષથી રહે છે. સ્થાનિક લોકોની માંગ હતી કે, તેઓને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મકાનો આપવામાં આવે. એસ્ટેટ વિભાગ દ્વારા પણ તેઓને 10 દિવસ પહેલાં સ્થાનિક PIને સાથે રાખી મકાનો ખાલી કરી દેવા માટે તેમજ અન્ય જગ્યાએ ખસી જવાની સૂચના આપી છે.


