- ઘરઆંગણે સતત ઘટતી જતી ચકલીઓથી ચિંતા
- માટીના અને લાકડાના માળા, બર્ડફીડર, પાણીની તાસકન અપાઇ
- મંડળના પ્રમુખ ધર્મેન્દ્ર ખત્રી સહિત સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
વિશ્વભરના પ્રકૃતિવિદ્વોએ નક્કી કર્યા અનુસાર પ્રતિવર્ષે 20 માર્ચે વિશ્વ ચકલી દિન તરીકે ઉજવાય છે. દાહોદ ખાતે પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા વિશ્વ ચકલી દિન નિમિત્તે આજરોજ રવિવારના દિવસે શહેરના સ્ટેશન રોડ સ્થિત અજય દેસાઈ પ્રકૃતિ ભવન ખાતે ચકલીના માળા તથા બર્ડફીડરના વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
માનવવસ્તીમાં ઠેર ઠેર ઉભા થયેલા મોબાઈલ ટાવરોમાંથી નીકળતા તરંગો જેમ મનુષ્યોને કેન્સર કે હાઈ બ્લડપ્રેશર કે નપુંસકતા જેવી બિમારીઓના સકંજામાં લઈ ઘાતક નિવડે છે. તે જ રીતે આપણી આસપાસ આપણી મિત્ર થઈને સતત ઉડતી ચકલીઓને પણ આ મોબાઈલ ટાવરમાંથી નીકળતા તરંગો ઘાતક બનવા પામ્યા છે. વૈજ્ઞાનિકોના મતે આ તરંગોથી ચકલીઓની પ્રજનનશક્તિ ક્ષીણ થતા તેમની વસ્તી ખાસ્સી માત્રામા ઘટવા પામી છે.
આવા સમયે આપણી થોડીક સભાનતા અને જાગૃતિ થકી ચકલીઓની સંખ્યા ઘટે નહી તે માટે વિશ્વ ચકલી દિનની નવતર ઢબે ઉજવણી કરી લોકજાગૃતિ ફેલાવવા પ્રકૃતિમિત્ર મંડળ દ્વારા રવિવારે 17 માર્ચના રોજ સવારે 9 થી 12 દરમ્યાન સ્ટેશન રોડ સ્થિત અજય દેસાઈ પ્રકૃતિ ભવન ખાતે ચકલીઓ કાજે કુદરતી જ હોય એવા માટીના ખાસ ડીઝાઈન દ્વારા બનાવાયેલ માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઘરઆંગણે સતત ઘટતી જતી ચકલીઓની ચિંતા સેવતા પ્રકૃતિપ્રેમીઓ દ્વારા માટીના તથા લાકડાના માળા, બર્ડફીડર તથા પાણીની તાસકન વિતરણ થયું હતું. મંડળના પ્રમુખ ધર્મેન્દ્ર ખત્રી સહિત સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


